Sabar Dairy : ભરતી, ખરીદી બાબતે ડિરેક્ટર, વહીવટીકર્તા મનમાની કરી લાભ મેળવતા હોવાનાં ગંભીર આક્ષેપ
- Sabar Dairy નું વહીવટી તંત્ર ફરી એકવાર આવ્યું ચર્ચામાં (Sabarkantha)
- બોર્ડ અને વહીવટી અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ
- ભરતી, ખરીદી અને અન્ય કેટલીક બાબતે મનમાની કરી હોવાનાં આરોપ
- રજિસ્ટ્રાર કચેરીનાં અધિકારીઓ દ્વારા પણ તપાસ કરાઈ હોવાની ચર્ચા
- સાબર ડેરી અને તેના અન્ય પ્લાન્ટમાં પણ તપાસ કરાઇ હોવાની આશંકા
- આ મામલે ડેરીનાં સત્તાવાળાઓ કંઇ પણ કહેવા તૈયાર નથી
સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી જિલ્લાની (Aravalli) સંયુકત ગણાતી સાબર ડેરીનું વહીવટી તંત્ર કોઈ ન કોઈ બાબતે હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે સાબર ડેરીનાં (Sabar Dairy) બોર્ડ અને વહીવટકર્તાઓની કામગીરી સામે ભરતી, ખરીદી અને અન્ય કેટલીક બાબતે ફરી એકવાર ગંભીર આક્ષેપ થયા છે. થોડાક દિવસ પહેલા કેટલાક મુદ્દાઓને લઈ રજિસ્ટ્રાર કચેરીનાં અધિકારીઓ દ્વારા તપાસ પણ કરવામાં આવી હોવાનું સૂત્રો થકી જાણવા મળ્યું છે.
ડિરેક્ટર્સ ભરતી, ખરીદી, અન્ય કામગીરી અંગે મનમાની કરતા હોવાનો આરોપ
વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સાબર ડેરીમાં (Sabar Dairy) ચૂંટણી જીત્યા બાદ કેટલાક ડિરેક્ટરો વગ વાપરીને ભરતી, ખરીદી અને કેટલીક અન્ય કામગીરી મામલે પોતાની મનમાની કરી રહ્યા હોવાનો આરોપ થયો છે. એટલું જ નહીં પણ અગાઉ કાયદાનો ડર રાખ્યા વિના દેખાવ ખાતર જાહેરાત આપીને બોર્ડનાં કેટલાક ડિરેક્ટરો અને ચેરમેન પણ કોઇને ગંધ ન આવે તેવી રીતે મામકાઓ તથા પૈસા લઇને ડેરીમાં કર્મચારીઓની ભરતી કરી ચૂકયા હોવાના પણ ગંભીર આક્ષેપ થયા છે. જો કે, આ મામલે અગાઉ ઉગ્ર વિરોધ કરનારા કેટલાક સહકારી અગ્રણીઓ હાલ કેમ ચૂપ છે ? તેવી ચર્ચાઓ દૂધ ઉત્પાદકો અને લોકો વચ્ચે વહેતી થઈ છે.
આ પણ વાંચો - Harni Lake Kand : વડોદરા હરણી લેક દુર્ઘટના કેસમાં કોટિયા પ્રોજેક્ટને HC થી ફરી મોટો ઝટકો!
લાગતા-વળગતાઓને ઇજારદાર નિમણૂક કરી ડિરેક્ટરોને ફાયદો કરાયાનો આરોપ
સાથે જ એવી પણ ચર્ચા છે કે સાબર ડેરીમાં કોઈ પણ કામનો ઇજારો લેવો હોય તો બોર્ડનાં કેટલાક જવાબદારોનાં શરણે જવું પડે છે અને તે કહે એ પ્રમાણેની શરતો માન્ય રહે તો જ કામનો ઇજારો મળે છે. ઉપરાંત, લોક ચર્ચામાં એવા પણ આક્ષેપ થયા છે કે, સાબર ડેરી સંચાલિત સાબરદાણ ફેકટરીમાં (Sabardaan factory) દાણ બનાવવા માટે વપરાતી ચીજ-વસ્તુઓની ખરીદીમાં પણ આડકતરી રીતે ડિરેકટરોનાં લાગતા-વળગતાઓને વધુ મહત્ત્વ આપવામાં આવે છે અને તેમને ઇજારદાર તરીકે નિમણૂક કરી પાછલે બારણે ડિરેક્ટરોને ફાયદો કરાય છે.
આ પણ વાંચો - Rajkot : કરિયાવરના નામે છેતરપિંડી મામલે 7 સામે ફરિયાદ, જાણો આયોજકોએ શું કહ્યું ?
ડેરીનાં વહીવટમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓની પણ સાઠગાંઠના આક્ષેપ
નોંધનીય છે કે, બંને જિલ્લામાં આવેલા BMC યુનિટમાંથી રોજ-બરોજ સ્થાનિક ડેરીએ દૂધ ઉત્પાદકો પાસેથી ખરીદેલ દૂધને ઠંડુ કરી ટેન્કર મારફતે સાબર ડેરી સુધી લવાય છે. ત્યારે, તેમાં પણ ડિરેક્ટરોનાં (Sabar Dairy Administrators) સગા-વ્હાલા અથવા તો અન્યના નામે ટેન્કરનો કોન્ટ્રાક્ટ લેવાતો હોવાની ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે સામ, દામ અને વગનાં જોરે ડેરીનાં કેટલાક ડિરેક્ટરો કોઇને ગાંઠતા નથી તેવો ભૂતકાળમાં અનેક લોકો આક્ષેપ કરી ચૂક્યા છે. ડેરીનાં વહીવટમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓની પણ સાઠગાંઠ હોવાને કારણે તેઓ પણ ચૂપકીદી સેવી રહ્યા હોવાના આક્ષેપ છે. ઉપરાંત, જો કોઇ અગ્રણી અથવા તો નાગરિક વહીવટી માહિતી માગે તો આપવાનો ઇનકાર કરી દેવામાં આવે છે અને કાયદાકીય કાર્યવાહીની વાત કરવામાં આવે છે તેવો પણ આરોપ છે.
જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા તપાસ પણ રિપોર્ટને લઈ સવાલ!
સાબર ડેરીનાં વહીવટી તંત્ર સામે થયેલા આક્ષેપો બાદ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીનાં (Registrar's Office) અધિકારીઓ દ્વારા બે દિવસ પહેલા તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે, જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા તપાસ તો કરવામાં આવી પરંતુ તેનો રિપોર્ટ ક્યારે સુપરત કરાશે ? રિપોર્ટ ક્યારે જાહેર થશે ? રિપોર્ટ સબમિટ કરાશે કે કેમ ? રિપોર્ટ સોંપ્યા બાદ જવાબદાર વહીવટકર્તાઓ સામે કાર્યવાહી થશે કે કેમ ? સહિતનાં અનેક સવાલ દૂધ ઉત્પાદકો અને લોકો વચ્ચે થઈ રહ્યા છે. ત્યારે હવે આ મામલે આગળ શું પગલાં લેવાશે અને શું કાર્યવાહી થશે ? તેનાં પર સૌની નજર છે.
અહેવાલ - યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો - અમરેલીમાં મદરેસા પર ચાલ્યું તંત્રનું બુલડોઝર