પાકિસ્તાની વાયુસેનાએ પોતાના જ નાગરિકો પર વરસાવ્યો કેર: 30થી વધુના મોત
- પાકિસ્તાન એરફોર્સે ખૈબર પખ્તુનખ્વામાં કર્યો હુમલો (Pakistan Air Force attack)
- પોતાના નાગરિકો પર પાકિસ્તાને વરસાવ્યા બોમ્બ
- પાકિસ્તાનના આ હુમલામાં 30 નાગરિકોના થયા મોત
- મૃતકોમાં મહિલા અને બાળકોનો પણ થાય છે સમાવેશ
પાકિસ્તાનની આંતરિક પરિસ્થિતિ વધુ વણસી રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે. સોમવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પાકિસ્તાની વાયુસેનાએ કરેલા હવાઈ હુમલાઓમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 30 નાગરિકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર, આ હુમલો વહેલી સવારે લગભગ 2 વાગ્યે થયો હતો જ્યારે પાકિસ્તાની લડાકુ વિમાનોએ તિરાહ ખીણમાં આવેલા માત્રે દારા ગામ પર આઠ બોમ્બ ફેંક્યા હતા. આ બોમ્બ ચીની JF-17 લડાકુ વિમાનોમાંથી ફેંકવામાં આવેલા LS-6 શ્રેણીના વિનાશકારી બોમ્બ હતા, જેના કારણે ગામમાં ભારે તબાહી મચી હતી.
પાક સરકારનું મૌન અને સ્થાનિકોનો આક્રોશ (Pakistan Air Force attack)
આ હુમલા અંગે પાકિસ્તાન સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, આ બોમ્બમારામાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે. ગામના લોકો જ્યારે ઊંઘી રહ્યા હતા ત્યારે જોરદાર ધમાકાથી તેઓ જાગી ગયા હતા. બોમ્બમારો એટલો ભયાનક હતો કે ગામનો મોટો ભાગ તબાહ થઈ ગયો છે.
સ્થાનિક મીડિયાએ ઘટનાસ્થળના હૃદયદ્રાવક ફોટા અને વિડીયો બહાર પાડ્યા છે, જેમાં બાળકો સહિત ઘણા મૃતદેહો પડેલા જોવા મળે છે. બચાવ ટુકડીઓ કાટમાળ હેઠળ દટાયેલા મૃતદેહોની શોધ કરી રહી છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
પાકિસ્તાનની આંતરિક પરિસ્થિતિ થઈ ઉજાગર (Pakistan Air Force attack)
ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ઘણા લોકો હજી પણ ગુમ છે. આ ઘટના પાકિસ્તાનની અંદરની અશાંતિ અને કલહને ઉજાગર કરે છે, જ્યાં સરકારની પકડ ઘણી નબળી છે. ખૈબર પખ્તુનખ્વાનો આ વિસ્તાર લાંબા સમયથી અશાંતિનો સામનો કરી રહ્યો છે, જ્યાં આતંકવાદી ગતિવિધિઓનું પ્રમાણ પણ વધારે છે.
605 આતંકવાદી ઘટનાઓ નોંધાઈ
પોલીસના જણાવ્યા અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં પ્રાંતમાં 605 આતંકવાદી ઘટનાઓ નોંધાઈ છે, જેમાં 138 નાગરિકો અને 79 પાકિસ્તાની પોલીસકર્મીઓ માર્યા ગયા છે. એકલા ઓગસ્ટ મહિનામાં જ 129 ઘટનાઓ નોંધાઈ હતી. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાની સેનાએ આતંકવાદી ઠેકાણાઓ પર કાર્યવાહી કરી હશે, પરંતુ આ હુમલામાં નિર્દોષ નાગરિકો ભોગ બન્યા છે. ભારત પણ પાકિસ્તાનને PoK અને આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવાની સલાહ આપતું રહ્યું છે.
આ પણ વાંચો : PoK આપમેળે ભારતમાં આવી જશે, જાણો Rajnath Singh એ આવું કેમ કહ્યું