વડાપ્રધાન મોદીએ બંને દેશોના સંબંધ પર ભાર મુક્યો
ભારત G7 Summit નું સભ્ય દેશ નથી તેમ છતાં કેનેડાના PM Mark Carney એ વડાપ્રધાન મોદીને ખાસ આમંત્રણ આપ્યું હતું. PM Narendra Modi એ આ આમંત્રણ સ્વીકારીને કેનેડા ગયા અને માર્ક કાર્ની સાથે સૂચક મુલાકાત પણ કરી છે. આ મુલાકાત બંને તરફથી ઉષ્માપૂર્ણ રહેતા ભારત અને કેનેડાના સંબંધો હકારાત્મક અને મજબૂત બનશે તેવી આશા જાગી છે. PM મોદીએ કેનેડાના PM માર્ક કાર્ની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ દરમિયાન, PM મોદીએ બંને દેશો વચ્ચેના સંબંધો પર ભાર મૂકતા કહ્યું કે, ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ઘણી રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણી કેનેડિયન કંપનીઓ ભારતમાં રોકાણ કરે છે. ભારતના લોકોનું પણ કેનેડિયન ધરતી પર મોટું રોકાણ છે. લોકશાહી મૂલ્યોને સમર્પિત, કેનેડા અને ભારતે સાથે મળીને લોકશાહી અને માનવતાને મજબૂત બનાવવી પડશે.
ભારત-કેનેડા સાથે મળીને પ્રગતિ કરશે
PM મોદીએ કાર્ની સાથેની મુલાકાત દરમિયાન કહ્યું કે આપણે માનવતાના કલ્યાણ માટે આપણા સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકીએ તે દિશામાં પ્રયાસો ચાલુ રાખીશું. PM મોદીએ કહ્યું કે, કેનેડામાં ચૂંટણી પછી કાર્ની સાથે આ તેમની પહેલી મુલાકાત છે. ચૂંટણીમાં જીત બદલ અભિનંદન આપતા તેમણે આશા વ્યક્ત કરી કે આવનારા સમયમાં ભારત અને કેનેડા ઘણા ક્ષેત્રોમાં સાથે મળીને પ્રગતિ કરશે. કેનેડાના વડાપ્રધાન સાથેની મુલાકાત દરમિયાન, PM મોદીએ કહ્યું કે ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. G-20 સમિટના પ્રમુખ તરીકે, ભારતે વિશ્વ માટે ઘણી ફાયદાકારક પહેલ કરી છે. આજે G-20 માં ભારતે રજૂ કરેલા સિદ્ધાંતોને G-7 માં નવા સ્વરૂપમાં આગળ વધારવાની તક છે, ભારત હંમેશા વૈશ્વિક ભલા માટે આ તકનો ઉપયોગ કરવા તૈયાર રહ્યું છે અને આગળ પણ તૈયાર રહેશે.
આ પણ વાંચોઃ PM મોદીની કેનેડા મુલાકાતને લઈને NRIs કેમ ઉત્સાહિત છે? જાણો તેઓ શું કહે છે
વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરી
PM મોદીએ તેમના સત્તાવાર X એકાઉન્ટ પર એક પોસ્ટમાં લખ્યું, 'PM કાર્ની અને હું ભારત-કેનેડા સંબંધોને વેગ આપવા માટે સાથે મળીને કામ કરવા આતૂર છીએ. આ સંદર્ભમાં બંને વચ્ચે વેપાર, ઊર્જા, અવકાશ, સ્વચ્છ ઊર્જા, મહત્વપૂર્ણ ખનિજો, ખાતર, AI નું ભવિષ્ય, આતંકવાદ સામેની લડાઈ સહિતના ક્ષેત્રોમાં અપાર શક્યતાઓ છે. PM કાર્ની સાથેની તેમની મુલાકાત ઉત્તમ રહી અને કેનેડા અને ભારત લોકશાહી, સ્વતંત્રતા અને કાયદાના શાસનમાં મજબૂત વિશ્વાસ દ્વારા જોડાયેલા છે. ભારત-કેનેડા વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. PM કાર્નીએ અગાઉ કહ્યું હતું કે તેમણે વૈશ્વિક સપ્લાય ચેઈનમાં તેના મહત્વને કારણે G7 ના સભ્ય ન હોવા છતાં ભારતને આમંત્રણ આપ્યું છે. કાર્નીએ PM મોદીને કહ્યું, મારા માટે ખૂબ જ સન્માનની વાત છે કે તમે અહીં છો. PM મોદીએ કહ્યું, હું તમારો ખૂબ આભારી છું કે તમે ભારતને G7 માં આમંત્રણ આપ્યું અને હું ભાગ્યશાળી છું કે મને 2015 પછી ફરી એકવાર કેનેડાની મુલાકાત લેવાની અને કેનેડાના લોકો સાથે જોડાવાની તક મળી.
આ પણ વાંચોઃ Iran-Israel War : આ સંઘર્ષ વધતો રહેશે તો મધ્ય પૂર્વના દેશો સૌથી પહેલા ભોગ બનશે - ચીન