યુદ્ધના લીધે ઇઝરાયલમાં શ્રમિકોની અછત! PM નેતન્યાહુએ વડાપ્રધાન મોદી સાથે ટેલિફોન પર કરી વાત
હમાસ અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના કારણે હમાસને ભારે આર્થિક અને માનવીય નુકસાન વેઠવું પડી રહ્યું છે. ત્યારે બીજી તરફ ઇઝરાયલને પણ આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. યુદ્ધના કારણે ઇઝરાયલમાં શ્રમિકોની પણ ઘણી અછત ઊભી થઈ છે. આ કારણે આ સમસ્યાને દૂર કરવા માટે ઇઝરાયલે ભારત પાસેથી હજારો શ્રમિકોની માગ કરી છે. આ મુદ્દે બંને દેશો વચ્ચે ચર્ચા થઈ છે.
પીએમ મોદી અને નેતન્યાહુ વચ્ચે વાતચીત
દરમિયાન, પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu) વચ્ચે ટેલિફોનિક વાત થઈ હતી, જેમાં તાત્કાલિક ધોરણે ભારતમાંથી શ્રમિકોની પહેલી બેચ મોકલવા પર સહમતિ બની છે. વડાપ્રધાન મોદીએ ઇઝરાયલ પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે થયેલા વાતચીતની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વીટર) પર આપી છે. તેમણે કહ્યું કે, 'ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ, દરિયાઇ ટ્રાફિકની સલામતી અંગેની ચિંતાઓ પર વિચોરોનું આદાન-પ્રદાન થયું.'
દરિયાઈ માર્ગને સુરક્ષા આપવાના મહત્ત્વ પર ચર્ચા
વડાપ્રધાન મોદીએ તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે, "વાટાઘાટોમાં શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપનાની તરફેણમાં ભારતના વલણનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. સાથે જ આ ક્ષેત્રમાં અસરગ્રસ્તોને માનવતાવાદી સહાયતા ચાલુ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો." બીજી તરફ ઇઝરાયલના વિદેશ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, પીએમ મોદી અને નેતન્યાહૂએ બાબ-અલ-મનેદબના સંદર્ભમાં દરિયાઈ માર્ગને સુરક્ષા આપવાના મહત્ત્વ પર ચર્ચા થઈ. પીએમ મોદીએ કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય માર્ગો પર જહાજોની અવરજવર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તેમને દરેક કિંમતે સુરક્ષા આપવી જોઈએ.
આ પણ વાંચો - Corona Update: ભારત સાથે દુનિયાના ક્યા પાંચ દેશોમાં પહોંચી ગયું કોરોનાનું નવું ઘાતક સ્વરૂપ ?