VADODARA : જાંબુઆ નદીનો પટ કચરાપેટી બન્યો, તંત્રની ઘોર બેદરકારી
VADODARA : વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારવા માટે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. જેમાં વિશ્વામિત્રી ઉંડી અને પહોળી કરવામાં આવી રહી છે. સાથે જ અન્ય જળાશયોની ક્ષમતા પણ વધારવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. ત્યારે કેલનપુર પાસે જાંબુઆ નદીના પટને કચરાપેટી બનાવી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આશરે દોઢસો જેટલા ટ્રક ભરાય તેટલો પ્લાસ્ટીક વેસ્ટ અહિંયા જોવા મળી રહ્યો છે. જેના કારણે હાઇવે પરથી પાણી શહેરમાં આવતું રોકવાના પ્રયાસોને ધારેલી સફળતા ના પણ મળે તેવો ગણગણાટ જોવા મળી રહ્યો છે. (JAMBUVA RIVER BED IS FULL OF PLASTIC WASTE - VADODARA)
પટ પ્લાસ્ટીક વેસ્ટ તથા અન્ય કારણોસર સાંકડો થઇ ગયો
વડોદરાનું તંત્ર લોકોની સુખાકારી વધારવાના પ્રયાસોની સાથે સાથે નદી, જળાશયોની જાળવણીમાં ઉંણુ ઉતર્યું છે. જેની સાબિતી આપતા કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા રહે છે. ત્યારે આવો વધુ એક કિસ્સો સપાટી પર આવ્યો છે. કેલનપુર પાસે જાંબુઆ નદીના પટને કચરાપેટી બનાવી દેવામાં આવી છે. અહિંયા આશરે દોઢસો ટ્રક જેટલો પ્લાસ્ટીક વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો છે. એક તરફ હાઇવે પરથી શહેરમાં આવતું પાણી રોકવા માટે તંત્ર પ્રયાસો કરી રહ્યું છે. અને બીજી તરફ નદીનો પટ પ્લાસ્ટીક વેસ્ટ તથા અન્ય કારણોસર સાંકડો થઇ ગયો છે.
વુડા ઓથોરીટીની ગંભીર બેદરકારી
તાજેતરમાં અધિકારીઓ દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત આ સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. આ તકે વોર્ડ નં - 16 ના ભાજપના કોર્પોરેટર સ્નેહલબેન પટેલ પણ જોડાયા હતા. જેમાં આ વાત સામે આવી હતી. આ અંગે ત્વરિત કાર્યવાહી કરવા તથા નદીનો પટ ખુલ્લો કરવા માટે સ્નેહલબેન પટેલ દ્વારા અધિકારીઓ સમક્ષ માંગ મુકવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, આ મામલે વુડા ઓથોરીટીની ગંભીર બેદરકારી હોવાનો ગણગણાટ લોકોમાં જોવા મળી રહ્યો છે. હવે આ સમસ્યા દુર કરવા કેટલા સમયમાં પગલાં લેવામાં આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો --- VADODARA : પાણી માટે અધિકારીઓએ કોન્ટ્રાક્ટરના નંબર પકડાવી હાથ અદ્ધર કર્યા