Rajkot: મિલકત માટે લોહીયાળ સંબંધ લજવાયા, પૌત્રે જ કરી દાદાની ઘાતકી હત્યા
Rajkot Murder Mystery: રાજકોટના રામાપીર ચોકડી વિસ્તારમાં રહેતા વૃદ્ધ અરજણભાઈ મિયાત્રાના શંકાસ્પદ મોતનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. એક સપ્તાહ પહેલા થયેલા આ મૃત્યુને સામાન્ય ગણવામાં આવતું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ (PM Report) આવતા જ ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું છે કે અરજણભાઈનું મોત કુદરતી નહીં, પરંતુ તેમના જ પૌત્ર મોહિત મિયાત્રા દ્વારા કરવામાં આવેલી હત્યા હતી.
દાદા-પૌત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા
મળતી માહિતી મુજબ, અરજણભાઈ પાસે આશરે 7 વીઘા જેટલી જમીન હતી. આરોપી પૌત્ર મોહિતે અવારનવાર પૈસાની માંગણી કરી હતી, જેના કારણે વૃદ્ધે પોતાની જમીન પર ધિરાણ (Loan) લીધું હતું. મોહિત આ લોનના હપ્તા કે પુરા પૈસા ભરવામાં નિષ્ફળ જતા દાદા-પૌત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ આર્થિક વિવાદ અને મિલકતના લોભમાં અંતે મોહિતે પિશાચી બનીને પોતાના જ દાદા પર બોથડ પદાર્થ વડે જીવલેણ હુમલો કરી તેમની હત્યા કરી નાખી હતી.
Rajkot: મિલકત પચાવી પાડવાના ઈરાદે હત્યા!
એસીપી આર.એસ. બારીઆએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કડક પૂછપરછ દરમિયાન આરોપી મોહિતે ગુનો કબૂલી લીધો છે. મિલકત પચાવી પાડવાના ઈરાદે કરવામાં આવેલી આ હત્યાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. હાલ પોલીસે આરોપી પૌત્રની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Panna Well Collapse Accident : પન્નામાં બાંધકામ હેઠળનો કૂવો ખોદતા મોટી દુર્ઘટના, 5નાં મોત


