Rural Postal Service: એકતાનગર ખાતે ગ્રામીણ ડાક સેવક સંમેલન
- Rural Postal Service : આધુનિકતાના યુગમાં એકતાનું પ્રતિક એટલે ગ્રામિણ ડાક સેવક : કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયા
- મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા
• ભારત પાસે વિશ્વનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક છે
• સામાન્ય માનવી માટે વિશ્વાસની બારી એટલે ડાક સેવક
• રાષ્ટ્ર વ્યાપી પરિવારની ભાવના સાથે વિતરણ પ્રણાલીને વધુ મજબૂત બનાવી વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા માટે સૌ સહભાગી બનીએ - કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં એકતા નગર ખાતે પશ્ચિમ વિભાગના પાંચ રાજ્યોના ગ્રામિણ ડાક સેવકોનુ સંમેલન યોજાયું
- મંત્રીશ્રીએ સંમેલન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પી હતી
Rural Postal Service :- કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વીય વિસ્તાર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયા (Jyotiraditya Scindia)ની અધ્યક્ષતામાં એકતાનગર Ekta Nagar-SRP ગ્રાઉન્ડ ખાતે ગ્રામીણ ડાક સેવક સંમેલન યોજાયું. કેન્દ્રીય મંત્રીશ્રીનું એકતાનગર ખાતે આગમન થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારીશ્રી અમિત અરોરા, નાયબ વન સંરક્ષકશ્રી અગ્નિશ્વર વ્યાસ, જિલ્લા સંગઠનના અગ્રણી નીલભાઈ રાવ, મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી પરસનજીત કૌર, નાયબ કલેક્ટર(પ્રોટોકોલ) એન.એફ.વસાવા તથા પોસ્ટ વિભાગના અધિકારીશ્રીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉપસ્થિત ગ્રામિણ ડાક સેવકોને પરિવારના સભ્યો ગણાવતા જણાવ્યું કે, એકતાનગરની આ ભૂમિ જ્યાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી Statue Of Unity સ્થાપિત છે, ભારત માતાના બંધોની શ્રૃંખલા પૈકીના સૌથી વિશાળ અને ભારતની વિશાળ જળ ક્ષમતા-પ્રકૃતિની ધરોહર નર્મદા બંધના સાનિધ્યમાં આપણે સૌ ભેગા થયા છીએ. આજના આધુનિકતાના યુગમાં એકતાનું પ્રતિક એટલે આપ સૌ ગ્રામિણ ડાક સેવકો છો. કોઈપણ વ્યક્તિ નાણાંથી ભાવના ખરીદી શકતો નથી પરંતુ ડાક સેવક દરેક વ્યક્તિ-પરિવારની સદભાવના બની સામાન્ય માનવી માટે વિશ્વાસની બારી બનીને અડગ વિશ્વાસ સ્થાપિત કરે છે.
Rural Postal Service-ભારત દેશ પાસે વિશ્વનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક
કેન્દ્રીય મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ભારત દેશ પાસે વિશ્વનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક છે. તેના માધ્યમથી ડાક સેવકો દરેક સુવિધા ઘર સુધી પહોંચાડીને વ્યક્તિના જીવનમાં ખુશી લાવે છે. ડાક સેવા એ જન સેવા છે, જે પરિવારનમાં નવી નોકરી-પ્રગતિના સંદેશા પહોંચાડી રોશનીનું પ્રથમ કિરણ ફેલાવે છે. સાથે સુકન્યા સમૃદ્ધિથી વિધવા-વૃદ્ધ પેન્શન સુધીની સુવિધા ઘર આંગણે પુરી પાડે છે. આવા સમયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા આમાં રહેલી છે કે, આધુનિકતા સાથે બદલાવ પણ એટલો જ જરૂરી છે. અને ભારત સરકારનો ડાક વિભાગ પણ તે દિશામાં કાર્ય કરી નાગરિકોને ઘર આંગણે સુવિધા ઉપલબ્ધ કરવાવવામાં આગળ વધી રહ્યો છે.
મંત્રીએ સૌ ગ્રામિણ ડાકસેવકોને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત ૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પબદ્ધ બની ડાક વિભાગને લોજિસ્ટીક સંસ્થાના રૂપમાં પરિવર્તિત કરી સરકારના કો-સેન્ટર બનીને આર્થિક પરિવર્તનના માર્ગ પર દરેક ડાક સેવક ચેમ્પિયનના રૂપમાં કામ કરે અને દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા નવી ઉર્જા અને નવા વિચારો સાથે કામ કરી રાષ્ટ્રહિતમાં સહભાગી બને તેવી અપીલ કરી હતી.
Rural Postal Service-પાંચ રાજ્યોના વિવિધ મંડલના ૨૫ જેટલા ગ્રામિણ ડાક સેવકોને સન્માનિત કરવામાં આવ્યા
કેન્દ્રિય મંત્રીના હસ્તે પશ્ચિમ વિભાગના પાંચ રાજ્યોના વિવિધ મંડલના ૨૫ જેટલા ગ્રામિણ ડાક સેવકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમણે નવા ખાતા ખોલવા, પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી ઇશ્યુ, આરપીએલઆઇ પ્રીમિયમ વસૂલી, ડીબિટી ટ્રાન્ઝેક્શન અને જવાબદાર ડાક લેખોની સમયસર ડિલિવરી જેવા ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદાન કર્યું છે. તેમને ડાક વિભાગનો ડ્રોસકોડ પહેરાવી પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ગ્રામિણ ડાક સેવકો સહભાગી બન્યા હતા. મંત્રી શ્રી સિંધિયાએ અલગ આગવા અંદાજમાં મંચ પરથી નીચે આવી સભામંડપમાં ડાક સેવકો સાથે સંવાદ થકી કનેક્ટ થયા હતા. અને તેમને નાગરિક કેન્દ્રિત, આધુનિક ડાક નેટવર્ક માટે વધુ કાર્યક્ષમ બનવા પ્રેરિત કર્યા હતા.
આ સંમેલનનો મુખ્ય હેતુ ગ્રામિણ ડાક સેવકો (GDS)ની સેવા ભાવના અને સમર્પણનો ઉત્સવ મનાવવાનો તથા ગ્રામિણ ભારતમાં ડાક, બેન્કિંગ અને વીમા સેવાઓના વિસ્તરણમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપવાનો હતો. જે ડાક વિભાગને ગ્રામિણ વિસ્તારમાં સરકારની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે અને શાસનના પ્રવેશ દ્વાર તરીકે મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ રહ્યો છે, જેથી દરેક ડાકઘર નાગરિક કેન્દ્રિત સેવાઓનું મુખ્ય કેન્દ્ર બની શકે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પી
આ પ્રસંગે શ્રીમતી મંજુ કુમાર, સભ્ય (પર્સોનેલ), પોસ્ટલ સર્વિસ બોર્ડ; શ્રી ગણેશ સવાલેશ્વરકર- ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત વર્તુળ સહિત પોસ્ટલ સર્વિસીસ ગુજરાત અને પશ્ચિમ ક્ષેત્રના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ડાક સેવક સંમેલન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પી હતી. મંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઈંગ ગેલેરી ખાતેથી સરદાર સરોવર નર્મદા ડેમ તથા સાતપુડા ગિરીમાળા અને નર્મદા નદીનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું.
આ પણ વાંચો : Vadodara : શહેરના મહેમાન બનેલા કેન્દ્રિય મંત્રી નારાજ, મેયર અને સાંસદને સ્ટેજ પર ખખડાવ્યા