VADODARA : ડભાસાની એપોથીકોન ફાર્મામાં ગેસ ગળતર, અનેક અસરગ્રસ્ત
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતી એપોથીકોન ફાર્મા (Apothecon Pharmaceuticals Gas Leakage - Padra, Vadodara) કંપનીમાં રાત્રે ગેસ ગળતરની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આશરે પાંચ જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા છે. તે પૈકી એકનું મોત નિપજ્યું હોવાનું હાલ સુત્રો જણાવી રહ્યા છે. ગેસ ગળતરથી અસરગ્રસ્તોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે. જ્યાં ચાર કર્મીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.
કંપની પરિસરમાં દોડધામ મચી જવા પામી હતી
વડોદરા ગ્રામ્યમાં આવેલા પાદરાના ડભાસા ગામે એપોથીકોન ફાર્મા પ્રા. લિ. નામની કંપની આવેલી છે. આ કંપનીમાં ગત મોડી સાંજે એમોનિયા ગેસ ગળતર થવાના કારણે પાંચ જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે કંપની પરિસરમાં દોડધામ મચી જવા પામી હતી. અને અસરગ્રસ્તોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક કર્મતારીનું મોત નિપજ્યું છે. જ્યારે અન્યની સારવાર ચાલી રહી હોવાનું સ્થાનિક સુત્રોનું જણાવવું છે. સુત્રોએ ઉમેર્યું કે, કંપનીના અધિકારીએ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતા તુરંત કાફલો દોડી આવ્યો હતો.
અસરગ્રસ્તોને આઇસીયુમાં સારવાર હેઠળ મુકવામાં આવ્યા
સ્થાનિક અગ્રણી હર્ષદસિંહએ મીડિયાને જણાવ્યું કે, અપોથીકોન કંપનીમાં ગેસ ગળતર થતા અસરગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જેમાં ડભાસાના યુવાન ધર્મેન્દ્ર સોલંકીનું મોત નિપજ્યું છે. બાકીના અસરગ્રસ્તોને આઇસીયુમાં સારવાર હેઠળ મુકવામાં આવ્યા છે. વિતેલા બે-ત્રણ દિવસમાં કંપનીમાં સેફ્ટીના અભાવે મૃત્યુની ઘટનાઓ વધી રહી છે. કંપની દ્વારા સુરક્ષાના નિયમો અને પગલાઓનું અનુસરણ કરવામાં આવી રહ્યું નથી. જે ચિંતાનજક છે.
આ પણ વાંચો --- VADODARA : ગેસ લાઇનના ખોદકામ વેળાએ બે શ્રમિકો દટાયા


