Kharif Marketing Season :રાજ્ય સરકારનો હર હંમેશ ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ
- Kharif Marketing Season 2025-26 :ખેડૂતો પાસેથી ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે તા. ૦૧ નવેમ્બરથી ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે
- બાજરી, જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ રૂ. ૩૦૦ નું બોનસ અપાશે
- આવતીકાલ તા. ૧ થી ૩૧ ઓકટોબર ૨૦૨૫ સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા ઓનલાઇન નોંધણી કરાશે
Kharif Marketing Season : રાજ્ય સરકાર હર હંમેશ ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ ધરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ(CM Bhupendra Patel)ના માર્ગદર્શન હેઠળ રાજયના ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે. જેમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫- ૨૬ માં લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની સીધી ખરીદી કરવામાં આવશે.
લઘુતમ ટેકાના ભાવે ખરીદી માટે આ વર્ષે ડાંગર-કોમન માટે રૂ. ૨૩૬૯ પ્રતિ ક્વિન્ટલ, ગ્રેડ-એ ડાંગર માટે રૂ. ૨૩૮૯ પ્રતિ ક્વિ.,મકાઈ રૂ. ૨,૪૦૦ પ્રતિ ક્વિ., બાજરી રૂ.૨,૭૭૫ પ્રતિ ક્વિ., જુવાર-હાઈબ્રીડ રૂ. ૩,૬૯૯ પ્રતિ ક્વિ., જુવાર –માલદંડી રૂ.૩,૭૪૯ પ્રતિ ક્વિ. તથા રાગી માટે રૂ. ૪,૮૮૬ પ્રતિ ક્વિન્ટલની કિંમત નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત બાજરી,જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ રૂ.૩૦૦નું બોનસ પણ આપવામાં આવશે.
Kharif Marketing Season: ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ નોંધણી
લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવાની રહેશે. જેમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે આવતીકાલ તા. ૧ થી ૩૧ ઓકટોબર ૨૦૨૫ સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ નોંધણી કરવામાં આવશે. આ કૃષિ પાકોની ટેકાના ભાવે ખરીદી તા. ૧ નવેમ્બર ૨૦૨૫ થી તા.૩૦ જાન્યુઆરી ૨૦૨૬ સુધી કરવામાં આવશે.
નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭, ૧૨, ૮-અ ની નકલ, ગામ નમૂના ૧૨માં પાક વાવણી અંગે નોંધ ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના જે ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓએ ઓનલાઇન નોંધણી કરાવવી ફરજીયાત છે, જે માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખેડૂત મિત્રોને નિગમ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
Kharif Marketing Season :ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે
ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ દસ્તાવેજ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખેડૂતોએ ખાસ કાળજી લેવાની રહેશે. દસ્તાવેજ/ડોક્યુમેન્ટ્સની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો જે તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ કરવામાં આવશે નહિ.
નોંધણી બાબતે વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮/85111 71718 તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯/ 85111 71719 ઉપર સંપર્ક કરવાનો રહેશે, તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવાયું છે.
આ પણ વાંચો : Dussehra 2025 : જામનગરમાં 70 વર્ષથી ભવ્ય ઉજવણી, અમદાવાદ-આગ્રાથી કારિગરો બોલાવ્યા