વિદેશમાં નોકરીની લાલચે જનારા યુવકો ચેતી જજો!
- વિદેશમાં નોકરીની લાલચે જનારા યુવકો ચેતી જજો!
- મ્યાનમારમાં નોકરીની લાલચે બંધક ભારતીયોની મુક્તિ
- કેન્દ્ર સરકારે 283 ભારતીયને મ્યાનમારથી મુક્ત કરાવ્યા
- વાયુસેનાના C-17 વિમાન મારફતે દેશમાં પરત લવાયા
- ભારતીયોને બંધક બનાવીને કરાવાતું હતું સાયબર ફ્રોડ
- મ્યાનમાર-થાઈલેન્ડ સરહદે ધમધમી રહ્યાં છે કોલ સેન્ટરો
- દુનિયાભરના અનેક લોકોને ગેરકાયદે બન્યા છે બંધક
Myanmar Job Scam : વિદેશમાં આકર્ષક નોકરી અને મોટા પગારની લાલચ ઘણા યુવાનોને આકર્ષે છે, પરંતુ આ લાલચની પાછળ છુપાયેલા જોખમોથી અજાણ રહેવું ભારે પડી શકે છે. તાજેતરમાં ભારત સરકારે મ્યાનમારમાં નોકરીના નામે બંધક બનાવવામાં આવેલા 283 ભારતીયોને મુક્ત કરાવી તેમને દેશમાં પરત લાવ્યા છે. આ ઘટનાએ વિદેશમાં રોજગારની શોધમાં જતા લોકો માટે એક મોટી ચેતવણી સમાન છે. આ લોકોને થાઈલેન્ડ-મ્યાનમાર સરહદ પાસે સ્થિત સાયબર ફ્રોડ કેન્દ્રોમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યા હતા અને તેમની પાસે અપરાધિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી હતી.
મ્યાનમારમાં બંધક બનાવવાની ઘટના
આ ઘટનામાં, ભારતીય યુવાનોને નોકરીની લાલચ આપીને થાઈલેન્ડ અને મ્યાનમાર લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમનો સાયબર સ્લેવ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવા કેન્દ્રો મ્યાનમાર-થાઈલેન્ડ સરહદ પર સક્રિય છે, જ્યાં કોલ સેન્ટરોના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે. આ લોકોને બંધક બનાવીને તેમની પાસે ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ગુનાઓ કરાવવામાં આવતા હતા. આવી પરિસ્થિતિમાંથી બચવા માટે ભારત સરકારે તાત્કાલિક પગલાં લીધાં અને ભારતીય વાયુસેનાના C-17 વિમાન દ્વારા તમામને સ્વદેશ પાછા લાવવામાં આવ્યા. જણાવી દઇએ કે, આ બચાવ કાર્ય ભારત સરકારના સંકલિત પ્રયાસોનું પરિણામ હતું. થાઈલેન્ડ અને મ્યાનમારમાં સ્થિત ભારતીય દૂતાવાસોએ સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને આ લોકોને મુક્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ કામગીરીમાં સમયસર કાર્યવાહી અને આંતરરાષ્ટ્રીય સહયોગની મદદથી 283 ભારતીયોને સુરક્ષિત રીતે ભારત લાવવામાં સફળતા મળી. આ ઘટના દર્શાવે છે કે સરકાર પોતાના નાગરિકોની સુરક્ષા માટે કેટલી ગંભીર છે.
સાયબર ફ્રોડનું જોખમ
મ્યાનમાર-થાઈલેન્ડ સરહદે આવેલા આ કેન્દ્રોમાં બંધક બનાવાયેલા લોકોને સાયબર ફ્રોડની પ્રવૃત્તિઓમાં સામેલ કરવામાં આવ્યા હતા. આવા કેન્દ્રો દ્વારા દુનિયાભરના લોકોને નિશાન બનાવીને ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવે છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં લોકોને જબરદસ્તીથી સામેલ કરવામાં આવે છે, અને ના પાડનારાઓને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવે છે. આ ઘટનાએ સાયબર ગુનાઓના વધતા જોખમને ઉજાગર કર્યું છે. આ ઘટના બાદ વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, વિદેશમાં નોકરીની કોઈપણ ઓફર સ્વીકારતા પહેલાં ભરતી કરનારી એજન્સીઓ અને કંપનીઓની પૃષ્ઠભૂમિની ચકાસણી કરવી જરૂરી છે. વિદેશમાં સ્થિત ભારતીય દૂતાવાસો દ્વારા આવી ઓફરની ખરાઈની પુષ્ટિ કર્યા બાદ જ તેને સ્વીકારવાની સલાહ આપવામાં આવે છે. આ પ્રકારની સાવચેતીથી ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકી શકાય છે.
યુવાનો માટે ચેતવણી
આ ઘટના એક મોટી ચેતવણી છે, ખાસ કરીને એવા યુવાનો માટે જેઓ વિદેશમાં નોકરીની શોધમાં જાય છે. ઘણીવાર આકર્ષક પગાર અને સારી જીવનશૈલીનું વચન આપતી ઓફર્સ પાછળ છેતરપિંડી છુપાયેલી હોય છે. થાઈલેન્ડ, મ્યાનમાર જેવા દેશોમાં આવા સાયબર ફ્રોડ કેન્દ્રો ધમધમી રહ્યા છે, જ્યાં નિર્દોષ લોકોને બંધક બનાવીને ગેરકાયદેસર કામ કરાવવામાં આવે છે. તેથી, કોઈપણ નિર્ણય લેતા પહેલાં સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે.
આ પણ વાંચો : તમે મેળવી શકો છો અન્ય દેશની નાગરિકતા! જાણો કેવી રીતે