Devbhumi Dwarka: ખંભાળિયામાં બનાવટી ઘીનું કારસ્તાન, SOG ના દરોડાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
Devbhumi Dwarka News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી એક ગંભીર અને ચોંકાવનારી પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. સલાયા પાંજરાપોળ નજીકના વિસ્તારોમાં લાંબા સમયથી ચાલી રહેલા બનાવટી ઘીના કાળા કારોબારને લઈને મળેલી ગુપ્ત બાતમીના આધારે એસઓજી (SOG) અને ફૂડ વિભાગ દ્વારા સંયુક્ત રીતે આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં એક મહિલાને રંગે હાથે ઝડપી પાડવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.
Devbhumi Dwarka: મહિલા અસલી ઘી ના નામે વેચતી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ખંભાળિયાના સલાયા રોડ વિસ્તારમાં રહેતી એક મહિલા દ્વારા છેલ્લા કેટલાક સમયથી અસલી ઘીના નામે ભેળસેળયુક્ત અને કેમિકલયુક્ત બનાવટી ઘીનું વેચાણ કરવામાં આવતું હતું. દિવાળી કે તહેવારોની સિઝન જ નહીં, પરંતુ સામાન્ય દિવસોમાં પણ આ મહિલા આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી ગ્રાહકોને સસ્તા ભાવે શુદ્ધ ઘીના નામે ઝેર પીરસી રહી હતી.
9 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો
સ્થાનિક પોલીસ અને એસઓજી ટીમને આ અંગેની ચોક્કસ બાતમી મળતા જ ગઈકાલે સાંજે ત્વરિત એક્શન લેવામાં આવ્યું હતું. સલાયા પાંજરાપોળ પાસે આવેલી આ મહિલાની ઓરડીમાં જ્યારે અધિકારીઓએ ત્રાટક્યા, ત્યારે ત્યાંનો નજારો જોઈને તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યાંથી આશરે 9 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જેને પ્રાથમિક તપાસમાં જ બનાવટી હોવાનું જણાઈ આવ્યું હતું. આરોગ્યને ધ્યાનમાં રાખીને, ફૂડ વિભાગના અધિકારીઓએ તુરંત જ આ તમામ જથ્થાને કબ્જે કરીને સ્થળ પર જ તેનો નાશ કર્યો હતો, જેથી તે ફરીથી બજારમાં ન વેચાય.
Khambhalia: ઘીના નમૂનાઓ તપાસ માટે મોકલી આપ્યા
ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગના અધિકારીઓએ આ બનાવટી ઘીના નમૂનાઓ (Samples) મેળવીને તેને તાત્કાલિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે. અત્યારે પકડાયેલી મહિલાની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ બનાવટી ઘી બનાવવાની સામગ્રી ક્યાંથી આવતી હતી અને શું આ એક વ્યક્તિનું કામ છે કે તેની પાછળ કોઈ મોટું રેકેટ કામ કરી રહ્યું છે? સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, આવી પ્રવૃત્તિ કરનાર ભેળસેળિયાઓ સામે માત્ર દંડની નહીં પણ કડક જેલની સજા થવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈના સ્વાસ્થ્ય સાથે રમત રમવાની હિંમત ન કરે.
આ પણ વાંચો: Rajkot News: વડોદ ગામે બાબાસાહેબ આંબેડકરના બોર્ડને લઈને વિવાદ, દલિત આગેવાને કર્યો આત્મવિલોપનનો પ્રયાસ કર્યો


