VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂઆત, નદી કિનારે રેમ્પ બનાવવા મશીનો કામે લાગ્યા
VADODARA : ગત વર્ષે વડોદરાવાસી (VADODARA) ઓ માનવસર્જિત પૂરની સમસ્યાથી પીડિત થયા હતા. જે બાદ વિશ્વામિત્રી પૂર નિવારણ માટે એક હાઇ પાવર કમિટિની રચના કરવામાં આવી હતી. આ કમિટિ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેને મુખ્યમંત્રીએ મંજુર રાખતા હવે સ્થળ પર કામગીરી શરૂ કરવામાં આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. વડોદરાના વડસર બ્રિજ નીચે તથા અન્ય લોકેશન પર વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER PROJECT - VADODARA) માં વાહનો ઉતારવા માટે રેમ્પ બનાવવાનું કામ હાલ ચાલી રહ્યું છે. અલગ અલગ 50 જેટલા લોકેશન પર આ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી અંગે સ્થિતીનું નિરીક્ષણ કરતા અધિકારીએ મીડિયાને વિગતવાર માહિતી આપી હતી.
વિતેલા ચાર દિવસથી આ કામગીરી ચાલુ છે
સ્થળ પરની કામગીરીનું નિરીક્ષણ કરતા અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, વર્ષ 2024 ના પુર બાદ સરકાર દ્વારા હાઇપાવર કમિટિની રચના કરવામાં આવી હતી. હાલમાં વિશ્વામિત્રીને પહોળી કરવાની કામગીરી ચાલી રહી છે. વિશ્વામિત્રી નદીમાં શહેરમાં 24 કિમી માંથી પસાર થઇ રહી છે. પુરેપૂરા ભાગમાં તેને ઉંડી અને પહોળી તથા સફાઇની કામગીરી કરવામાં આવનાર છે. હાલમાં અલગ અલગ જગ્યાઓએ 50 જેટલા સ્થળોની ઓળખ કરાઇ છે. ત્યાંથી વાહનો અવર-જવર કરશે. આ કામગીરી ઝડપથી થાય અને સમયમર્યાદામાં પૂર્ણ કરી શકાય, તે માટે પોકલીન મશીન મારફતે રેમ્પ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. વિતેલા ચાર દિવસથી આ કામગીરી ચાલુ છે.
સયાજીબાગ અને આજવા ઝૂમાં કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે
વધુમાં જણાવ્યું કે, વિશ્વામિત્રી નદીમાં શિડ્યુલ - 1 ના પ્રાણી મગર અને કાચબા રહે છે. જેની માટે વાઇલ્ડ લાઇફ વિભાગમાં તમામ જરૂરી દસ્તાવેજો રજુ કરવામાં આવ્યા છે. જેની મંજુરી મળશે. મગર અને કાચબાનું કામગીરી દરમિયાન કોઇ સંઘર્ષના સર્જાય, બંનેને યોગ્ય વાતાવરણ મળી રહે, તે માટે મ્યુનિસિપલ કમિશનરની સુચના મુજબ સયાજીબાગ અને આજવા ઝૂમાં કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. કામગીરી દરમિયાન જરૂર જણાશે તો તેમને રેસ્ક્યૂ કરીને ત્યાં લઇ જવામાં આવશે. કામગીરી પૂર્ણ થયા બાદ તેમને પુન સ્થાને છોડી દેવામાં આવશે.
ચાલુ કામગીરીમાં કોઇ પણ જરૂર પડે, તો અધિકારી હાજર રહે
આખરમાં જણાવ્યું કે, અત્યાર સુધી 12 લોકેશન પર રેમ્પની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વિતેલા 4 દિવસથી આ કામગીરી ચાલી રહી છે. ઉત્તરાયણ પહેલા આ રેમ્પની કામગીરી પૂર્ણ થાય જેથી ટેન્ડરની કાર્યવાહી શરૂ કરવી હોય, તો ઝડપથી કામગીરી કરવી હોય તેવું આયોજન કરી રહ્યા છે. આ કામગીરીમાં વન વિભાગ, ફાયર, સ્ટ્રીટ લાઇટ, મેડિકલ, પાલિકા, એન્જિનીયર, સુપરવિઝન ટીમ તથા અન્ય જરૂરી ખાતાઓ સાથે સંકલન કરી રહ્યા છે. પ્રોજેક્ટને લઇને એક સેલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેથી ચાલુ કામગીરીમાં કોઇ પણ જરૂર પડે, તો અધિકારી હાજર રહે. અને કામગીરીનો સમયગાળો બચાવી શકાય. વિશ્વામિત્રી નદીની સફાઇમાં પ્રતિદિન 50 પોકલેન મશીન, 250 ડમ્પર, 80 જેસીબી મશીન તથા નાના-મોટા 60 ટ્રેક્ટર જોતરાશે.
આ પણ વાંચો -- VADODARA : આયુર્વેદિક વૈદ્ય પાસે સારવાર કરાવવા તબિબો પણ લાગે છે કતારમાં