ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપને ફરી વખત પ્રચંડ જીત મળી છે. ભાજપે સતત બીજી વખત સત્તામાં આવીને 37 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. સાંજ સુધીના પરિણામ જોઇએ તો 270 સીટો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. આ તરફ કોંગ્રેસના સીપડાં ઉત્તર પ્રદેશમાં પણ સાફ થયા છે અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન 124 સીટ પર આગળ ચાલી રહ્યું છે. જો કે હજુ સમગ્ર ચિત્ર સ્પષ્ટ નથી થયું. તો આ તરફ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ઉત્તર પ્રદેશના ચૂંટણી પરિણામો અને ભાજપની જીત પર પ્રતિક્રિયા આપી છે. ઉલ્લેખનીય છે તેમની પાર્ટીએ પણ ઉત્તર પ્રદેશ ચૂંટણી લડી હતી, જો કે તેમને એક પણ સીટ પરથી જીત નથી મળી.ઓવૈસીએ કહ્યું કે મેં મારા ભાષણ દરમિયાન કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી ભાજપને નહીં હરાવી શકે, આ વાત ઓન રેકોર્ડ પણ છે. હવે આ વાત ઉત્તર પ્રદેશની ગરીબ જનતાને પણ સમજમાં આવી જશે. તેમણે કહ્યું કે અમારા પર જે આક્ષેપો થઇ રહ્યા છે, ભલે થાય અમને કોઇ ફરક નહીં પડે. અમે રાજસ્થાન અને ગુજરાતમાં પણ ચૂંટણી લડીશું. નિર્ણય ગમે તે હોય, અમે તેનું સન્માન કરીએ છીએ. અમે પહેલા કરતા વધારે મહેનત કરીશું. ઓવૈસીએ કહ્યું કે જેઓ ખોટા દાવા કરી રહ્યા હતા તેઓને પણ ખબર પડી ગઈ કે કોનો વોટ ક્યાં ગયો. હું ઉત્તર પ્રદેશના લોકોનો આભાર માનું છું કે તેમણે અમારી તરફેણમાં મતદાન કર્યું, પરંતુ નિર્ણય અમારા પક્ષમાં નથી આવ્યો. આવતીકાલથી અમે ફરી કામ પર લાગીશું અને આવનારી વિધાનસભા ચૂંટણીની તૈયારી કરીશું.ઉલ્લેખનીય છે કે યુપી વિધાનસભાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીએ 100 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ યુપીના લોકોએ AIMIM પર વિશ્વાસ નથી મુક્યો. અસદુદ્દીન ઓવૈસીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે સફળતા મળી છે, પરંતુ આ સફળતા 80-20ની સફળતા છે. ઉત્તર પ્રદેશની જનતાએ ભાજપને ફરી વિજેતા બનાવ્યું છે, અમે તેનું સન્માન કરીએ છીએ. ઇવીએમ વિશે વાત કરતા તેમણે કહ્યું કે રાજકીય પક્ષો તેમની નિષ્ફળતા છુપાવવા માટે ઈવીએમનું નામ લે છે. હું 2019થી કહું છું કે આ ઈવીએમનો દોષ નથી, પરંતુ લોકોના મગજમાં જે ચીપ લગાવવામાં આવી છે તેનો દોષ છે.