મ્યાનમારમાં ભૂકંપથી 10 હજારથી વધુ મોતની આશંકા!
- મ્યાનમાર અને બેંકોકમાં ભૂકંપથી તબાહી જ તબાહી
- મ્યાનમારમાં ભૂકંપથી 10 હજારથી વધુ મોતની આશંકા
- અત્યાર સુધીમાં એક હજારથી વધુના મોતની પુષ્ટિ
- 2,370 લોકો ઈજાગ્રસ્ત, હજારો લોકો હજુપણ લાપતા
- 8 સેકન્ડ સુધી અનુભવાયેલા ભૂકંપમાં હાહાકાર
- મ્યાનમારમાં ભૂકંપની તીવ્રતા 7.7ની નોંધાઇ
- અમેરિકાની જિઓલોજીકલ સર્વએ કર્યો છે મોટો દાવો
- થાઈલેન્ડમાં ભૂકંપની તીવ્રતા 7.2ની હોવાનું અનુમાન
Earthquake : શુક્રવારે મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા શક્તિશાળી ભૂકંપે આ બંને દેશોમાં ભારે વિનાશ સર્જ્યો છે. મ્યાનમારમાં ભૂકંપની તીવ્રતા 7.7 જ્યારે થાઈલેન્ડમાં 7.2ની નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ બંને દેશોમાં હજારો લોકોના જીવન પર અસર કરી છે, જેમાં મૃત્યુઆંક, ઘાયલોની સંખ્યા અને લાપતા લોકોની ગણતરી સતત વધી રહી છે. આ ભૂકંપને છેલ્લા 200 વર્ષમાં આ પ્રદેશમાં આવેલો સૌથી ભયાનક ભૂકંપ ગણાવવામાં આવી રહ્યો છે.
મ્યાનમારમાં ભૂકંપથી 10 હજારથી વધુ મોતની આશંકા
મ્યાનમારમાં શુક્રવારે સવારે 11:50 વાગ્યે આવેલા આ ભૂકંપની અસર માત્ર 8 સેકન્ડ સુધી રહી, પરંતુ તેના પરિણામો ભયાવહ રહ્યા. અત્યાર સુધીમાં 1 હજારથી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 2,370થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હજારો લોકો હજુ પણ લાપતા છે, જેના કારણે મૃત્યુઆંકમાં વધારો થવાની આશંકા વધી રહી છે. યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS)એ આશંકા વ્યક્ત કરી છે કે મ્યાનમારમાં મૃત્યુઆંક 10 હજારને પાર કરી શકે છે. બીજી તરફ, મ્યાનમારની લશ્કરી સરકારે હાલમાં 1 હજારથી વધુ મોત અને 2,300થી વધુ ઘાયલોની પુષ્ટિ કરી છે. આ ઘટનાએ મ્યાનમારના 6 રાજ્યોમાં ભારે હાહાકાર મચાવ્યો છે, જેના કારણે ત્યાં કટોકટી જાહેર કરવામાં આવી છે. થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ આ ભૂકંપની અસર જોવા મળી. એક 30 માળની ઇમારત ધરાશાયી થઈ જવાને કારણે ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. થાઈલેન્ડમાં ભૂકંપની તીવ્રતા 7.2 હોવાનું અનુમાન છે, અને આખા દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. આ ભૂકંપે બંને દેશોના લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે, અને બચાવ કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે.
ભારતे મદદનો હાછ લંબાવ્યો
આ વિનાશક ઘટના બાદ ભારત સરકારે મ્યાનમારને મદદનો હાથ લંબાવ્યો છે. ભારતે 'ઓપરેશન બ્રહ્મા' નામની રાહત કામગીરી શરૂ કરી છે, જેના ભાગરૂપે 15 ટન રાહત સામગ્રીનો પહેલો જથ્થો મ્યાનમાર પહોંચાડવામાં આવ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, આ સામગ્રીમાં ધાબળા, તાડપત્રી, સ્વચ્છતા કીટ, સ્લીપિંગ બેગ, સૌર લેમ્પ, ફૂડ પેકેટ અને રસોડાના સેટનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેનાનું C-130 વિમાન આ સામગ્રી લઈ ગયું છે, જેમાં સર્ચ અને બચાવ ટીમની સાથે એક તબીબી ટીમ પણ સામેલ છે. જયશંકરે ઉમેર્યું કે ભારત સ્થિતિ પર નજર રાખશે અને જરૂર પડશે તો વધુ સહાય મોકલશે.
PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
PM નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મ્યાનમાર તેમજ થાઈલેન્ડને દરેક સંભવિત મદદની ખાતરી આપી છે. ભારતીય દૂતાવાસે શુક્રવારે એક હેલ્પલાઈન નંબર (+66 618819218) જાહેર કર્યો છે, જેથી ભારતીય નાગરિકો કટોકટીની સ્થિતિમાં સંપર્ક કરી શકે.
આ પણ વાંચો : Earthquake : માત્ર 8 સેકન્ડમાં વિનાશ! 150 થી વધુના મોત, 700 લોકો ઈજાગ્રસ્ત