Sabarkantha: અંધશ્રદ્ધાનો ખેલ, ડાકણ હોવાના વહેમમાં આધેડની કરપીણ હત્યા
સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના વિજયનગર (Vijaynagar) તાલુકાના ગાડીવાંકડા (Gadiwankada) ગામમાં અંધશ્રદ્ધાનો એક કલંકિત કિસ્સો સામે આવ્યો છે. ગામમાં એક મહિલાને 'ડાકણ' (Witchcraft) હોવાનો વહેમ રાખીને 12 લોકોના ટોળાએ તેમના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં વચ્ચે બચાવ કરવા ગયેલા આધેડ પતિની કુહાડીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા (Murder) કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મહિલાને ડાકણ ગણાવીને નિશાન બનાવ્યા
ગાડીવાંકડા ગામે રહેતા એક પરિવારને ગામના જ કેટલાક લોકોએ મહિલાને ડાકણ ગણાવીને નિશાન બનાવ્યા હતા. અંધશ્રદ્ધાના દૂષણમાં ડૂબેલા ૧૨ લોકોના આ ટોળાએ તીક્ષ્ણ હથિયારો સાથે મહિલાના ઘર પર હુમલો કર્યો હતો. મહિલાને બચાવવા માટે જ્યારે તેમના પતિ વચ્ચે પડ્યા, ત્યારે હુમલાખોરોએ તેમના પર કુહાડી (Axe) વડે અનેક ઘા ઝીંક્યા હતા. આ ઘટનામાં મહિલા અને તેમના પુત્રો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલ આધેડને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું કમનસીબ મોત નીપજ્યું હતું.
Sabarkantha: વિજયનગર પોલીસ દ્વારા કાર્યવાહી
આ ઘટનાની ગંભીરતાને જોતા વિજયનગર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મહિલાઓ સહિત તમામ 12 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા રાયોટિંગ (Rioting) અને હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, અંધશ્રદ્ધાના આ દૂષણને ડામવા માટે વિજ્ઞાન જાથા (Vigyan Jatha) ની ટીમે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. સમાજમાં હજુ પણ અંધશ્રદ્ધા જેવી કૂપ્રથાઓ કેટલી હદે ઘર કરી ગઈ છે, તે આ કિસ્સાથી સ્પષ્ટ થાય છે. પોલીસ હવે આરોપીઓની પૂછપરછ કરીને આ હુમલાના મુખ્ય સૂત્રધાર કોણ હતા તે જાણવાની કવાયત કરી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં નિવૃત્ત DySPના ફાયરિંગ કેસમાં મોટો ધડાકો: 'ડરાવવા નહીં, મર્ડરના ઈરાદે જ ગોળી ચલાવી હોવાનો આક્ષેપ'


