છોટાઉદેપુરના નસવાડી તાલુકાના મોરડિયા ગામની આંગણવાડીમાં બાળકોને પીરસવામાં આવેલા નાસ્તામાં ઈયળો જોવા મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ICDS વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. સરકારી વાતો અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત આ ઈયળવાળા નાસ્તાએ છતો કરી દીધો છે. ગ્રામજનો હવે આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે
Naswadi Anganwadi Scandal: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મોરડિયા ગામમાં આંગણવાડી કેન્દ્રની બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા બાળકો માટે 'શાળા પ્રવેશ ઉત્સવ' અને 'કુપોષણ મુક્ત અભિયાન' જેવી મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે મોરડિયા ગામમાં બાળકોને આપવામાં આવતા નાસ્તાની પ્લેટમાં ઈયળો જોવા મળતા તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે.
Naswadi: ગ્રામજનો દ્વારા વીડિયો વાયરલ
આંગણવાડીમાં બાળકોને પીરસવામાં આવેલા નાસ્તામાં જીવતા જીવ ઈયળો જોવા મળતા વાલીઓ અને ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા. ગ્રામજનોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, જેમાં નાસ્તાની ગુણવત્તા કેટલી હલકી કક્ષાની છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, નાના બાળકોના સ્વાસ્થ્ય સાથે આ રીતે ચેડાં કરવા એ અક્ષમ્ય ગુનો છે.
ICDS વિભાગની કામગીરી પર સવાલો
આ સમગ્ર મામલે ICDS (Integrated Child Development Services) વિભાગની કામગીરી સામે મોટા પ્રશ્નો સર્જાયા છે. વારંવાર રજૂઆતો છતાં ગ્રામીણ વિસ્તારોમાં બાળકોને આપવામાં આવતા આહારની ગુણવત્તા બાબતે તંત્ર દ્વારા કોઈ યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી. આ ઘટનાથી સાબિત થાય છે કે સરકારી કાગળ પર ચાલતી યોજનાઓ વાસ્તવિકતામાં બાળકો સુધી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
આ પણ વાંચો: Shraddha Kapoor Eetha Movie: કોણ છે એ 'તમશા ક્વીન' વિઠાબાઈ?, જેનો સંઘર્ષ મોટા પરદે બતાવશે શ્રદ્ધા કપૂર