VADODARA : ઐતિહાસિક માંડવી દરવાજાની દુર્દશા મામલે બીજા દિવસે વિરોધ જારી
VADODARA : વડોદરાના જર્જરીત ઐતિહાસિક માંડવી દરવાજાને બચાવવા માટે ગતરોજથી વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરીઓમ વ્યાસે પગરખાંનો ત્યાગ કરી બપોરે 12 થી 4 વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. આજે તેમની સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી, સામાજિક કાર્યકર અતુલ ગામેચી સહિતના લોકો જોડાયા હતા. તમામે એક સૂરે માંડવી દરવાજાને બચાવી લેવા માંગ કરી હતી. કોંગ્રેસ પ્રમુખે આ માળખું બચાવવા માટે જરૂર પડ્યે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. (HISTORIC MANDVI GATE IN POOR CONDITION, PEOPLE OPPOSE SECOND DAY - VADODARA)
માંડવીની ઇમારતને બચાવી લેવામાં આવે
માંડવી દરવાજાની ભારે દુર્દશા છે. તેના ત્રણ જેટલા પિલરો પરથી પોપડા ખરી રહ્યા છે. તંત્ર દ્વારા લોખંડના ગડરો મુકીને ધીમી ગતિએ કામગીરી કરવામાં આવી રહી છે. માંડવી દરવાજાને બચાવવા વિઠ્ઠલનાથજી મંદિરના મહંતે પગરખાં નહીં પહેરવાનો નિર્ણય લીધો હતો. અને આજે બીજા દિવસે બપોરે 12 થી 4 ઉઘાડા પગે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. આ તકે મહંતે મીડિયાને જણાવ્યું કે, મારી એક જ માંગ છે કે માંડવીની ઇમારતને બચાવી લેવામાં આવે. હાલ લોખંડના ગડરો મૂકી કામ શરૂ કરવાનો દેખાડો કરવામા આવી રહ્યો છે. જર્જરીત પિલરો ઉપર કંતાન બાંધી ઢાંકપિછોડો કરવાની કોઇ જરૂર નથી.
ઇમારતને બચાવવા માટે આંદોલન કરશે
વિરોધમાં જોડાયેલા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ મીડિયાને જણાવ્યું કે, વડોદરા શહેરને મહારાજા સયાજીરાવ ગાયકવાડે અમુલ્ય ઇમારતોની ભેટ આપી છે. પરંતુ તેની જાળવણીમાં તંત્ર ધરાર નિષ્ફળ રહ્યું છે. બ્રિજો બની રહ્યા છે પરંતુ, ઐતિહાસિક માંડવીની ઇમારતને બચાવી શકી નથી. કોંગ્રેસ માંડવીની ઇમારતને બચાવવા માટે આંદોલન કરશે.
નેતાઓ માત્ર હેરિટેજની વાતો કરે છે
આંદોલનમાં જોડાયેલા સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ મીડિયાને જણાવ્યું કે, માંડવી દરવાજાને તિરાડો પડી રહી હતી, ત્યારે જ પાલિકા દ્વારા સમારકામ શરૂ કરવામાં આવ્યું હોત તો હાલ જે પિલરોની દુર્દશા થઇ છે તેવી થઇ ના હોત. પરંતુ, પાલિકાને ઐતિહાસિક ઇમારતો સાચવવામાં કોઇ રસ નથી. વડોદરા ના નેતાઓ માત્ર હેરિટેજની વાતો કરે છે. પરંતુ, ગાયકવાડ સરકાર જે ઐતિહાસિક વારસો આપ્યો છે તેણે સાચવવામાં કોઇ રસ નથી.
આ પણ વાંચો --- VADODARA : ટુ વ્હીલરનું ટાયર ખૂંપી જાય તેવો મુખ્યમાર્ગ પર ભૂવો પડ્યો