Norovirus Outbreak Luxury Cruise Ship: રૂબી પ્રિન્સેસ ક્રૂઝમાં વાયરસનો વિસ્ફોટ
સેન ફ્રાન્સિસ્કોથી રવાના થઈને કેનેડા અને અલાસ્કાની 20 દિવસની મુસાફરી પર નીકળેલા રૂબી પ્રિન્સેસ ક્રૂઝમાં નોરોવાયરસનું સંક્રમણ ફેલાયું છે. અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર (CDC) ના રિપોર્ટ પ્રમાણે સંક્રમિતોમાં 102 મુસાફરો અને 23 ક્રૂ મેમ્બર્સ સામેલ છે. જહાજ પર કુલ 3,032 પ્રવાસીઓ અને 1,144 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ ઘટનાની માહિતી 28 જૂનના રોજ સ્વાસ્થ્ય અધિકારીઓને આપવામાં આવી હતી. જોકે રાહતની વાત એ છે કે તમામ સંક્રમિતો એકસાથે બીમાર પડ્યા ન હતા.
Norovirus Outbreak Luxury Cruise Ship: શું છે આ નોરોવાયરસ ?
નોરોવાયરસ મુખ્યત્વે પેટ અને આંતરડાને નુકસાન પહોંચાડતો ખૂબ જ ચેપી વાયરસ છે. કોઈ સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી, દૂષિત ખોરાક ખાવાથી અથવા અશુદ્ધ પાણી પીવાથી આ વાયરસ શરીરમાં પ્રવેશે છે. આ ઉપરાંત સંક્રમિત સપાટીને અડકવાથી પણ આ રોગ ફેલાઈ શકે છે. ક્રૂઝ શિપ, હોસ્ટેલ, હોસ્પિટલ અને વૃદ્ધાશ્રમ જેવી મર્યાદિત જગ્યાઓમાં આ વાયરસના ફેલાવવાનું જોખમ સૌથી વધારે રહે છે. સામાન્ય લોકોમાં આ સંક્રમણ થોડા દિવસોમાં મટી જાય છે, પરંતુ નાના બાળકો અને વૃદ્ધો માટે તે જીવલેણ સાબિત થઈ શકે છે.
કંપનીએ લીધા કડક પગલાં
આ ઘટના સામે આવ્યા બાદ જહાજ સેન ફ્રાન્સિસ્કો પરત ફરતાની સાથે જ ખાસ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રિન્સેસ ક્રૂઝ કંપનીએ જણાવ્યું કે કેસ પ્રકાશમાં આવતા જ જહાજ પર વધારાની સ્વચ્છતા પ્રક્રિયા લાગુ કરવામાં આવી છે. સંક્રમણ ફરીથી ન ફેલાય તે માટે આગામી પ્રવાસ શરૂ થાય તે પહેલા સમગ્ર જહાજને સંપૂર્ણપણે સેનિટાઈઝ અને કીટાણુરહિત કરવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે સંક્રમિત લોકોને સમયસર અલગ રાખવા એ જ આ પ્રકોપને રોકવાનો એકમાત્ર ઉપાય છે.
આ વર્ષે ક્રૂઝ પર સંક્રમણનો આંકડો વધ્યો
CDC ના સત્તાવાર આંકડા મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં તેના કાર્યક્ષેત્ર હેઠળના ક્રૂઝ જહાજો પર બીમારી ફેલાવાની 7 ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. આ તમામ કેસોમાં મોટાભાગની ઘટનાઓ પાછળ નોરોવાયરસ જ મુખ્ય જવાબદાર હોવાનું સામે આવ્યું છે. હાલમાં સ્વાસ્થ્ય એજન્સીઓ સતત ક્રૂઝ કંપનીઓને સ્વચ્છતાના નિયમોનું કડક પાલન કરવા આદેશ આપી રહી છે. આ સાથે જ પ્રવાસીઓમાં કોઈપણ લક્ષણ દેખાય તો તુરંત વહીવટીતંત્રને જાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
નોરોવાયરસ, લક્ષણો અને બચાવના ઉપાયો
| લક્ષણો (Symptoms) | બચાવના ઉપાયો (Prevention) |
| * અચાનક ઉલ્ટી થવી | * સાબુ અને પાણીથી ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી હાથ ધોવા. |
| * ઝાડા (દસ્ત) થવા | * ભોજન કરતા પહેલા અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી હાથ સારી રીતે સાફ કરવા. |
| * પેટમાં અસહ્ય દુખાવો થવો | * સંક્રમિત વ્યક્તિના સંપર્કથી અને દૂષિત ખોરાક ખાવાથી બચવું. |
| * જીવ ચૂંથાવો (ઉબકા આવવા) | * હંમેશા સ્વચ્છ તેમજ સુરક્ષિત ભોજન અને પાણીનું સેવન કરવું. |
| * શરીરમાં ભારે નબળાઈ અનુભવવી | * સંક્રમિત સપાટીઓને નિયમિત રીતે સાફ અને કીટાણુરહિત કરવી. |
| ખાસ નોંધ: વાયરસના આ લક્ષણો સામાન્ય રીતે 1 થી 3 દિવસ સુધી રહી શકે છે. | ખાસ નોંધ: માત્ર હેન્ડ સેનિટાઈઝર પર નિર્ભર ન રહેવું, વાયરસથી બચવા સાબુ-પાણીનો જ ઉપયોગ કરવો. |
આ પણ વાંચો-- Khamenei Funeral : ઇરાનના દિવંગત સુપ્રીમ લીડરના અંતિમ સંસ્કારમાં કેમ સામેલ નહીં થાય તેમનો પુત્ર મુજ્તબા? જાણો કારણ