PM મોદીનું મોરેશિયસમાં ઉષ્માભર્યું સ્વાગત, રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભાગ લેશે
- PM મોદી મોરેશિયસની બે દિવસીય મુલાકાતે
- PM મોદી મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં પણ હાજરી આપશે
- PM મોદીની મુલાકાત "SAGAR વિઝન" નો એક ભાગ
PM Modi visits Mauritius : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની મોરેશિયસની મુલાકાતે ગયા છે. PM મોદીનું મોરેશિયસ આગમન પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને મોરેશિયસ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો અને બંને દેશો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવાનો છે. પીએમ મોદીની આ મુલાકાત મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામના આમંત્રણ પર થઈ રહી છે. તેઓ આ મુલાકાત દરમિયાન મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં પણ હાજરી આપશે. મોરેશિયસ 12 માર્ચે તેનો રાષ્ટ્રીય દિવસ ઉજવે છે.
પ્રધાનમંત્રીની મુલાકાતનો હેતુ
વડાપ્રધાન મોદીએ મોરેશિયસ જતા પહેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ મુલાકાત ભારત અને મોરેશિયસ વચ્ચેના સંબંધોમાં એક નવો અને ઉજ્જવળ અધ્યાય ઉમેરશે. તેમણે એ પણ માહિતી આપી હતી કે તેમની મુલાકાત "SAGAR વિઝન" નો એક ભાગ છે, જેનો હેતુ હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા, વિકાસ અને સહકારને પ્રોત્સાહન આપવાનો છે. 'SAGAR' નો અર્થ છે "પ્રદેશમાં બધા માટે સુરક્ષા અને વિકાસ". પીએમ મોદીએ કહ્યું, "અમારા પ્રયાસોનું કેન્દ્ર હંમેશા અમારા લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ તેમજ પ્રાદેશિક સુરક્ષા અને વિકાસ રહેશે."
આ પણ વાંચો : Vanuatu PM on Lalit Modi: લલિત મોદી ન ઘરનો, ન ઘાટનો... જે જગ્યાએ નાગરિકતા મેળવીને ખુશ હતા ત્યાંના પીએમએ સંકટ વધાર્યું
ભારત-મોરેશિયસ સંબંધો મહત્વપૂર્ણ છે
પ્રધાનમંત્રીએ મોરેશિયસને નજીકના દરિયાઈ પાડોશી, હિંદ મહાસાગરમાં મુખ્ય ભાગીદાર અને આફ્રિકન ખંડના પ્રવેશદ્વાર તરીકે વર્ણવ્યું. તેમણે કહ્યું, "આપણે ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ દ્વારા એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છીએ. બંને દેશો વચ્ચેનો ઊંડો પરસ્પર વિશ્વાસ, લોકશાહીના મૂલ્યોમાં સહિયારી માન્યતા અને વિવિધતામાં ગર્વ એ આપણી શક્તિ છે." પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ભારત અને મોરેશિયસ વચ્ચેના ગાઢ અને ઐતિહાસિક સંબંધો સહિયારા ગર્વનો સ્ત્રોત છે.
બંને દેશો વચ્ચે ગાઢ ભાગીદારી
પ્રધાનમંત્રી મોદીએ નોંધ્યું હતું કે છેલ્લા 10 વર્ષોમાં, અનેક લોકોલક્ષી પહેલો દ્વારા બંને દેશો વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમણે કહ્યું કે ભારત મોરેશિયસના સૌથી મોટા વેપારી ભાગીદારોમાંથી એક છે. બંને દેશો વચ્ચે વેપાર અને આર્થિક સહયોગ મજબૂત થઈ રહ્યો છે. સિંગાપોર પછી 2023-24 માટે ભારતમાં સીધા વિદેશી રોકાણ (FDI)ના બીજા સૌથી મોટા સ્ત્રોત તરીકે મોરેશિયસ ઉભરી આવ્યું છે.
ભારતીય લશ્કરી દળોની સંડોવણી
પ્રધાનમંત્રી મોદીની મુલાકાત દરમિયાન, ભારતીય સશસ્ત્ર દળો, ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ અને ભારતીય વાયુસેનાની આકાશ ગંગા 'સ્કાયડાઇવિંગ ટીમ' પણ મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભાગ લેશે.
આ પણ વાંચો : Britainમાં મોટી દરિયાઈ દુર્ઘટના, ઓઈલ ટેન્કર-કાર્ગો જહાજ વચ્ચે અથડામણ, લાગી આગ