Yoga-The Global Topic : રાજ્યમાં ધાર્મિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ
Yoga-The Global Topic: મુસ્લિમ મહિલાઓએ 'વસુધૈવ કુટુંબકમ્'ની ભાવના સાથે યોગ કેમ્પમાં ભાગ લીધો. ગુજરાતમાં કોમી સૌહાર્દ અને એકતાના વારસાને વધુ મજબૂત બનાવતા એક ઉત્તમ ઉદાહરણરૂપ ઘટનામાં, અમદાવાદ ખાતે યોજાયેલા યોગાભ્યાસ કેમ્પમાં મુસ્લિમ સમુદાયની મહિલાઓએ મોટી સંખ્યામાં સહભાગી થઈને 'વસુધૈવ કુટુંબકમ્' ની ભાવનાને મૂર્તિમંત કરી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય 'સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાનને વેગ આપવાનો છે.
Yoga-The Global Topic : યોગ એ વૈશ્વિક વિષય, ધર્મથી પર
રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી યોગસેવક શીશપાલજીએ આ પ્રસંગે વાત કરતા જણાવ્યું હતું કે, "આ મારું છે કે પારકું, એવી ગણના સંકુચિત મનના લોકો કરે છે. ઉદાર ચારિત્ર્યવાળા લોકો માટે તો સમગ્ર પૃથ્વી જ એક પરિવાર છે."
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મુસ્લિમ મહિલાઓની આ યોગાભ્યાસ વર્ગમાં સહભાગિતા સ્પષ્ટ કરે છે કે યોગ એ કોઈ ધાર્મિક માન્યતાઓથી ઉપર છે.
"યોગ માત્ર માનવ સ્વાસ્થ્ય અને કલ્યાણ સાથે જોડાયેલો એક વૈશ્વિક વિષય છે. યોગ માનવસમાજ-માનવજાતિ માટે છે. તે કોઈ એક ધર્મ, જાતિ કે સમુદાયનો ઈજારો નથી. યોગ એ આંતરિક શાંતિ, શારીરિક સંતુલન અને માનસિક સ્થિરતા પ્રાપ્ત કરવાની સાર્વત્રિક કળા છે."
તેમણે ઉમેર્યું હતું કે, તંદુરસ્ત સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે ધર્મ કે જાતિ ક્યારેય અવરોધ બની શકતા નથી.
Yoga-The Global Topic : 'સ્વાસ્થ્ય જ સર્વોપરી' પહેલને વેગ: એકતાનો સંદેશ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રાજ્યના દરેક નાગરિકને યોગ સાથે જોડીને રોગમુક્ત અને મેદસ્વિતામુક્ત બનાવવાના જનજાગૃતિ અભિયાનને મોટા પાયે આગળ વધારી રહ્યું છે.
આ જ 'સ્વાસ્થ્ય જ સર્વોપરી' પહેલ હેઠળ, અમદાવાદ ખાતે મુસ્લિમ સમુદાયની મહિલાઓએ ખાસ કરીને મેદસ્વિતા નિવારણ માટેના રિઝલ્ટ ઓરિએન્ટેડ કેમ્પની મુલાકાત લઈને યોગાભ્યાસમાં સહભાગી બની હતી. આ મહિલાઓએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેણે સમાજમાં એકતા અને સૌહાર્દનો મજબૂત સંદેશો આપ્યો છે.
યોગસેવક શીશપાલજીએ ભાવપૂર્વક જણાવ્યું હતું કે, "યોગ એ જ પરિવારનો સેતુ છે, જે આપણને અંદરથી મજબૂત બનાવે છે, આપણી ચેતનાને ઉચ્ચ સ્તરે લઈ જાય છે અને સૌને એકતાના તાંતણે બાંધે છે."
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આ સફળ આયોજન દ્વારા એક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે કે, કેવી રીતે સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતાના માધ્યમથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે અને કોમી સૌહાર્દને નવી ઊંચાઈ આપી શકાય છે.
આ પણ વાંચો : Rann Utsav 2025 : રણોત્સવમાં સહભાગી થવા ભુજ પહોંચ્યા CM ભૂપેન્દ્રભાઈ પટેલ, સફેદ રણની મુલાકાત લીધી