આ પીણાંનો ક્રેઝ નોંધપાત્ર રીતે વધ્યો
આજના સમયમાં યુવાનો, ખાસ કરીને વિદ્યાર્થીઓ (Students) અને એથ્લેટ્સ (Athletes) માં આ પીણાંનો ક્રેઝ નોંધપાત્ર રીતે વધ્યો છે. જોકે, હવે યુવાનો અને વૃદ્ધોમાં પણ તેની લોકપ્રિયતા વધી રહી છે. મોટાભાગના લોકો તેને તાત્કાલિક ઉર્જા (Instant Energy) મેળવવાનો સારો સ્ત્રોત માને છે. પરંતુ શું ખરેખર આ ડ્રિંક્સ એનર્જી આપે છે? આવો જાણીએ તેને પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે.
હૃદયરોગ, ડાયાબિટીસ અને સ્ટ્રોકનો ખતરો
જાણીતા મેડિકલ પ્લેટફોર્મ 'PUBMed' માં પ્રકાશિત થયેલા રિસર્ચ અનુસાર, એનર્જી ડ્રિંક્સ હાઈ બ્લડ પ્રેશર (High Blood Pressure) નું મુખ્ય કારણ બની શકે છે. તેનાથી હૃદયના ધબકારા અસામાન્ય રીતે વધવા (Sinus Tachycardia) ની સમસ્યા સર્જાઈ શકે છે જેની સીધી અસર હૃદય (Heart) પર થાય છે. આ પીણાંમાં કેફીન (Caffeine) અને ખાંડ (Sugar) નું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જેનાથી હૃદયના ધબકારા વધવા, અચાનક બીપી વધવું અને બેચેની થવી સામાન્ય છે. સમય જતાં આ ડ્રિંક્સ અનિદ્રા, દાંતનો સડો, મેદસ્વીતા (Obesity) અને ટાઇપ-2 ડાયાબિટીસ (Type-2 Diabetes) નું જોખમ વધારે છે.
શરીરના અંગોને ગંભીર નુકસાન
PUBMed ના અન્ય એક અભ્યાસમાં એનર્જી ડ્રિંક્સની અત્યંત ખરાબ અસરો (Negative Impact) વિશે ખુલાસો થયો છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે આ પીણાં શરીરના વિવિધ અંગો પર ખરાબ અસર કરે છે. તેનાથી પેટની સમસ્યાઓ, ગભરામણ અને ડિહાઇડ્રેશન (Dehydration) થઈ શકે છે. વધુ પડતા સેવનથી કિડનીને નુકસાન (Acute Kidney Injury), વેન્ટ્રિક્યુલર ફાઇબ્રિલેશન, આંચકી આવવી (Seizures), એક્યુટ મેનિયા અને બ્રેઇન સ્ટ્રોક (Stroke) જેવી જીવલેણ બીમારીઓ પણ થઈ શકે છે.
મૃત્યુનું કારણ બની શકે છે એનર્જી ડ્રિંક્સ
સ્ટડીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, એનર્જી ડ્રિંક્સના અતિશય સેવનથી મૃત્યુ (Death) ના કિસ્સા પણ સામે આવ્યા છે. નેશનલ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન એક્ઝામિનેશન સર્વેના ડેટા દર્શાવે છે કે કિશોરો દરરોજ સરેરાશ 61 મિલિગ્રામ કેફીન લે છે. હાલના સમયમાં આ ડ્રિંક્સ પીનારાઓની સંખ્યા વધી છે. સ્કૂલના બાળકો માત્ર શોખ ખાતર આ ડ્રિંક્સ પી રહ્યા છે, જે તેમના સ્વાસ્થ્ય (Health) ને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે.
નિષ્ણાતોનો શું મત છે?
દિલ્હીની લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. એલ.એચ. ઘોટેકર જણાવે છે કે, "એનર્જી ડ્રિંક્સ કોઈપણ રીતે સ્વાસ્થ્ય માટે સારા નથી. તેમાં અનેક પ્રકારના હાનિકારક રસાયણો (Chemicals) અને પુષ્કળ પ્રમાણમાં ખાંડ ઉમેરવામાં આવે છે. બાળકો તેને વધુ પીતા હોવાથી નાની ઉંમરે જ તેમનામાં બીમારીઓનું જોખમ વધી રહ્યું છે."
એનર્જી ડ્રિંકની લત કેમ લાગે છે?
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, એનર્જી ડ્રિંકમાં રહેલું કેફીન અને સુગર શરીરમાં જઈને ડોપામાઇન હોર્મોન (Dopamine Hormone) નું સ્તર વધારે છે. આ હોર્મોન વ્યક્તિને ક્ષણિક ખુશી આપે છે. આ ખુશીની અનુભૂતિને કારણે વ્યક્તિ વારંવાર આ ડ્રિંક પીવા માટે આકર્ષાય છે અને તેને વ્યસન (Addiction) લાગી જાય છે. વાસ્તવમાં આ કોઈ એનર્જીનો સ્ત્રોત નથી અને શરીર માટે હેલ્ધી (Healthy) પણ નથી.
એનર્જી ડ્રિંકના બદલે અપનાવો આ સ્વસ્થ અને કુદરતી વિકલ્પો
આજકાલ તાત્કાલિક ઉર્જા મેળવવા માટે ઘણા લોકો એનર્જી ડ્રિંકનો સહારો લે છે, પરંતુ તેમાં રહેલી વધુ માત્રાની ખાંડ અને કેફીન લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. તેના બદલે કુદરતી અને પૌષ્ટિક પીણાં વધુ સારો વિકલ્પ સાબિત થાય છે. ગ્રીન ટી શરીરને હળવી ઉર્જા આપવાની સાથે એન્ટીઑક્સિડન્ટ્સથી પણ સમૃદ્ધ છે, જ્યારે લીંબુ પાણી શરીરને હાઇડ્રેટ રાખીને તરોતાજગીનો અનુભવ કરાવે છે. નાળિયેર પાણીમાં રહેલા કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ થાક દૂર કરવામાં મદદરૂપ બને છે અને છાશ પાચન સુધારવાની સાથે શરીરને ઠંડક અને જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે. તેથી, રોજિંદા જીવનમાં એનર્જી ડ્રિંકને બદલે આ કુદરતી પીણાંનો સમાવેશ કરવાથી શરીરને સ્વસ્થ અને લાંબા સમય સુધી ઊર્જાવાન રાખવામાં મદદ મળી શકે છે.
આ પણ વાંચો : Cancer Drug Launched : કેન્સરની સારવારમાં આવશે નવી ક્રાંતિ! ભારતમાં લોન્ચ થઈ આ દવા, જાણો કેવી રીતે કરશે જડમૂળથી ઇલાજ