પ્રમ્બાનન પ્રોજેક્ટ અને ASI ની વૈશ્વિક ભૂમિકા
આ ભવ્ય પ્રોજેક્ટનો શિલાન્યાસ ગયા વર્ષે એટલે કે 2025 માં રાષ્ટ્રપતિ પ્રબોવોની ભારત મુલાકાત દરમિયાન લેવાયેલા સંયુક્ત નિવેદન (Joint Statement) અંતર્ગત કરવામાં આવ્યો હતો, જેમાં ભારતે આ કાર્યમાં મદદ કરવાનું વચન આપ્યું હતું. હવે, 'ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ' (Archaeological Survey of India) આ ઐતિહાસિક સ્મારકને નવજીવન આપવાનું કામ સંભાળશે. ASI પ્રાચીન મંદિરોના જીર્ણોદ્ધારમાં વૈશ્વિક સ્તરે બહોળો અનુભવ ધરાવે છે. તે ઇન્ડોનેશિયન સંસ્કૃતિ મંત્રાલય અને ત્યાંની હેરિટેજ સંસ્થા સાથે મળીને આ કાર્ય કરશે.
આશરે 1,000 વર્ષ જૂના આ મંદિરને પુનઃસ્થાપિત કરવા માટે ખાસ 'એનાસ્ટાયલોસિસ ટેકનોલોજી' (Anastylosis Technology) નો ઉપયોગ કરવામાં આવશે, જે અંતર્ગત મંદિરને તેના મૂળ પથ્થરોનો ઉપયોગ કરીને જ ફરીથી કંડારવામાં આવે છે. વર્ષ 2026-27 માં શરૂ થનારો આ પ્રોજેક્ટ એક અદભુત સંયોગ છે, કારણ કે તે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની 1927 ની જાવા અને પ્રમ્બાનન મુલાકાતની શતાબ્દી (Centenary) ની ઉજવણી પણ છે.
પ્રમ્બાનન મંદિરનો ભવ્ય ઇતિહાસ અને સ્થાપત્ય
મધ્ય જાવાના જોગજાકાર્તા (Yogyakarta) થી આશરે 17 કિલોમીટર ઉત્તરપૂર્વમાં આવેલું પ્રમ્બાનન, ઇન્ડોનેશિયાનું સૌથી મોટું અને ભવ્ય હિન્દુ મંદિર છે. ઇ.સ. 850 ની આસપાસ સંજય રાજવંશ (Sanjaya Dynasty) ના રાજા રકાઈ પિકાટન દ્વારા નિર્મિત આ મંદિર ત્રિદેવ એટલે કે શિવ, વિષ્ણુ અને બ્રહ્માને સમર્પિત છે. આ મંદિરની સ્થાપત્ય શૈલી (Architectural Style) દક્ષિણ ભારતની પ્રખ્યાત પલ્લવ અને ચોલ શૈલીથી પ્રેરિત છે, જેમાં ઊંચા શિખરો, વિશાળ આંગણા અને સ્થાપત્યની 'મંડલા ખ્યાલ' (Mandala Concept) નો સમન્વય જોવા મળે છે.
તેનું મુખ્ય શિવ મંદિર આશરે 47 મીટર ઊંચું છે, જે ઇન્ડોનેશિયાના સૌથી ઊંચા પ્રાચીન ધાર્મિક સ્મારકો (Religious Monuments) માં સ્થાન પામે છે. એક સમયે આ સંકુલમાં 240 મંદિરો હતા, જ્યારે આસપાસના વિસ્તારમાં સેવુ, બુબ્રા અને લુમ્બંગ જેવા 500 થી વધુ મંદિરો આજે પણ મોજૂદ છે.
પૌરાણિક કથાઓ અને યુનેસ્કો હેરિટેજ દરજ્જો
આ મંદિરની પથ્થરની દિવાલો પર પવિત્ર રામાયણ મહાકાવ્ય (Ramayana Epic) ની કથા કંડારવામાં આવી છે, જેમાં પ્રભુ શ્રીરામના વનવાસથી લઈને રાવણના વધ સુધીના તમામ પ્રસંગો જીવંત થાય છે. આ ઉપરાંત, મંદિર સાથે એક સ્થાનિક લોકકથા (Folklore) પણ જોડાયેલી છે. લોકવાયકા મુજબ, રાજકુમારી રોરો જોંગગ્રાંગને મળેલા શ્રાપને કારણે તે પથ્થરની મૂર્તિ બની ગઈ હતી, જે મૂર્તિ આજે પણ મુખ્ય શિવ મંદિરમાં 'દુર્ગા મહિષાસુરમર્દિની' તરીકે પૂજાય છે.
સદીઓ સુધી ઉપેક્ષિત રહ્યા બાદ 19મી સદીની શરૂઆતમાં બ્રિટિશ પુરાતત્વવિદો દ્વારા આ સ્થળની પુનઃશોધ કરવામાં આવી હતી. આ અજોડ સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં રાખીને, વર્ષ 1991 માં યુનેસ્કો (UNESCO) દ્વારા પ્રમ્બાનનને 'વિશ્વ ધરોહર સ્થળ' (World Heritage Site) તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : PM Modi Indonesia Visit : વૈશ્વિક મંચ પર ભારતનો ડંકો! સેશેલ્સ બાદ હવે ઇન્ડોનેશિયાએ પણ PM મોદીને આપ્યું સર્વોચ્ચ સન્માન