અયાતુલ્લા અલી ખામેનેઇના અંતિમ સંસ્કારથી પુત્ર મુજ્તબા કેમ રહેશે દૂર?
ઇરાનના ધાર્મિક અને રાજકીય ઇતિહાસમાં આ એક અભૂતપૂર્વ વળાંક માનવામાં આવી રહ્યો છે. ઇરાનના સુપ્રીમ લીડરના સત્તાવાર પ્રતિનિધિ અયાતુલ્લા હકીમ ઇલાહીના હવાલાથી મીડિયા સમક્ષ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. દેશ અને દુનિયાના લાખો લોકો જ્યારે આ મહાસભામાં ભાગ લેવા આવી રહ્યા છે, ત્યારે ખુદ દિવંગત નેતાના વારસદાર તેમાં હાજર નહીં રહે.આ નિર્ણય માત્ર કૌટુંબિક નથી પરંતુ તેની પાછળ ઇરાનનું ટોચનું લશ્કરી અને ગુપ્તચર પ્રશાસન જોડાયેલું છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, મુજ્તબા ખામેનેઇને સાર્વજનિક સ્થળો પર લાવવા એ આ સમયે સમગ્ર દેશની સ્થિરતા માટે જોખમી સાબિત થઈ શકે છે.
ઇઝરાયેલી એર સ્ટ્રાઇક અને સુરક્ષા એજન્સીઓનો ગુપ્ત ઇનપુટ
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇરાની ગુપ્તચર એજન્સીઓને ઇઝરાયેલ તરફથી કોઈ મોટા ઓપરેશન અથવા હવાઈ હુમલાનો ગંભીર ડર છે. ઇઝરાયેલી સૈન્ય આ ભીડભાડ વાળા કાર્યક્રમનો લાભ ઉઠાવીને મુજ્તબાને નિશાન બનાવી શકે છે તેવી આશંકાના આધારે જ સુરક્ષા એજન્સીઓએ તેમને આ કાર્યક્રમથી સંપૂર્ણપણે દૂર રહેવાની કડક સલાહ આપી છે.
અશ્વિાસના માહોલમાં ઈરાનને નથી લેવુ જોખમ
અયાતુલ્લા હકીમ ઇલાહીએ વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, ભલે તાજેતરમાં અમેરિકા સાથે અમુક શાંતિ સમજૂતીઓ થઈ હોય, પરંતુ બંને પક્ષો વચ્ચે દાયકાઓ જૂનો ઊંડો અવિશ્વાસ અને તણાવ હજુ પણ યથાવત છે. આ વૈશ્વિક અવિશ્વાસના માહોલમાં ઇરાન કોઈ પણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી.
આકાશથી જમીન સુધી અત્યંત કડક સૈન્ય સુરક્ષા વ્યવસ્થાની જાહેરાત
આ ભવ્ય જનાઝાના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ઇરાની સૈન્યના સત્તાવાર પ્રવક્તા બ્રિગેડિયર જનરલ મોહમ્મદ અકરમિનિયાએ દેશવ્યાપી લોખંડી સુરક્ષા ઉપાયોની સત્તાવાર જાહેરાત કરી છે. દેશની સરહદો પર સેનાની અતિરિક્ત ટુકડીઓ તૈનાત કરીને સૈન્ય સુરક્ષા કવચ સજ્જ કરવામાં આવ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે ઇરાનની શક્તિશાળી એર ડિફેન્સ ફોર્સ (Air Defense Force) દેશના સમગ્ર હવાઈ ક્ષેત્ર પર ચોવીસ કલાક કડક નજર રાખશે. આ સમયગાળા દરમિયાન ઇરાન પરથી પસાર થતી તમામ વિદેશી કોમર્શિયલ અને પ્રાઇવેટ ફ્લાઇટ્સ પર વિશેષ નિયંત્રણો અને કમાન્ડ લાદવામાં આવ્યા છે, જેથી કોઈ અજ્ઞાત એરલાઇન દ્વારા ગુપ્ત હુમલો ન થઈ શકે.
ભારતીય પ્રતિનિધિમંડળની સત્તાવાર મુલાકાત
ઇરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઇના પાર્થિવ દેહને આગામી 9 જુલાઈના રોજ પવિત્ર મશહદ (Mashhad) શહેરમાં સત્તાવાર રીતે સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે, જ્યારે તેની ધાર્મિક પ્રક્રિયાઓ 4 જુલાઈથી જ શરૂ થઈ જશે. ભારત અને ઇરાનના દ્વિપક્ષીય અને વ્યૂહાત્મક સંબંધોને ધ્યાનમાં રાખીને ભારત સરકારનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આ અંતિમ સંસ્કારમાં ભાગ લેવા જઈ રહ્યું છે.
પવિત્ર માર્ગેરિટા અને સૈયદ અતા હસનૈન જશે ઇરાન
ભારતના વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર, ભારત તરફથી કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી પવિત્ર માર્ગેરિટા (Pabitra Margherita) અને બિહારના માનનીય રાજ્યપાલ સૈયદ અતા હસનૈન ઇરાન જવા રવાના થશે. આ બંને વરિષ્ઠ નેતાઓ ૩ જુલાઈના રોજ તેહરાન પહોંચશે અને ભારત સરકાર વતી દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
27 ફેબ્રુઆરીના મિસાઇલ હુમલાની પૃષ્ઠભૂમિ
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાનના સૈન્ય ઠેકાણાઓ પર કરવામાં આવેલા સંયુક્ત મિસાઇલ હુમલામાં તત્કાલીન સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઇનું મૃત્યુ થયું હતું. આ ભયાનક લશ્કરી હુમલામાં તેમનો પુત્ર મુજ્તબા ખામેનેઇ પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
મુજ્તબાની વર્તમાન શારીરિક સ્થિતિ
તે ઘટના બાદથી મુજ્તબાને ક્યારેય સાર્વજનિક રૂપે કે મીડિયા સમક્ષ જોવામાં આવ્યો નથી. પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓ સીઆઈઆર (CIA) અને મોસાદ દ્વારા વારંવાર એવા દાવા કરવામાં આવતા હતા કે મુજ્તબાની તબિયત અત્યંત નાજુક છે. જો કે, ઇરાની પ્રશાસને આ તમામ પશ્ચિમી અફવાઓને સખત શબ્દોમાં નકારી કાઢી છે અને માત્ર સુરક્ષાના પ્રોટોકોલને જ આ ગેરહાજરીનું અસલી કારણ ગણાવ્યું છે.
આ પણ વાંચો : Pakistani Show Zabt ના એક સીનથી મચ્યો હંગામો, ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ