VADODARA : BJP કાર્યકર્તાની હત્યા કેસમાં આરોપીના જામીન નામંજૂર
VADODARA : વડોદરામાં ભાજપના કાર્યકર સચિન ઠક્કરની બેરહેમીપૂર્વક હત્યા (VADODARA BJP WORKER SACHIN THAKKAR MURDER CASE) કરવામાં આવી હતી. આ કેસમાં આરોપી પાર્થ બાબુલ પરીખ દ્વારા અત્રેની કોર્ટમાં વચગાળાની જામીન અરજી મુકવામાં આવી હતી. બંને તરફે વકીલ દ્વારા દલીલો સાંભળ્યા બાદ જજ દ્વારા વચગાળાની જામીન અરજી નામંજૂર (MURDER ACCUSED INTERIM BAIL REJECTED BY COURT - VADODARA) કરી દેવામાં આવી છે. પાર્થ પરીખ દ્વારા પત્નીના સ્વાસ્થ્યનું કારણ રજુ કરીને વચગાળાની જામીન અરજી મુકવામાં આવી હતી.
ઓપરેશન કરાવવાનું હોવાથી 15 દિવસ ના વચગાળાના જામીન માટે અરજી કરી
એક સમયે શહેરભરમાં નામચીન બાબુલ પરીખના પુત્ર પાર્થ પરીખ તથા તેના ત્રણ મળતીયાઓ દ્વારા વર્ષ - 2023 માં ભાજપના કાર્યકર્તા સચિન ઠક્કરને બેરહેમીપૂર્વક મારીને તેની હત્યા કરી નાંખી હતી. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા હતા. અને ઘટના બાદ ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસે તમામને પકડીને જેલ હવાલે કરી દીધા હતા. આ મામલે પાર્થ પરીખ દ્વારા તાજેતરમાં પત્નીની પાઇલ્સની બિમારીનું કારણ રજુ કરીને તેને ઓપરેશન કરાવવાનું હોવાથી 15 દિવસ ના વચગાળાના જામીન માટે અદાલતમાં અરજી કરી હતી.
પાર્થના પત્ની ફાઇનાન્સ કંપની ચલાવે છે
જે અંગે મૂળ ફરિયાદી તરફે વકીલ પ્રવિણ ઠક્કરે રજુઆત કરી કે, આરોપીએ અગાઉ સુપ્રીમ કોર્ટ સુધી જામીન મેળવવા માટે અરજી કરી હતી. પરંતુ તેને જામીન મળ્યા ન્હતા. પાર્થના પત્નીની દેખરેખ માટે તેનો પરિવાર સહિતના સંબંધીઓ છે. તો બીજી તરફ સરકાર તરફે વકીલ એચ. આર. જોષીએ રજુઆત કરી હતી કે, પાર્થના પત્ની ફાઇનાન્સ કંપની ચલાવે છે. તેમની સારી આવક છે. ફરિયાદીએ રાજ્યના અલગ અલગ વિભાગોમાં અરજી આપીને આરોપીઓથી પરિવારને જોખમ હોવાનું જણાવ્યું છે. જો આરોપી જામીન મુક્ત થાય તો પરિવારને નુકશાન પહોંચાડે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આખરે તમામ પક્ષની દલીલોને ધ્યાને લઇને એડિ. સેશન્સ જજ આર. એચ. પ્રજાપતિએ આરોપીના વચગાળાની જામીન અરજી નામંજૂર કરી છે.
આ પણ વાંચો -- VADODARA : નકલી પોલીસ બની હનીટ્રેપમાં ફસાવી તોડ કરનાર 5 ઝબ્બે