VADODARA : સર્વસમાવેશી વિકાસ અને સમરસતા કેળવવા રૂ.43.37 કરોડની સહાય ચૂકવાઈ
VADODARA : રાજ્ય સરકાર દ્વારા સર્વસમાવેશી વિકાસ અને સમરસતા કેળવાય તે માટે અનુસૂચિત જાતિની સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પરિણામલક્ષી અભિગમ સાથે આરંભાયેલ વિકાસ યાત્રા થકી અનેક વંચિતો મુખ્ય ધારા તરફ વળ્યા છે. (GOVT AID FOR BETTER LIFE, LIVING AND STUDY FOR UNDERPRIVILEGED - VADODARA)
વંચિતોના ઉત્થાન માટે ઉત્કૃષ્ઠ કામગીરી થઇ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યના સામાજિક કલ્યાણ વિભાગ દ્વારા વંચિતોના ઉત્થાન માટે ઉત્કૃષ્ઠ કામગીરી થઇ છે. જે અન્વયે વડોદરા જિલ્લાના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ માટે વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન ૩૧,૪૮૩ લાભાર્થીઓ સહિત સરકારી છાત્રાલયો તથા આદર્શ નિવાસી શાળાઓના વિદ્યાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા છે.
૨૧૭.૪૬ લાખની શિષ્યવૃતિ સહાય આપવામાં આવી
યોજનાઓ અને લાભાર્થીઓની વાત કરીએ તો, સામાજિક કલ્યાણ વિભાગ વડોદરા દ્વારા વર્ષ દરમ્યાન પ્રિએસ.એસ.સી. શિષ્યવૃત્તિ અંતર્ગત ૨૨,૪૨૨ વિદ્યાર્થીઓને કુલ. ૨૧૭.૪૬ લાખની શિષ્યવૃતિ સહાય આપવામાં આવી છે.જ્યારે પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ સહાય અંતર્ગત ૮૨૨૮ વિદ્યાર્થીઓએ કુલ ૨૧૦૨.૪૧ લાખની સહાય મેળવીને પોતાનું ઉચ્ચ અભ્યાસનું સ્વપ્ન પૂર્ણ કરી રહ્યા છે.
રહેવા સાથે ભણવાની સુવિધા આપવામાં આવે છે
ગ્રામ્ય વિસ્તારના સરકારી તથા ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છાત્રાલયમાં રહેવા તથા આશ્રમશાળા ખાતે રહેવા સાથે ભણવાની સુવિધા આપવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ માં ૧૩૩.૭૦ લાખના ખર્ચે વડોદરા શહેરી વિસ્તારમાં એક આશ્રમશાળા કરજણ ખાતે, બે છાત્રાલય કરજણ ખાતે અને બે છાત્રાલય વડોદરા શહેરમાં આવેલ છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં છાત્રાલયની વાત કરીએ તો તાલુકાઓમાં સાવલીમાં બે, શિનોરમાં બે અને પાદરામાં બે છાત્રાલય આવેલા છે.
રહેવા, જમવા અને ભણવાની સુવિધા માટે કુલ રૂ.૨૪૭ લાખ ખર્ચ
બીજી તરફ ધોરણ ૧૧ થી કોલેજમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સરકારી છાત્રાલયોમાં વિના મૂલ્યે રહેવા તથા જમવાની અને આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ - ૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રહેવા, જમવા અને ભણવાની સુવિધા માટે કુલ રૂ.૨૪૭ લાખ ખર્ચવામાં આવ્યા છે.
રૂ.૯૬૦ લાખની લોન આપવામાં આવી
વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા કુલ ૬૪ તેજસ્વી વિદ્યાર્થીઓને દરે ૪ ટકાના રૂ.૧૫.૦૦ લાખની એમ કુલ રૂ.૯૬૦ લાખની લોન આપવામાં આવી છે. જ્યારે ડૉ. પી.જી. સોલંકી વકીલ સ્ટાયપેન્ડ યોજના હેઠળ કાયદાની પદવી મેળવીને પ્રેક્ટિસ કરવા માંગતા ૮૨ વકીલ લાભાર્થીઓને કુલ રૂ.૫.૬૩ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
કુંવરબાઇનું મામેરુ હેઠળ કુલ રૂ.૩૦.૫૮ લાખની સહાય
સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવા હેતુ ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અમલમાં છે. જે અન્વયે વર્ષ દરમ્યાન કુલ ૧૫૯ લાભાર્થીઓને કુલ રૂ. ૪૦૭ની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે દીકરીઓના લગ્નમાં મામેરાનો ખર્ચને પહોંચી વળવા માટે કુંવરબાઇનું મામેરુ યોજના હેઠળ કુલ ૨૫૫ લાભાર્થીઓને કુલ રૂ.૩૦.૫૮ લાખની સહાય આપવામાં આવી છે. આ સાથે અનુસૂચિત જાતિના વ્યક્તિઓ સામે થતાં અત્યાચાર વિરુદ્ધ ભોગ બનનારને ખાનગી વકીલ રાખવા માટે રૂ. ૩૭૦૦૦ ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે જે અન્વયે કુલ રૂ.૧૨૭ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
અંત્યેષ્ટિ અને કર્મકાંડ સહાય અપાઇ
સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર યોજના હેઠળ અંત્યેષ્ટિ અને કર્મકાંડ સહાય આપવામાં આવે છે, જે અન્વયે ૨૩૨ લાભાર્થીઓને કુલ રૂ.૧૧.૬૦ લાખની સહાય આપવામાં આવી છે. જ્યારે ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ દ્વારા જાતિના ઉત્કર્ષની વિવિધ યોજના અંતર્ગત કુલ ૧૧ લાભાર્થીઓને કુલ રૂ.૧૮ લાખની અને સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા કુલ ૩૦ લાભાર્થીઓને કુલ રૂ.૭૬.૪૦ લાખની લોન સહાય પૂરી પાડવામાં આવી છે.
યોજનાઓનો લાભ લઈને આત્મનિર્ભર બનવા જાહેર અનુરોધ
આ તમામ યોજનાઓનો લાભાર્થી સરળતાથી, ઝડપથી અને પારદર્શી રીતે લાભ મેળવી શકે છે. આવનાર સમયમાં અનુસૂચિત જાતિના લોકો સરકાર દ્વારા અમલી સામજિક, શૈક્ષણિક અને આર્થિક યોજનાઓનો વધુમાં વધુ લાભ લઈને આત્મનિર્ભર બનવા માટે નાયબ નિયામક, સમાજ કલ્યાણ વિભાગ, વડોદરા દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો --- VADODARA : PSI ની પરીક્ષામાં ઉમેદવારોની મદદ માટે ટ્રાફિક પોલીસે કમર કસી