Gandhinagar news: વ્યાજખોરોને લઈ ગૃહમાં હર્ષભાઈ સંઘવીનું નિવેદન, ધારાસભ્યો વ્યાજખોરો માટે રજૂઆત ન કરે
- વ્યાજખોરોને લઇને ગૃહમાં હર્ષભાઇ સંઘવીનું નિવેદન
- ધારાસભ્યો વ્યાજખોરો માટે પોલીસ સમક્ષ રજૂઆતો કરે છે
- વ્યાજખોરો સામે પોલીસ કડક હાથે જ કામ લેશેઃ હર્ષભાઇ સંઘવી
રાજ્યમાં વ્યાજખોરોનાં ત્રાસનાં કારણે કેટલાય નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. નિર્દોષ લોકોને વ્યાજખોરોની ચૂંગાલમાંથી છોડાવવા માટે ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહીનાં આદેશ આપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આવા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી તેઓ સામે કડક કાર્યવાહી કરતા વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. વિધાનસભા ગૃહમાં આજે ચર્ચા દરમ્યાન હર્ષભાઈ સંઘવી દ્વારા વ્યાજખોરોને લઈ મોટું નિવેદન આપ્યું હતું.
વ્યાજખોરો સામે પોલીસ કડક હાથે જ કામ લેશેઃ હર્ષભાઇ સંઘવી
ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગૃહમાં કહ્યું હતું કે, કેટલાક ધારાસભ્યો વ્યાજખોરોને છોડાવવા રજૂઆતો કરે છે. તેમજ ધારાસભ્યો વ્યાજખોરો માટે પોલીસ સમક્ષ રજૂઆત કરે છે. હું વિનંતી કરુ છું કે આવું ન કરશો. વ્યાજખોરો સામે પોલીસ કડક હાથે જ કામ લેશે. જેથી કોઈપણ ધારાસભ્યો દ્વારા વ્યાજખોરોને છોડાવવા માટે રજૂઆત કરવી નહી.
226 વ્યાજખોરો સામે 134 ફરિયાદનો નોંધવામાં આવી હતી
થોડા સમય અગાઉ નિર્દોષ લોકોને વ્યાજખોરોનાં ત્રાસમાંથી મુક્ત કરાવવાનાં ઉદ્દેશથી ગુજરાત પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતનાં કુલ 226 વ્યાજખોરો સામે 134 ફરિયાદનો નોંધવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા 568 જેટલા લોકદરબાર પણ યોજવામાં આવ્યા હતા. જેમાં 32 હજાર જેટલા નાગરિકોએ વ્યાજખોરોનાં ત્રાસમાંથી મુક્ત થવા માટે રજૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ VADODARA : 12 જેટલા ગેરકાયદેસર ઢોરવાડાનો સફાયો કરતી પાલિકા
પોલીસ દ્વાલા સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાં આવી
વ્યાજખોરોની ચુંગાલમાંથી લોકોને બચાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા બે થી ત્રણ મહિના સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં રાજ્યનાં તમામ શહેર અને જીલ્લાનાં નાણાંધીરધારનો ધંધો કરનાર લોકો સામે પણ પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરી હતી. આ ડ્રાઈવને લઈ પોલીસ અધિકારીઓ દ્વારા જીલ્લા કક્ષાએ લોકદરબાર પણ યોજવામાં આવ્યા હતા.