ટાઇપ-1 અને ટાઇપ-2 બંને દર્દીઓ માટે ફાયદાકારક
Awiqli ઇન્સ્યુલિન ખાસ કરીને ટાઇપ-1 (Type-1 Diabetes) અને ટાઇપ-2 (Type-2 Diabetes) બંને પ્રકારના ડાયાબિટીસના દર્દીઓ માટે વિકસાવવામાં આવ્યું છે. અત્યાર સુધી ટાઇપ-1 ડાયાબિટીસના દર્દીઓને વર્ષના તમામ 365 દિવસ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડતા હતા, જ્યારે હવે Awiqliની મદદથી માત્ર વર્ષમાં 52 ઇન્જેક્શન જ લેવા પડશે. આ નવી સારવારથી દર્દીઓ માટે નિયમિત સારવાર (Treatment Adherence)નું પાલન કરવું વધુ સરળ બનશે. સાથે જ વારંવાર ઇન્જેક્શન લેવાની ઝંઝટ અને માનસિક થાકમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. ખાસ કરીને જે દર્દીઓ સંપૂર્ણપણે ઇન્સ્યુલિન પર નિર્ભર છે, તેમના માટે આ દવા આશીર્વાદ સમાન બની શકે છે.
ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સતત વધી
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડા મુજબ ભારતમાં 10 કરોડથી વધુ લોકો ડાયાબિટીસથી પીડિત છે. જ્યારે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-6)ના તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે હવે માત્ર શહેરોમાં જ નહીં પરંતુ ગામડાઓમાં પણ હાઇ બ્લડ શુગર (High Blood Sugar)ની સમસ્યા ઝડપથી વધી રહી છે. ચિંતાજનક બાબત એ છે કે હવે ઓછી ઉંમરે પણ લોકો ટાઇપ-2 ડાયાબિટીસનો ભોગ બની રહ્યા છે.
શરીરમાં ધીમે-ધીમે કામ કરે છે Awiqli ઇન્સ્યુલિન
Awiqli ઇન્સ્યુલિન શરીરમાં દાખલ થયા પછી એલ્બ્યુમિન પ્રોટીન (Albumin Protein) સાથે જોડાઈ જાય છે. ત્યારબાદ તે શરીરની જરૂરિયાત પ્રમાણે દરરોજ ધીમે-ધીમે ઇન્સ્યુલિન છોડે છે, જેના કારણે બ્લડ શુગરનું સ્તર (Blood Sugar Level) લાંબા સમય સુધી નિયંત્રણમાં રહે છે. આ ઇન્સ્યુલિન અઠવાડિયામાં કોઈપણ એક નિશ્ચિત દિવસે લઈ શકાય છે. તેને ફ્લેક્સટચ (FlexTouch) નામના ખાસ પેન ડિવાઇસ (Pen Device) દ્વારા સરળતાથી આપવામાં આવે છે. આ દવાને અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) તેમજ યુરોપિયન મેડિસિન્સ એજન્સી (EMA) સહિત અનેક દેશોમાં મંજૂરી મળી ચૂકી છે અને હવે તેનું ભારતમાં પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
ક્લિનિકલ ટ્રાયલમાં મળ્યા સારા પરિણામ
Awiqli ઇન્સ્યુલિન પર કરવામાં આવેલા ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trial)માં પણ સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ઇન્સ્યુલિને HbA1c લેવલમાં અસરકારક સુધારો કર્યો હતો અને લાંબા સમય સુધી દર્દીઓનું બ્લડ શુગર સામાન્ય મર્યાદામાં જાળવી રાખ્યું હતું. મહત્વની વાત એ છે કે તેની સલામતી (Safety) દરરોજ આપવામાં આવતા ઇન્સ્યુલિન જેટલી જ અસરકારક જોવા મળી હતી. ટ્રાયલ દરમિયાન દર્દીઓમાં કોઈ વધારાનું જોખમ નોંધાયું નહોતું. ઉપરાંત ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા મોટા ભાગના દર્દીઓનું HbA1c સ્તર 7 ટકા કરતાં નીચે રહ્યું, જેને ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે ઉત્તમ માનવામાં આવે છે.
દર્દીઓનો માનસિક તણાવ પણ થશે ઓછો
નોવો નોર્ડિસ્ક ઇન્ડિયા (Novo Nordisk India)ના મેનેજિંગ ડિરેક્ટર (Managing Director) વિક્રાંત શ્રોત્રિયાએ જણાવ્યું કે Awiqliનું ભારતમાં આગમન ડાયાબિટીસની સારવાર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે. અઠવાડિયામાં માત્ર એક જ વાર ઇન્સ્યુલિન લેવાની સુવિધાથી દર્દીઓનો માનસિક તણાવ (Mental Stress) ઘટશે, સારવારનું પાલન સરળ બનશે અને તેમના જીવનની ગુણવત્તા (Quality of Life)માં પણ નોંધપાત્ર સુધારો થશે.
આ પણ વાંચો : Morning Yoga Benefits : સમય નથી? રોજ ઘરે માત્ર 10 મિનિટ કરો આ યોગ, શરીર રહેશે એકદમ હેલ્ધી