Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : આયુર્વેદિક વૈદ્ય પાસે સારવાર કરાવવા તબિબો પણ લાગે છે કતારમાં

VADODARA : શહેરનું એક એવું સરકારી આયુર્વેદિક દવાખાનું જ્યાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ આવે છે દર્દીઓ, સારવાર માટે વહેલી સવારથી લાગે છે લાઇનો
vadodara   આયુર્વેદિક વૈદ્ય પાસે સારવાર કરાવવા તબિબો પણ લાગે છે કતારમાં
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ની એક વ્યક્તિને વિચિત્ર કહી શકાય એવો રોગ થઇ ગયો. ગમે એટલા પ્રયત્ન કરે તો પણ આંખની પાપણ ઊંચી થાય જ નહી. આંખ ખુલ્લી રાખવા માટે પાપણને આંગળીથી પકડી રાખવી પડે અને તો જ જોઇ શકાય. આ રોગથી મુક્તિ મેળવવા માટે તેમણે ૧૫૦થી વધુ તબીબોને બતાવ્યું. દવાખાનામાં દાખલ થયા. પણ સારૂ ના થયું. તેમને માયસ્થેનિયા ગ્રેવીસની બિમારીનું નિદાન થયું. થાકી હારી તેઓ પહોંચ્યા વડોદરાના એક સરકારી આયુર્વેદિક દવાખાને થોડા દિવસોની સારવાર બાદ આ દર્દીથી તેમને મુક્તિ મળી.

Advertisement

સારવાર કરાવવા માટે દર્દીઓ વહેલી સવારથી લાઇન લગાવે

પ્રથમ દ્રષ્ટિએ આ વાત માનવામાં ના આવે પણ સત્ય છે. વડોદરા શહેરના વાડી તરસાલી વિસ્તારમાં આવેલા સરકારી આયુર્વેદિક દવાખાનામાં એવી સારવાર થઇ રહી છે કે, ત્યાં સારવાર કરાવવા માટે દર્દીઓ વહેલી સવારથી લાઇન લગાવે છે. ત્યાં માત્ર વડોદરા કે ગુજરાતના અન્ય જિલ્લામાંથી જ નહી પણ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્રથી પણ દર્દીઓ આવે છે. તેનું કારણ છે ત્યાં કાર્યરત વેદ્ય શ્રીમતી સારિકા જૈન.

Advertisement

ટોકન વ્યવસ્થા રાખવી પડતી હતી

તેમની કર્તવ્યનિષ્ઠા અને સમર્પણને કારણે દર્દીઓમાં ભિષગવશતામાં વૃદ્ધિ થઇ છે. એલોપથીમાં અસાધ્ય ગણાતા, મનાતા અનેક પ્રકારની રોગની તેઓ સચોટ સારવાર કરે છે કે, સાજા થયેલા દર્દીઓને જોઇ અન્ય દર્દીઓ પણ આ સરકારી દવાખાને સારવાર માટે દોડી આવે છે. વડોદરા શહેર પૂર્વે શ્રીમતી જૈન જિલ્લામાં ભીલાપૂર ખાતે સરકારી આયુર્વેદિક દવાખાને ફરજ બજાવતા ત્યારે તો ટોકન વ્યવસ્થા રાખવી પડતી હતી. ટોકન મેળવવા માટે દર્દીઓના સંબંધીઓ આખી રાત ભીલાપૂરમાં રહે ત્યારે ટોકન મળે.

અર્બન પીએચસીમાં આ દવાખાના કરતા ઓછી ઓપીડી હોય છે !

છેલ્લા ૨૦ વર્ષથી આયુર્વેદની પ્રેક્ટિસ કરતા શ્રીમતી સારિકા જૈન ૨૦૦૯થી રાજ્ય સરકારમાં આયુર્વેદિક મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમણે જ્યાં જ્યાં ફરજ બજાવી ત્યાં ત્યાં દવાખાનામાં દર્દીઓની સંખ્યા વધી ગઇ. અત્યાર સુધીમાં તેમણે અંદાજે ત્રણ લાખથી વધુ દર્દીઓની સારવાર કરી છે. ભીલાપૂર ખાતે પ્રતિ દિન સરેરાશ એક સો દર્દીઓ અને વડોદરામાં તરસાલી ખાતે સવારમાં ૪૦ અને બપોર બાદ ૨૦ એમ બન્ને પાળી ઉપરાંત દવા આપવાના દર્દીઓ મળી ૮૦થી ૮૫ દર્દીઓને સેવા આપવામાં આવે છે. મજાની વાત તો એ છે કે, બાજુમાં આવેલા અર્બન પીએચસીમાં આ દવાખાના કરતા ઓછી ઓપીડી હોય છે !

પહેલા તો તબીબ માન્યા નહી

આકૃતિ કથયતે ગુણાનામ્ એ નાતે આમ તો સારિકાબેન દર્દીઓને જોઇને જ કહી શકે કે દર્દીને ક્યો રોગ છે ? ઉદાહરણ તરીકે, એમના એક સાથી તબીબ પોતાના પરિજનને પેટમાં વાયુની ફરિયાદ સાથે સારવાર માટે આવ્યા. સારિકાબેને કહ્યું કે, દર્દીને પથરી છે. પહેલા તો તબીબ માન્યા નહી પણ સોનોગ્રાફી કરાવતા પથરીનું નિદાન થયું. ત્યારે પેલા તબીબ માન્યા !

સિદ્ધાંતોના ચુસ્ત આગ્રહી છે

તેઓ આધુનિક વિજ્ઞાન સાથે તાલ મેળવી દર્દીઓને જરૂરી તમામ રિપોર્ટ કરાવવાનો આગ્રહ રાખે છે. એ રિપોર્ટના આધારે જ દર્દીની સારવાર કરવામાં આવે છે. તેઓ સિદ્ધાંતોના ચુસ્ત આગ્રહી છે, ક્રમાનુસાર જ દર્દીઓનું નિદાન કરે. દર્દીઓ પાસે આહાર, વિહાર, વિચારની શુદ્ધિ, નિયમિતતાના કડક આગ્રહી છે.

સાતઆઠ લાખ રૂપિયાની આયુર્વેદિક દવાની જરૂરત પડે

એક સરકારી આયુર્વેદિક દવાખાનામાં આટલી મોટી સંખ્યામાં ઓપીડી રહે એ પહેલા આશ્ચર્યજનક વાત હતી. સરકારના વિવિધ અધિકારીઓ દ્વારા વખતોવખત મુલાકાત લેવામાં આવી ત્યારે ખબર પડી કે સારિકાબેનની નામના બહુ જ છે. એટલે ઓપીડી વધુ રહે છે. સામાન્ય રીતે એક સરકારી આયુર્વેદિક દવાખાનામાં વર્ષાંતે એકબે લાખની દવાઓની જરૂર પડે છે. પણ અહીં સાતઆઠ લાખ રૂપિયાની આયુર્વેદિક દવાની જરૂરત પડે છે. રાજ્ય સરકાર દ્વારા આ દવા સાવ વિનામૂલ્યે આપવામાં આવે છે. તરસાલીનું આ દવાખાનું રાજ્યમાં સૌથી વ્યસ્ત આયુષ કેન્દ્ર છે.

તેઓ સરકારના માધ્યમથી જનસેવા છોડવાના નથી

સામાન્ય રીતે આટલી મોટી નામના મેળવ્યા બાદ તબીબો સરકારી સેવામાંથી મુક્ત થઇ જતાં હોય છે. પણ તેઓ સરકારના માધ્યમથી જનસેવા છોડવાના નથી. તેઓ કહે છે કે, તબીબીકર્મમાં અર્થોપાર્જનનો હેતું આવે ત્યારે સારવાર યોગ્ય રીતે થઇ શકતી નથી. સરકારી ફરજમાં હું દર્દીઓ સાથે ભાવથી જોડાઉ છું અને તેના કારણે દર્દીઓનો મારામાં વિશ્વાસ વધે છે. મારી પાસે અઢળક કિસ્સાઓ છે કે, જે દૂરદૂરથી અહીં રડતા રડતા આવે અને સારા થઇને જાય છે. મારા કર્મથી મને સંતૃષ્ઠિ મળે એથી વિશેષ બીજું શું હોઇ શકે ?

એલોપથી તબીબો પણ તેમની પાસે સારવાર કરાવવા માટે આવે છે

રસપ્રદ વાત તો એ છે કે, આઇએએસ, જીએએસ અધિકારીઓ પણ તેમની સારવાર કરાવી ચૂક્યા છે. ચાલો આ તો સમજ્યા ! પણ ઘણા એલોપથી તબીબો પણ તેમની પાસે સારવાર કરાવવા માટે આવે છે. જીવનશૈલીની અનિયમિતતા અને અશુદ્ધિના કારણે થતાં રોગો જેવા કે, ડાયાબિટીસ, થાઇરોડ, હાઇ બ્લડપ્રેશર, હાઇ કોલેસ્ટ્રોલ, સ્કિન ડિસીઝ સહિતના રોગોના દર્દીઓ સૌથી વધુ આવે છે.

શરીર ઉપર અખતરા કરવા જોઇએ નહીં

તેઓ કહે કે, સોશ્યલ મીડિયામાં આવતી આયુર્વેદિક દવાઓની ટીપ્સના આધારે શરીર ઉપર અખતરા કરવા જોઇએ નહીં. તજજ્ઞ તબીબોની સલાહ મુજબ જ દવાઓનો ઉપયોગ કરવો જોઇએ. બાય ધી વે ! આંખની પાપણ ઢળી જવાના ઉક્ત કિસ્સામાં આયુર્વેદમાં આવા રોગને વાતહતવર્ધમા તરીકે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો -- VADODARA : વાસણા રોડ પર બ્રિજને લઇને મક્કમ તંત્રને મનાવવા લોકોનો વધુ એક પ્રયાસ

Tags :
Advertisement

.

×