Bangladesh News : બુધવારે મોડી રાત્રે બાંગ્લાદેશના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન અને અવામી લીગના પૂર્વ સાંસદ શાકિબ અલ હસનના પૈતૃક ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. ભારતમાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના સાથે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપ્યાના થોડા કલાકો બાદ જ આ હુમલો કરવામાં આવ્યો હતો. મગુરા શહેરના કેશવમોર વિસ્તારમાં આવેલા શાકિબના ઘર પર તોડફોડ પણ કરવામાં આવી હતી. નવી દિલ્હી સ્થિત ફોરેન કોરેસ્પોન્ડન્ટ્સ ક્લબમાં યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સ બાદ આ ઘટના બની હતી.
Bangladesh News : અવામી લીગ અને વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે શેખ હસીનાના ભાષણ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. અવામી લીગ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, "બાંગ્લાદેશ હાલમાં નવ-ફાસીવાદના જોખમનો સામનો કરી રહ્યો છે, અને ઘરોમાં આગ લગાવવી એ અવામી લીગની પ્રેસ કોન્ફરન્સમાં જોડાવાની કિંમત છે." પાર્ટીએ વર્તમાન સરકાર પર સરમુખત્યારશાહી બનવાનો આરોપ લગાવ્યો છે.
પ્રેસ કોન્ફરન્સ અગાઉ બીએનપી, ઇસ્લામી જમાત અને એનસીપી દ્વારા રાષ્ટ્રીય મીડિયા આઉટલેટ્સને ખુલ્લી ધમકી આપવામાં આવી હતી કે જો આ કાર્યક્રમનું પ્રસારણ થશે તો કાનૂની પગલાં લેવામાં આવશે.
"હું મારા લોકો પાસે પાછી ફરીશ": શેખ હસીના
બુધવારે શેખ હસીનાની સરકારને સત્તા પરથી હટાવ્યાને બે વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે શેખ હસીનાએ જાહેરાત કરી હતી કે તેઓ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. 78 વર્ષીય પૂર્વ વડા પ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે લોકશાહી પુનઃસ્થાપિત કરવા માટે તેઓ ધરપકડ કે મૃત્યુનો સામનો કરવા પણ તૈયાર છે.
તેમણે ઉમેર્યું, "મારું પરત ફરવું સત્તા મેળવવા માટે નથી, પરંતુ દેશને વિકાસ, ધર્મનિરપેક્ષતા અને સમૃદ્ધિના માર્ગ પર પાછો લાવવા માટે છે."
ભારત સરકાર સામે બાંગ્લાદેશની નારાજગી
દિલ્હીમાં યોજાયેલા આ વર્ચ્યુઅલ વાર્તાલાપને લઈને બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે સત્તાવાર ટ્વીટર (સૌશિયલ મીડિયા) પર રોષ વ્યક્ત કર્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે નરસંહારના આરોપી અને ભાગેડુ શેખ હસીનાને નવી દિલ્હીમાં લાઈવ બોલવાની મંજૂરી અપાઈ તે અત્યંત દુઃખદ છે. ઢાકાનું માનવું છે કે આ ઘટનાથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર નકારાત્મક અસર પડી શકે છે.
આ પણ વાંચો : UP News : પ્રતાપગઢમાં ભારે વરસાદથી 100 વર્ષ જૂનું મકાન ધરાશાયી, એક જ પરિવારના 6 લોકોના મોત