Sabarkantha: રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા ઈડરવાસીઓને હાલાકી, સરકારી જવાબ સાંભળીને ચોંકી જશો
- Railway Underbridge માં વરસાદી પાણી ભરાતા ઈડરવાસીઓને હાલાકી
- રેલવે અધિકારીઓએ કર્યુ સ્થળ નિરીક્ષણ, બેઠક પણ કરી
- સરકારી જવાબો સાંભળીને ઉપસ્થિત સૌ ચોંકી ગયા
Sabarkantha: ઈડર (Idar) બસ સ્ટેન્ડ નજીક આવેલ હિંમતનગર રોડ પરના રેલવે અંડરબ્રિજ (Railway Underbridge) માં વરસાદી પાણીએ અડિંગો જમાવી દીધો છે. વ્યાપક વરસાદને કારણે અંડરબ્રિજમાં કેડ સમા પાણી ભરાઈ ગયા છે. આ વિકટ પરિસ્થિતિને સંદર્ભે વાહન ચાલકો અને રાહદારીઓ માટે કામચલાઉ ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ હતી. તાજેતરમાં રેલવેના અધિકારીઓ ઈડરના અંડરબ્રિજની મુલાકાતે આવ્યા અને સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. નિરીક્ષણ અધિકારીઓ પાસેથી સ્થાનિક અધિકારીઓએ જવાબ માંગતા તેમને જે સરકારી જવાબ મળ્યો તેનાથી ઉપસ્થિત સૌ કોઈ ચોંકી ગયા હતા. રેલવે અધિકારીઓએ જવાબ માટે અસારવા સ્થિત રેલવે કચેરી (Asarwa Railway Office) ની મુલાકાત લેવા જણાવ્યું હતું.
અંડરબ્રિજમાં કેડ સમા પાણી ભરાયા
2 દિવસ અગાઉ ઈડર-હિંમતનગર રોડ પર આવેલ અંડરબ્રિજ (Railway Underbridge) માં વરસાદી પાણી ભરાઈ જતાં હિંમતનગર અને અંબાજી તરફ આવતા અને જતાં વાહન ચાલકો અટવાઈ ગયા હતા. Idar બસ સ્ટેશન પાસે જલારામ મંદિરથી લાલોડા જતાં રોડ પર આવેલ અંડરબ્રિજમાં ભરાયેલા પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી વાહન ચાલકોને અન્ય વિકલ્પનો ઉપયોગ કરવાની નોબત આવી હતી. વ્યાપક વરસાદને કારણે અંડરબ્રિજમાં કેડ સમા પાણી ભરાઈ ગયા છે.
આ પણ વાંચોઃ Gujarati Top News : આજે 14 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
સરકારી જવાબ
મંગળવારે બપોરે Idar માં આવેલ પ્રાંત કચેરીમાં અધિકારી રોનક પટેલ, તાલુકા વિકાસ અધિકારી ભરત ચૌધરી, નાયબ મામલતદાર સંજય પટેલ તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારી એન.સી. પટેલની ઉપસ્થિતમાં રેલવેના 2 અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન અંડરબ્રિજમાં કેવું આયોજન કરાયું છે, પાણીના નિકાલની કામગીરી માટે કેવા પગલા લેવામાં આવ્યા છે તેવા સવાલો ઉઠ્યા હતા. આ સવાલોથી રેલવે બન્ને અધિકારીઓ અકળાઈ ગયા હતા અને માહિતી જોઈતી હોય તો અસારવાની રેલવે ઓફિસ (Asarwa Railway Office) ની મુલાકાત લો તેવો સરકારી જવાબ આપ્યો હતો. આ સરકારી જવાબથી સ્થાનિક અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
ચોમાસામાં પરિસ્થિતિ થશે વિકટ
ઉલ્લેખનીય છે કે હજુ તો હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે ટ્રેન શરૂ થઈ નથી. અનેક ઠેકાણે ઘણું કામ બાકી છે. હવે ચોમાસાની સીઝન (Monsoon Season) શરુ થવાની છે ત્યારે વરસાદ ખાબકશે અને અંડરબ્રિજમાં ફરીથી પાણી ભરાઈ જશે. આ સ્થિતિમાં લોકો કેવી રીતે અવરજવર કરશે તે સમજાતું નથી. અત્યારે પણ જિલ્લામાં અનેક ઠેકાણે આવેલા રેલવે અંડરબ્રિજમાં જયારે પણ પાણી ભરાય ત્યારે પાણી ઉલેચવા માટે પંપનો ઉપયોગ કરવો પડે છે. તંત્ર દ્વારા અંડરબ્રિજમાં ભરાતા પાણીનો સત્વરે નિકાલ થાય તેવું કોઈ આયોજન થયુ ન હોય તેમ ઈડર અંડરબ્રિજના કામ પરથી લોકોને લાગી રહ્યુ છે.
આ પણ વાંચોઃ Ahmedabad : પાલતુ કૂતરાના હુમલામાં 4 મહિનાની બાળકીનું કરૂણ મોત
અહેવાલઃ યશ ઉપાધ્યાય