સત્ય નડેલા અને સુંદર પિચાઈને પછાડીને ભારતીય મૂળના મહિલા બન્યા સૌથી અમીર CEO,જાણો તેમના વિશે
- હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2025 ની કરી જાહેરાત (Jayshree Ullal)
- વિશ્વની સૌથી વધુ અમીર CEO બન્યા જયશ્રી ઉલ્લાલ
- સત્ય નડેલા અને સુંદર પિચાઈને પછાડીને બન્યા અમીર CEO
જ્યારે પણ વિશ્વના સૌથી શક્તિશાળી અને ધનિક ભારતીય મૂળના અધિકારીઓની વાત નીકળે ત્યારે સામાન્ય રીતે સત્ય નડેલા અને સુંદર પિચાઈના નામ જ મનમાં આવે છે. પરંતુ, 'હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2025' ના તાજેતરના અહેવાલોએ સૌને ચોંકાવી દીધા છે. આ યાદી મુજબ, હવે ટોચનું સ્થાન નડેલા કે પિચાઈનું નહીં, પરંતુ એરિસ્ટા નેટવર્ક્સના પ્રમુખ અને CEO જયશ્રી ઉલ્લાલનું છે. ભારતીય મૂળના જયશ્રી ઉલ્લાલે આ દિગ્ગજોને પાછળ છોડી વિશ્વના સૌથી ધનિક પ્રોફેશનલ મેનેજર બનવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
વિશ્વની સૌથી વધુ અમીર CEO બન્યા Jayshree Ullal
હુરુન રિચ લિસ્ટ અનુસાર, જયશ્રી ઉલ્લાલની કુલ નેટવર્થ ₹50,170 કરોડ પર પહોંચી ગઈ છે, જેના કારણે તેઓ આ યાદીમાં પ્રથમ ક્રમે છે. તેમની સરખામણીએ માઇક્રોસોફ્ટના સત્ય નડેલા 9.77 બિલિયન ડોલર સાથે બીજા ક્રમે અને ગૂગલના સુંદર પિચાઈ 5.81 બિલિયન ડોલરની સંપત્તિ સાથે સાતમા ક્રમે છે. જયશ્રી વર્ષ 2008થી કમ્પ્યુટર નેટવર્કિંગ કંપની એરિસ્ટા નેટવર્ક્સનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ કંપનીની આવકમાં વર્ષ 2024માં 20 ટકાનો જંગી વધારો થયો છે અને તેઓ કંપનીમાં 3 ટકા હિસ્સો ધરાવે છે.
જાણો કોણ છે Jayshree Ullal ?
જયશ્રી ઉલ્લાલનો જન્મ લંડનમાં થયો હતો, પરંતુ તેમનો ઉછેર ભારતમાં થયો છે. માત્ર 5 વર્ષની ઉંમરે તેઓ ભારત આવ્યા હતા. તેમના પિતા એક ભૌતિકશાસ્ત્રી હતા અને તેમણે ભારતીય ટેકનોલોજી સંસ્થાન (IIT) ની સ્થાપનામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જયશ્રીએ તેમનો પ્રારંભિક અભ્યાસ નવી દિલ્હીની જાણીતી કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી શાળામાં કર્યો હતો. ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો સ્થાયી થયા હતા.
શિક્ષણની વાત કરીએ તો, જયશ્રી ઉલ્લાલે સાન ફ્રાન્સિસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક અને સાન્ટા ક્લેરા યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ક્ષેત્રે તેમના અસાધારણ યોગદાન બદલ વર્ષ 2025માં તેમને 'માનદ ડોક્ટરેટ' ની પદવીથી નવાજવામાં આવ્યા છે. આજે તેઓ વિશ્વભરની મહિલાઓ અને પ્રોફેશનલ્સ માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બન્યા છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હિંદુઓ પર ઈશનિંદાના નામે અત્યાચાર, 6 માસમાં 71 મામલા-સગીર પણ નિશાન


