Jamnagar: બાઇક અને કાર વચ્ચે ટક્કર, અકસ્માતમાં પિતા-પુત્રના મોતથી શોકનું મોજું
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જામજોધપુરના ધ્રાફા અને આંબરડી ગામ વચ્ચે બાઇક અને કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇક પર સવાર પિતા અને પુત્રના કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે પિતા-પુત્રએ ઘટનાસ્થળ પર જ દમ તોડી દીધો હતો.
કાર સાથે તેમનું બાઇક અથડાયું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક પિતા-પુત્ર પોતાના બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે ધ્રાફા-આંબરડી (Dhafa-Amardi) રોડ પર સામેથી પૂરપાટ ઝડપે આવતી કાર સાથે તેમનું બાઇક અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને પિતા-પુત્ર રોડ પર ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતને પગલે આસપાસના ગ્રામજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને 108 ઈમરજન્સી સેવાને જાણ કરી હતી, પરંતુ કમનસીબે સારવાર મળે તે પહેલા જ બંનેએ જીવ ગુમાવ્યો હતો.
Jamnagar: પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી
ઘટનાની જાણ થતાં જ શેઠ વડાળા પોલીસ (Sheth Vadala Police) સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ (CCTV Footage) અને સ્થાનિકોની પૂછપરછના આધારે ફરાર કાર ચાલકની શોધખોળ તેજ કરી છે. એકસાથે પિતા-પુત્રના મોતથી સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.
આ પણ વાંચો: CBSE ધોરણ 12 રિ-ઈવેલ્યુએશન માટે 1 જૂનથી ખુલશે અરજી પોર્ટલ


