VADODARA : બીજા દિવસે દબાણો દુર કરવાનું જારી, પોલીસ પહેલા પાલિકા પહોંચી
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) માં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર (રાજા) ના પુત્રની ચાકુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવ્યા બાદ લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આ ઘટના બાદ પોલીસ દ્વારા નાગરવાડા, મચ્છીપીઠ અને તાંદલજામાં ગતરોજ દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી આજે પણ યથાવત રહી છે. આજે સવારે પોલીસ બંદોબસ્ત મળે તે પહેલા પાલિકાની ટીમો દબાણો દુર કરવા પહોંચી હતી. જો કે, બાદમાં પાલિકાના ઉપરી અધિકારી દ્વારા સુચના આપવામાં આવતા અરજી આપવામાં આવી હતી. તે બાદ તાત્કાલિક બંદોબસ્તની ફાળવણી કરવામાં આવતા દબાણો દુર કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
સ્થાનિક પોલીસ મથકમાં અરજી આપવામાં આવી
આજે સવારે કુંભારવાડા પોલીસ મથકમાં આવતા ફતેપુરા વિસ્તારમાં રોડ સાઇડના ગેરકાયદેસર દબાણો દુર કરવા માટે પાલિકાની ટીમો પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત મળતા પહેલા જ પાલિકાના અધિકારીઓ, ડમ્પર, જેસીબી સહિતનું લશ્કર પહોંચતા બંદોબસ્ત મળવાની વાટ જોવી પડી હતી. બાદમાં પાલિકાના ઉપરી અધિકારીના સુચન અનુસાર, સ્થાનિક પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હતી. જે બાદ તુરંત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવતી ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
શેડ, ઓટલા, લારી-ગલ્લાના દબાણો એક પછી એક દુર થતા નજરે પડ્યા
સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, ફતેપુરા રોડ પર દબાણશાખાની ટીમો વહેલી આવી પહોંચી હતી. કલાક એક વાટ જોયા બાદ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. તે દરમિયાન દબાણ શાખાની ટીમો અંગેની વાત વિસ્તારમાં વાયુવેગે પ્રસરી જતા કેટલીક જગ્યાએ લોકોએ જાતે જ દબાણો દુર કરવાની કામગીરી કરી હતી. તો કેટલાક કિસ્સામાં માલિકો લારી-ગલ્લા સલામત સ્થળે ખસેડવામાં સફળ રહ્યા હતા. જો કે, બંદોબસ્ત મળતા જ ગેરકાયદેસર, શેડ, ઓટલા, લારી-ગલ્લાના દબાણો એક પછી એક દુર થતા નજરે પડ્યા હતા.
આ સ્થિતીનું ફરી સર્જન ના થાય તેની પણ તકેદારી રાખવી જોઇએ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગેરકાયદેસર દબાણો દુર કરવા માટે પાલિકાની કામગીરીની ચોતરફથી સરાહના કરવામાં આવી રહી છે. પાલિકાએ માત્ર દબાણ દુર કરવા સુધી જ નહીં પરંતુ ત્યાર બાદ પણ આ સ્થિતીનું ફરી સર્જન ના થાય તેની પણ તકેદારી રાખવી જોઇએ તેવું લોકોનું માનવું છે. નહીંતર આ મહેનત માથે પડે નવાઇ નહીં.
આ પણ વાંચો -- VADODARA : ગંદા મેસેજ મોકલનાર શખ્સ ઘરમાં ઘૂસ્યો, ચાકુની અણીએ ધમકી


