મર્હુમ મરીઝના વારસદારોએ જાણો કેમ જાહેર સૂચના નોટિસ બહાર પાડી?
અબ્બાસ અબ્દુલઅલી વાસી કે જેમને મરીઝ નામથી આપણે ઓળખીએ છીએ તેઓ જાણીતા ગુજરાતી ગઝલકાર હતા. તેમણે લખેલી ઉમદા ગઝલોને કારણે તેમને ગુજરાતના ગાલીબ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે સાહિત્યમાં અજોડ, અનોખી અને યાદગાર સેવા કરી છે. મરીઝે તેમના જીવન દરમિયાન પુષ્કળ સર્જન કાર્ય કર્યું તે આજે પણ અન્ય માટે સીમાસ્થંભ સમાન છે. તેમાનું મોટાભાગનું સર્જન ગઝલ, નઝમ, મુક્તક વગેરે પ્રકારોમાં લખાયેલું છે. આ તમામનો ઉપયોગ ઘણા લોકો નાણા કમાવવા તે અન્ય કોઇ લાભ મેળવવા માટે કરે છે જેને લઇને હવે તેમના વારસદારો જેમનું નામ મોહસીન અબ્બાસ વાસી અને લુલુઆ અબ્બાસ વાસી એ એક જાહેર સૂચના નોટિસ દ્વારા તેમના તમામ સાહિત્ય સર્જન તમામ બૌદ્ધિક સંપદા પર તેમના અવસાન બાદ કાયદેસરનો હક, હિત અને અધિકાર સમાયેલો હોવાનું જણાવ્યું છે.
આ સિવાય તેમણે આ નોટિસ દ્વારા તે લોકો કે જેઓ મરીઝની તમામ બૌદ્ધિક સંપત્તિનો પ્રચાર, પ્રસાર, વેચાણ વગેરે કરીને મનસ્વ રીતે નાણા કમાવવાની અને લોકો પાસેથી એક યા બીજી રીતે મરીઝના નામે નાણાં પડાવવાની જે વૃત્તિ અને પ્રવૃત્તિ ચલાવે છે તેને બંધ કરવાનું જણાવ્યું છે. તેમણે આ નોટિસમાં જણાવ્યું છે કે, મરીઝની તમામ અર્થોપાર્જનની પ્રવૃત્તિમાં અગ્ર હક્ક મરીઝના વારસાનો થાય છે. મરીઝના વારસોની સહી, સંમતિ કે પરવાનગી વિના આવી કોઇ પણ પ્રકારની પ્રવૃત્તિ જેમ કે, સાહિત્યવિક, નાટકીય કે ફિલ્મી કે અન્ય કોઈ પણ પ્રકારે કરવામાં આવે તો તે ગેરવ્યાજબી અને ગેરકાયદેસર છે અને તેની માટે જે તે આયોજક સહિત પ્રકાશકો, કલાકારો અને તમામ કાયદેસર રીતે જવાબદાર બને છે. આ માધ્યમથી કમાયેલી આવક, નફો વગેરેમાંથી હિસ્સો વ્યાજ સહિત વસુલી મેળવવા માટે અમો, મરીઝના કાયદેસરના વારસદારો, હક્કદાર બનીએ છીએ. આ સિવાય તેમણે નોટિસ મારફતે આવું સંમતિ કે લેખીત પરવાનગી વગરનું કોઈપણ કૃત્ય હવે પછી કરવું નહીં અને જો અગાઉ કરેલ હોય તો આ નોટિસ પ્રસિધ્ધ થવાના દિન-15માં તમામ વિગતોની અમોને લેખીતમાં જાણ કરવા જણાવ્યું છે. કોઈપણ વ્યકિત અમારી પૂર્વ સંમતિ અને લેખીત પરવાનગી વગર મરીઝની કોઈ પણ મૌખિક સદનન દુરઉપયોગ કરશે તો તેની સામે સીવીલ તેમજ ફોજદારી તમામ પ્રકારે કાનૂની કાર્યવાહી કરવાની અને વળતર વસુલવાની ફરજ પડશે જેની ખાસ નોંધ લેવા પણ તેમણે આ નોટિસમાં જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મરીઝનો જન્મ 22 ફેબ્રુઆરી 1917 ના રોજ દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં અબ્દુલ અલી વાસીના ઘરમાં થયો હતો. પિતા વ્યવસાયે શિક્ષક હતા. તેમણે તેમની માતાની છત્રછાયા ખૂબ નાની ઉંમરમાં જ ગુમાવી હતી. તેમને બાળપણમાં શિક્ષણમાં રસ પડતો નહતો અને શાળાએ જવાને બદલે તેઓ સુરત રેલ્વે સ્ટેશને આવતી-જતી રેલગાડીઓના એન્જીન જોવામાં સમય પસાર કરતા. વ્યવસાયે શિક્ષક એવા પિતાથી શિક્ષણ પ્રત્યેની તેમની આ નિરસતા સહન ન થતા, તેમને મુંબઈ પૈસા કમાવવા મોકલી દીધા હતા. તેઓએ મુંબઈમાં રબર ફેક્ટરીમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેમણે શાયરીની શરૂઆત 14 વર્ષની ઉંમરે પોતાની મોટી બહેનની દીકરીના પ્રથમ જન્મદિન નિમિત્તે ગઝલ લખીને કરી હતી. તેમના મિત્ર અમિન આઝાદને તેઓ પોતાના ઉસ્તાદ (ગુરુ) ગણાવતા હતા. 1983ની 13મી ઓક્ટોબરે ઘરની બહાર જ રસ્તો ઓળંગવા જતા પૂરપાટ દોડી આવતી રીક્ષાની અડફેટે આવતા તેમને ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માત જ તેમના મૃત્યુનું કારણ બન્યું. 19 ઓક્ટોબરના રોજ તેમના મલ્ટીપલ ફ્રેક્ચરોની શસ્ત્રક્રિયા કરવામાં આવી, જે સફળ રહી હતી પરંતુ તુરંત જ તેમને હૃદયરોગનો હુમલો થયો જેમાં તેમનું અવસાન થયું હતું.
આ પણ વાંચો - અમદાવાદમાં માથાભારે તત્વો બન્યા બેફામ, પોલીસથી પણ નથી ડરતા આ અસામાજીક તત્વો, VIDEO
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ



