Ethiopia Volcano Ash Cloud : 12 હજાર વર્ષ બાદ જ્વાળામુખી ફાટ્યો! દિલ્હી પહોંચી રાખ
- Ethiopia Volcano Ash Cloud
- ઈથોપિયામાં 12 હજાર વર્ષ બાદ જ્વાળામુખી ફાટ્યો
- જ્વાળામુખીની રાખ ઉત્તર ભારત સુધી પહોંચી શકે છે
- હાયલી ગૂબી જ્વાળામુખી ફાટતા હવાઈ સેવાને અસર
- કન્નૂર-અબુ ધાબીની ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરાઈ
- અનેક ફ્લાઈટના રૂટ ડાયવર્ટ, એરલાઈન્સની ચેતવણી
- રાખનો પ્લુમ 10થી 15 કિલોમીટરની ઊંચાઈ સુધી વધ્યો
- લાલ સમુદ્ર પાર કરીને યમન, ઓમાન પહોંચ્યા વાદળ
Ethiopia Volcano Ash Cloud : પૃથ્વીના પેટાળમાં ચાલતી રહસ્યમય ગતિવિધિઓએ ફરી એકવાર સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, છેલ્લા 12,000 વર્ષોથી શાંત પડેલો ઇથોપિયાનો શક્તિશાળી હાયલી ગૂબી (Hayli Gubbi) જ્વાળામુખી અચાનક ભયંકર વિસ્ફોટ સાથે ફાટી નીકળ્યો છે. આ વિરાટ કુદરતી ઘટના માત્ર ઇથોપિયા પૂરતી સીમિત નથી, પરંતુ તેનાથી નીકળેલી રાખનો ધૂમ્રસેર (Plume) હજારો કિલોમીટરનું અંતર કાપીને હવે ભારત તરફ આગળ વધી રહ્યો છે, જેના કારણે ઉત્તર ભારત અને હવાઈ મુસાફરી પર ગંભીર અસર થવાની શક્યતા છે.
આકાશને આંબતો રાખનો Plume અને તેની ગતિ
ઇથોપિયામાં હાયલી ગૂબી જ્વાળામુખીના ભયાનક વિસ્ફોટને કારણે સર્જાયેલું દૃશ્ય ખરેખર અવિશ્વસનીય છે. આ વિસ્ફોટમાંથી નીકળેલો રાખનો વિશાળ વાદળ (Plume) 10થી 15 કિલોમીટરની પ્રચંડ ઊંચાઈ સુધી પહોંચ્યો છે, જે લાલ સમુદ્રને ઓળંગીને યમન અને ઓમાન જેવા દૂરના દેશો સુધી ફેલાઈ ચૂક્યો છે. આ ધૂમ્રસેરની ગતિ આશ્ચર્યજનક છે; તે 100થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર ભારત તરફ ધસી રહ્યો છે, જે વાતાવરણમાં 15,000 ફૂટથી લઈને 45,000 ફૂટ સુધીની વિવિધ ઊંચાઈએ ગતિ કરી રહ્યો છે. આ પ્લુમની રચના માત્ર રાખ પૂરતી સીમિત નથી, પરંતુ તેમાં સલ્ફર ડાયોક્સાઇડ (SO2) જેવા જોખમી વાયુઓ અને કાચ તેમજ ખડકના અતિસૂક્ષ્મ કણો પણ ભળેલા છે. આ કણો હવાઈ જહાજોના એન્જિન માટે અને મનુષ્યોના શ્વસનતંત્ર માટે ગંભીર જોખમ ઊભું કરે છે, જેના કારણે વૈશ્વિક હવાઈ વ્યવહાર પર મોટી અસર થવાની શક્યતા છે.
Ethiopia ના રાખના વાદળોની ભારત તરફ ગતિ
ઇથોપિયાના જ્વાળામુખી વિસ્ફોટ બાદ, રાખના વાદળ હજારો કિલોમીટરનું અંતર કાપીને હવે ભારતીય સરહદો તરફ આગળ વધી રહ્યા છે, જેના પર ભારતીય હવામાન વિભાગ અને ખાનગી એજન્સીઓ સતત નજર રાખી રહી છે. ઇન્ડિયામેટસ્કાય વેધરના તાજેતરના અહેવાલો મુજબ, આ જોખમી ધૂમ્રસેરના પ્રવેશનો સંભવિત સમય અને સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. એવી ધારણા છે કે આ રાખના વાદળ આજે સાંજે સૌપ્રથમ પશ્ચિમ ભારતના વિસ્તારોમાં પ્રવેશ કરશે. ખાસ કરીને, તે ગુજરાતના પશ્ચિમી ભાગોમાં સૌથી પહેલા જોવા મળી શકે છે.
પશ્ચિમી અને ઉત્તરીય રાજ્યોને સતર્ક રહેવાની ચેતવણી
ગુજરાતમાં પ્રવેશ બાદ આ વાદળ ઝડપથી રાજસ્થાન, ઉત્તરપશ્ચિમ મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા અને પંજાબ તરફ આગળ વધશે. ત્યારબાદ તેની અસર હિમાલય અને અન્ય ઉત્તરીય પ્રદેશોમાં જોવા મળી શકે છે. આ રાખના કણો વાતાવરણમાં ફેલાઈને Visibility ઘટાડી શકે છે અને હવાઈ મુસાફરી માટે જોખમ ઊભું કરી શકે છે, જેના કારણે સત્તાધીશોઓએ પશ્ચિમી અને ઉત્તરીય રાજ્યોને સતર્ક રહેવાની ચેતવણી આપી છે. આ રાખના કારણે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. સામાન્ય દિવસોની તુલનામાં આકાશ વધુ ઘેરું અને ધુમ્મસવાળું દેખાઈ શકે છે, જે સૂર્યપ્રકાશને પણ અસર કરી શકે છે.
જ્વાળામુખીની રાખના જોખમને કારણે હવાઈ મુસાફરી પર ગંભીર અસર
ઇથોપિયામાં થયેલા જ્વાળામુખી વિસ્ફોટમાંથી નીકળેલી રાખના સૂક્ષ્મ કણોએ હવાઈ મુસાફરી માટે ગંભીર જોખમ ઊભું કર્યું છે, કારણ કે આ કણો વિમાનના એન્જિનમાં પ્રવેશીને તેને નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. આ જોખમને પગલે વૈશ્વિક સ્તરે અસર થઈ છે, અને ભારતમાં પણ તેના પરિણામો જોવા મળ્યા છે; ઉદાહરણ તરીકે, કન્નૂર-અબુ ધાબીની એક ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવી પડી હતી, અને અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના રૂટ બદલવામાં આવ્યા છે.
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને, ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ તમામ એરલાઇન્સ માટે તાત્કાલિક એડવાઇઝરી જાહેર કરી છે. DGCAએ એરલાઇન્સને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ ઊંચાઈ અને જ્વાળામુખીની રાખથી પ્રભાવિત વિસ્તારોથી દૂર રહે, જ્યારે એરપોર્ટ સત્તાધીશોને રનવેની દૂષિતતા માટે સતત નિરીક્ષણ રાખવા અને જોખમી સ્થિતિમાં હવાઈ કામગીરી સ્થગિત કરવા પણ આદેશ આપ્યો છે.
આ પણ વાંચો : Israel Army ને મોટી સફળતા મળી, હવાઇ હુમલામાં હમાસના મુખ્ય હથિયાર સપ્લાયરનું મોત