VADODARA : રેર ન્યુરોબ્લાસ્ટોમા કેંસરથી પીડિત બાળકીને SSGમાં મળ્યું નવજીવન
- વડોદરાની એસએસજી હોસ્પિટલની શ્રેષ્ઠ સારવારમાં વધુ એક યશકલગી ઉમેરાઇ
- રેર કેન્સર પીડિત બાળકીને મળ્યું નવજીવન
- તબિબોની ટીમ દ્વારા સફળતાપૂર્વક સર્જરી પાર પાડવામાં આવી
VADODARA : તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ તલાલા ગામ (જી. ગીર સોમનાથ)ના રહેવાસી અને માછીમાર દંપતી તેમના ૯ માસના દિકરીને બાળકમાં અસામાન્ય હલચાલ અને આંખોની આકસ્મિક કમ્પન જેવી તકલીફના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલ (RAJKOT CIVIL HOSPITAL) ના બાળરોગ વિભાગમાં નિદાન પ્રક્રિયા દરમિયાન બાળકીને opsoclonus-myoclonus નામની દુર્લભ ન્યુરોલોજિકલ તકલીફ હોવાનું જણાયું હતું. વધુ તપાસરૂપે કરાવવામાં આવેલા સિટી સ્કેનમાં ડાબી બાજુની કિડનીની ઉપર એક ગંભીર ગાંઠ નજરે પડી હતી.
યોગ્ય સારવાર વિના જીવના જોખમ તરફ દોરી શકે
તા. ૧૯ ડિસેમ્બરના રોજ SSG ના રેડિયોલોજી વિભાગની ડૉ. હિમાની પટેલ દ્વારા ગાંઠની બાયોપસી કરવામાં આવી, જેના આધારે બાળકીને ન્યુરોબ્લાસ્ટોમા નામનું કેંસર હોવાનું સ્પષ્ટ થયું. ન્યુરોબ્લાસ્ટોમા બાળકોમાં જોવા મળતું એક જીવલેણ કેંસર છે, જેને યોગ્ય સારવાર વિના જીવના જોખમ તરફ દોરી શકે છે.
અત્યંત જટિલ સર્જરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી
આ ગંભીર અવસ્થા વચ્ચે, હોસ્પિટલના શસ્ત્રક્રિયા વિભાગે ઝડપથી કામગીરી હાથ ધરી. પીડીયાટ્રીક સર્જન ડૉ. કશ્યપ પંડ્યા, ઓંકોલોજીકલ સર્જન ડૉ. શીવાંગ શુકલા અને એનેસ્થેશિયા નિષ્ણાત ડૉ. કોમલના સહકારથી બાળકીની અત્યંત જટિલ સર્જરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી. સર્જરી બાદ, ડૉ. આશ્રુતિ કાચા અને તેમની બાળરોગ વિશેષજ્ઞોની ટીમ દ્વારા બાળકીને ત્રણ સાયકલની કીમોથેરાપી આપવામાં આવી.
તમામ પ્રક્રિયાઓને અસરકારક રીતે પાર પાડી શકાઇ
આ સમગ્ર લાંબી અને સંવેદનશીલ સારવારપ્રક્રિયા દરમિયાન હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રંજન ઐયર તથા ડૉ. રાજીવ દવેશ્વરનો માર્ગદર્શન તેમજ રેડીયોથેરાપી વિભાગના ડૉ. દિવ્યેશ રાણા તથા પીડિયાટ્રીક ડિપાર્ટમેન્ટના વડાશ્રી ડૉ. ઓમપ્રકાશ શુકલાનું સુમેળભર્યું સહયોગ મળ્યો. તેમના સહકારથી બાયોપસી, CT-Scan, staging રિપોર્ટ, તથા કીમોથેરાપી જેવી તમામ પ્રક્રિયાઓને અસરકારક રીતે પાર પાડી શકાઇ. સર્જરી અને કીમોથેરાપીનો સંયુક્ત પરિણામ એ રહ્યું કે બાળકીની કેંસરસ્નેહી ગાંઠ સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવી અને હવે બાળકી સંપૂર્ણપણે રોગમુક્ત છે. નવમાસના નાની બાળકી માટે આ સમગ્ર સારવાર એક દૈવિક ચમત્કાર સમાન બની રહી.
સારવારની સુવિધાઓ અને તબીબોની નિષ્ઠાનું જીવંત ઉદાહરણ
આ ઘટના માત્ર એક દર્દીની સફળતા નથી, પણ રાજ્ય સરકારના આરોગ્યતંત્રની કાર્યક્ષમતા, સારવારની સુવિધાઓ અને તબીબોની નિષ્ઠાનું જીવંત ઉદાહરણ છે. હાલના સમયમાં, વડોદરા એસએસજી હોસ્પિટલ જેવાં સરકારી તબીબી કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને પણ અદ્યતન સારવાર અને જીવ બચાવતી તક પૂરી પાડી શકે છે એ ગૌરવની વાત છે.
આ પણ વાંચો --- VADODARA : વરસાદ બાદ 5360 ફરિયાદો આવી, 120 ટીમોએ વીજ પુરવઠો દુરસ્ત કર્યો


