Gujarati Top News : આજે 30 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarat : આજે 30 માર્ચ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. રાજકોટ ન્યારી ડેમ પાસે અકસ્માત મોત મામલે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તાલુકા પોલીસ એક્શન મોડમાં આવી તથા આજથી 9 દિવસથી સુધી માતાજીના વિવિઘ સ્વરૂપોની પૂજા અર્ચના થશે તથા જન્મ મરણની નોંધણી નિયત કરેલ 21 દિવસ સુધીમાં નહીં કરાવો તો વધુ ચાર્જ તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ આજે બોટાદની મુલાકાતે જેવા જાણો આજના વિવિધ સમાચાર...
રાજકોટ ન્યારી ડેમ પાસે અકસ્માત મોત મામલે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તાલુકા પોલીસ એક્શન મોડમાં
રાજકોટ ન્યારી ડેમ પાસે અકસ્માત મોત મામલે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તાલુકા પોલીસ એક્શન મોડમાં આવી છે. જેમાં તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે એક સગીર આરોપીની અટકાયત કરી છે. પોલીસને ગેરમાર્ગે દોરનાર પ્રવીણસિંહ જાડેજાની પણ અટકાયત કરાઇ છે તથા પોલીસ દ્વારા બંને આરોપીની પૂછપરછ હાથ ધરાઈ છે. આરોપી ભાજપ નેતા મુરલી દવેનો પૌત્ર હોવાની માહિતી સામે આવી છે.
દેશમાં આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો
દેશમાં આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આજથી 9 દિવસથી સુધી માતાજીના વિવિઘ સ્વરૂપોની પૂજા અર્ચના થશે. આજથી નવ દિવસ સુધી માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ જામશે. અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી છે. આજના દિવસે મહારાષ્ટ્રનાં લોકો માટે ગુડી પડવાનું મહત્વ છે. તેમજ સિંધી સમાજના ભગવાન જુલેલાલની પણ જન્મ જયંતિની ઉજવણી થશે.
જન્મ મરણની નોંધણી નિયત કરેલ 21 દિવસ સુધીમાં નહીં કરાવો તો વધુ ચાર્જ
જન્મ મરણની નોંધણી નિયત કરેલ 21 દિવસ સુધીમાં નહીં કરાવો તો અમદાવાદ મહાનગરપાલિકા વધુ ચાર્જ વસૂલશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જન્મ મરણ સર્ટિફિકેટ માટે લેવાતી લેટ ફી તેમજ નો રેકોર્ડ સર્ટિફિકેટ સહિતના દરમાં વધારો કરવામાં આવ્યો છે. હેલ્થ કમિટીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે, જન્મ-મરણ નોંધણી અધિનિયમ ૧૯૬૯ તથા જન્મ-મરણ રૂલ્સ ૨૦૧૮ અન્વયે જન્મ-મરણના બનાવની નોંધણી નિયમ અનુસાર પુરાવા લઇ કરી આપવામાં આવે છે. જેમાં રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે એક નોટિફિકેશન જારી કરીને લેટ ફીમાં વધારો કર્યો છે. જેનો તમામ મહાનગરપાલિકામાં અમલ થવાનો છે.
પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે મોડી રાતથી જ માઇ ભક્તોનું ઘોડાપુર
આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે.. ત્યારે યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે મોડી રાતથી જ માઇ ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. આજે વહેલી સવારે ચાર વાગ્યે નિજ મંદિરના દ્વાર ખોલી મંગળા આરતી કરવામાં આવી હતી. દરમિયાન માતાજીના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. આજની મંગળા આરતીના દર્શન કરી માઇભક્તો ધન્યતા અનુભવી હતી. તેમજ અહીં દર્શન માટે આવતાં આસ્થાળુઓ ની તમામ મનોકામના માતાજી પૂર્ણ કરતાં હોવાનું ભક્તો જણાવી રહ્યા છે.
ચોટીલા ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ડુંગર પરિક્રમાનું આયોજન
ચોટીલા ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર સહીત રાજ્યભરમાંથી શ્રધ્ધાળુઓ પરિક્રમામાં જોડાશે. ચોટીલા ડુંગર ફરતા અંદાજે 6 કિલોમીટરનો પરિક્રમા રૂટ છે. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ડુંગર ફરતે શ્રદ્ધાળુઓ પરિક્રમા કરશે.
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ આજે બોટાદની મુલાકાતે
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ આજે બોટાદની મુલાકાતે છે. ખાત મુહૂર્ત બાદ સી.આર પાટીલ સભાને સંબોધન કરશે. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, રત્નાકરજી ઉપસ્થિત રહેશે. ધારાસભ્યો શંભુનાથજી ટુડિયા તેમજ કાળુભાઈ ડાભી સહિત ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.
સુરતમાં રત્ન કલાકારોની વિશાળ રેલીનું આયોજન
સુરતમાં રત્ન કલાકારોની વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ રત્ન કલાકારોની વિશાળ રેલી યોજાશે. રત્ન કલાકારોની પડતર માંગણીઓને લઈ રેલીનું આયોજન છે. આર્થિક મદદ, વેતનમાં વધારો અને હીરાના ભાવમાં વધારાની માગ છે. સરકાર તરફથી કોઈ નિરાકરણ નહીં આવતા રેલી યોજાશે. રેલીને પોલીસ પરવાનગી નથી મળી છતાં રેલી કાઢવા મક્કમ છે.
આ પણ વાંચો: Rashifal 30 march 2025 : નવરાત્રિના પહેલા દિવસે દુરુધ્રુ યોગનો શુભ સંયોગથી આ રાશિ માટે ભાગ્યના દરવાજા ખુલશે