આતંકી મસૂદ અઝહરનો ઓડિયો વાયરલ, IC-814 હાઇજેકિંગ અંગે કર્યા ચોંકાવનારા ખુલાસા
- જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર ઓડિયો વાયરલ
- આ વિડિયોમાં હાલ સોશિયલ મીડિયા પર વાયરલ
- IC-814 હાઇજેકિંગની વાતનો થયો છે ઉલ્લેખ
ભારત સામે નફરત ફેલાવનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) ના નેતા મસૂદ અઝહરનું એક નવું અને અત્યંત વિવાદાસ્પદ ઓડિયો રેકોર્ડિંગ સામે આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. આ ઓડિયોમાં મસૂદે જમ્મુની કોટ ભલવાલ જેલમાં ગાળેલા દિવસો અને 1999ના કુખ્યાત IC-814 હાઇજેકિંગ બાદ તેની મુક્તિ અંગે એવા દાવા કર્યા છે જે કોઈપણ ભારતીયનું લોહી ઉકાળી દે તેવા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ ઓડિયો
વાયરલ ઓડિયોમાં મસૂદ અઝહર પોતાની હિંસક વિચારધારાનો પ્રચાર કરતા કહે છે, "હું 50 વર્ષ સુધી લડીશ, પણ જેહાદનો અંત નહીં આવે." તેણે દાવો કર્યો કે જ્યારે તે જેલમાં હતો ત્યારે દિલ્હીના કેટલાક ઉચ્ચ અધિકારીઓ તેને મળવા આવ્યા હતા. તેમનો હેતુ એ જાણવાનો હતો કે શું જેલની કાળી કોટડીએ મસૂદનું મનોબળ તોડી નાખ્યું છે? અધિકારીઓના સવાલનો જવાબ આપતા આતંકીએ ઓડિયોમાં કહ્યું છે કે, "તમે જેલની દીવાલો પર લખેલા શબ્દો ભૂંસી શકો છો, પરંતુ કુરાનની આયતોમાં રહેલા જેહાદને કેવી રીતે ભૂંસી શકશો? આ લડાઈ દાયકાઓ સુધી ચાલશે."
વાજપેયી સરકાર અને જસવંત સિંહનો ઉલ્લેખ
મસૂદ અઝહરે ડિસેમ્બર 1999ના એ તણાવપૂર્ણ વાતાવરણને યાદ કર્યું જ્યારે ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટને હાઇજેક કરીને કંદહાર લઈ જવામાં આવી હતી. તે ઓડિયોમાં કટાક્ષ કરતા કહે છે તત્કાલીન વિદેશ મંત્રી જસવંત સિંહ 70 કલાક સુધી સૂઈ શક્યા નહોતા. અટલ બિહારી વાજપેયીની ઊંઘ ઉડી ગઈ હતી. મને કહેવામાં આવ્યું હતું કે આ જેલ જ મારી કબર બનશે, પણ કુદરતનો ખેલ જુઓ, મને મારા જ વિમાનમાં (ભારતના વિમાનમાં) સન્માન સાથે લઈ જવામાં આવ્યો.
પાસપોર્ટ-વિઝા વગરની એ મુક્તિ
પોતાની મુક્તિના દિવસને યાદ કરતા તે કહે છે કે, તેને જેલમાંથી સીધો એરપોર્ટ લઈ જવામાં આવ્યો હતો. "મુક્તિ સમયે ન તો કોઈ બોર્ડિંગ પાસ હતો, ન કોઈ વિઝા કે ઈમિગ્રેશન ક્લિયરન્સ. મને હાથકડી પહેરાવી અને આંખે પાટા બાંધીને લઈ જવામાં આવ્યો અને સીધો કંદહાર પહોંચાડી દેવાયો.
આ પણ વાંચો: બલુચિસ્તાન લિબરેશન આર્મી અને તહરીકે તાલિબાન પાકિસ્તાનને UAE પાળી રહ્યું છે! પત્રકારનો દાવો


