સ્થાનિક લોકોમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના પ્રબળ કરી છે
આ તિરંગા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી રથયાત્રા શાંતિપૂર્ણ, સુમેળભર્યા અને ઉત્સાહજનક વાતાવરણમાં સંપન્ન થાય તેમજ વિવિધ સમુદાયો વચ્ચે પરસ્પર ભાઈચારો અને સદ્ભાવના વધુ મજબૂત બને તે સુનિશ્ચિત કરવાનો હતો.
યાત્રા દરમિયાન દરિયાપુરના રાજમાર્ગો અને સાંકડી ગલીઓ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલી જોવા મળી હતી. હાથમાં ત્રિરંગો લહેરાવતા પોલીસ અધિકારીઓ, જવાનો અને મોટી સંખ્યામાં જોડાયેલા સ્થાનિક હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓએ એકતાનો બુલંદ સંદેશ આપ્યો હતો.
'ભારત માતા કી જય' અને શાંતિના નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થયેલી આ યાત્રાએ સ્થાનિક લોકોમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના પ્રબળ કરી છે.
સામાજિક અભિગમની અત્યારે ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે
પોલીસ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, રથયાત્રા એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ તે અમદાવાદની વર્ષો જૂની સંસ્કૃતિ અને ભાઈચારાનું પ્રતીક છે. રથયાત્રાના રૂટ પર આવતા દરિયાપુર વિસ્તારમાં યોજાયેલી આ તિરંગા યાત્રા એ સાબિત કરે છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જનતાનો સહયોગ સર્વોપરી છે.
સ્થાનિક રહીશોએ પણ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી અને રથયાત્રા દરમિયાન શાંતિ જાળવવાની સંપૂર્ણ ખાતરી આપી હતી. આ સુચારુ આયોજનને કારણે સમગ્ર વિસ્તારમાં સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે. ખાખી વર્દી અને તિરંગાના સમન્વયે નાગરિકોને એ અહેસાસ કરાવ્યો છે કે રથયાત્રાનો ઉત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત ગૌરવ, શાંતિ અને ભક્તિભાવ સાથે જ આગળ વધશે.
આ પણ વાંચો : Jagannath Rathyatra 2026 : 149મી રથયાત્રા પૂર્વે અમદાવાદમાં ભક્તિ સાથે સેવાનો ત્રિવેણી સંગમ, જગન્નાથ મંદિરે યોજાયેલા મેગા બ્લડ કેમ્પમાં 435 બોટલ રકત એકત્રિત કરાયું