2 ફેબ્રુઆરીએ 'વર્લ્ડ વેટલેન્ડ ડે' નિમિત્તે જામનગરના ખીજડીયા વન્યજીવ અભ્યારણને નવી રામસર સાઈટ તરીકે જાહેર કરવામાં આવી છે. હરિયાણાના સુલતાનપુર નેશનલ પાર્ક ખાતે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત સરકાર વતી નિવાસી આયુક્ત આરતી કંવરે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના હસ્તે રામસર સાઈટ તરીકેનો દરજ્જો મળ્યા અંગેનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. ખીજડીયા પક્ષી અભ્યારણ એ 6.05 કિમીના વિસ્તારમાં તાજા પાણીના તળાવો તેમજ ખારા અને મીઠા પાણીના ખાબોચિયા ધરાવતું વિશિષ્ટ અભાયરણ છે. પ્રવાસી પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે વર્ષ 1960ના દાયકામાં જે વેટલેન્ડ પર સૌથી વધુ પ્રવાસી પક્ષીઓ આવતા હોય તે સાઈટના રક્ષણ માટે જુદા જુદા દેશોની સરકાર વચ્ચે મંત્રણાઓ થઇ હતી અને વર્ષ 1971માં ઈરાનના રામસર શહેર ખાતે નિષ્ણાંંતો વચ્ચે એક સંધિ થઈ જેને રામસર સંધિ તરીકે ઓળખવામાં આવે છે. આ સંધિમાં પક્ષીઓના રક્ષણ માટે પર્યાવરણની દ્રષ્ટિએ ખાસ મહત્વ ધરાવતી આદ્ર (ભેજવાળી)ભૂમિને સંરક્ષણ આપવાનો કરાર થયો હતો. જેના ભાગરૂપે ગુજરાતના ખીજડીયા પક્ષી અભયારણને હવે રામસર સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો ઉતરપ્રદેશના બખીરા અભયારણ્યને પણ રામસર સાઈટ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. આ સાથે જ હવે દેશમાં રામસર સાઈટની સંખ્યા કુલ 49 થઈ ગઈ છે.