VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે આખરે રીટેન્ડરીંગ કરવાનો નિર્ણય
VADODARA : તાજેતરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ (VISHWAMITRI RIVER PROJECT - VADODARA) માટેનું પહેલું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં કોન્ટ્રાક્ટરો દ્વારા 50 ટકા વધુ જેટલા ભાવો ભરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. આ કાર્યની સોંપણી કામના કલાકોના આધારે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિવાદ થતા આ મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હોવાની લોકચર્ચાઓએ જોર પકડ્યું હતું. આખરે તાજેતરમાં મળેલી વડોદરા પાલિકા (VADODARA - VMC) ની બેઠકમાં વિશ્વામિત્રી પહોળી કરવા માટે રીટેન્ડરીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સિંચાઇ વિભાગની જેમ શરતો રાખવામાં આવશે.
નદીના કામને રીટેન્ડર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારણ માટેના પગલાં લેવાનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે. જે માટેના પહેલા ટેન્ડરમાં કામના કલાકો મુજબ કામગીરીની ફાળવણી કરવામાં આવનાર હોવાનું સામે આવતા કોન્ટ્રાક્ટરો દ્વારા મનગમતા ઉંચા ભાવે બીડ ફાઇલ કરવામાં આવી હતી. જેને પગલે વિવાદ સર્જાયો હતો. બાદમાં તાજેતરમાં પાલિકામાં સ્થાયી સમિતિની બેઠક મળી હતી. જેમાં નદીના કામને રીટેન્ડર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નદીને ડિસિલ્ટીંગ કરવા માટેનું નવું ટેન્ડર સિંચાઇ વિભાગ મુજબ બનાવવામાં આવશે. જેમાં 100 દિવસની મર્યાદામાં કામાગીરી પૂર્ણ કરવાની રહેશે.
ડિસિલ્ટીંગનું કામ રૂ. 37 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવનાર છે
આ સાથે જ જંગલ કાપવા, ફોટો-વીડિયોગ્રાફી, ડ્રોન સર્વે અને ટ્રાન્સપોર્ટેશનને ધ્યાને રાખીને ચાર ભાગોમાં કામગીરી કરવામાં આવશે. 4 ઝોનમાં ડિસિલ્ટીંગનું કામ રૂ. 37 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવનાર છે. પહેલા આ કામનો ચાર્જ પાલિકાના પાણી પુરવઠા વિભાગના હેડ ધાર્મિક દવેને સોંપવામાં આવ્યું હતું. પરંતુ હવે તેને આંચકીને સિટી એન્જિનીયર અલ્પેશ મજમુદારને સોંપાયું છે.
આ પણ વાંચો --- VADODARA : વિજ ચોરો પર MGVCL નો સપાટો, ગેરરીતિ ઝડપાતા ફફડાટ


