Turkey Earthquake : તુર્કીમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો! અનેક ઈમારતો કાટમાળમાં ફેરવાઈ
- તુર્કીયેમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
- ઈસ્તાંબુલ સહિતના વિસ્તારમાં ભારે નુકસાન
- બાલિકેસિરના સિંદિરગીમાં નોંધાયું કેન્દ્રબિંદુ
- અનેક ઈમારતો ભૂકંપથી કાટમાળમાં ફેરવાઈ
- ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 22 લોકો ઘાયલ
- બુર્સા, મનીસા અને ઈઝમીરમાં પણ નુકસાન
Turkey Earthquake : પશ્ચિમ તુર્કીમાં આવેલા 6.1ની તીવ્રતાના ભૂકંપથી એકવાર ફરી તુર્કી ધ્રુજી ઉઠ્યું છે. ઇસ્તંબુલ સહિત બાલિકેસિર, બુર્સા, મનીસા અને ઇઝમીર જેવા વિસ્તારોમાં તેની જોરદાર અસર અનુભવાઈ છે. આ ભૂકંપથી ઓછામાં ઓછી 3 ખાલી ઇમારતો અને એક દુકાન ધરાશાયી થઈ છે, જે ભૂતકાળના આંચકાઓને કારણે પહેલેથી જ નબળી પડી ગઈ હતી. સદભાગ્યે જાનહાનિના કોઈ મોટા સમાચાર નથી, પરંતુ અત્યાર સુધીમાં 22 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 2 વ્યક્તિ ગભરાટમાં પડી જવાથી ઈજાગ્રસ્ત થયા છે.
ભૂકંપનું કેન્દ્રબિંદુ અને અસરગ્રસ્ત વિસ્તારો
ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (AFAD) ના અહેવાલ અનુસાર, સોમવારે રાત્રે 10:48 વાગ્યે પશ્ચિમ તુર્કી 6.1ની તીવ્રતાના જોરદાર ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું હતું. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ બાલિકેસિર પ્રાંતના સિંદિરગી શહેર પાસે માત્ર 5.99 કિલોમીટરની ઓછી ઊંડાઈએ નોંધાયું હતું, જેના કારણે તેની અસર તીવ્રતાથી અનુભવાઈ હતી. ભૂકંપના આંચકા એટલા પ્રબળ હતા કે ઇસ્તંબુલ જેવા દૂરના મહાનગર તેમજ આસપાસના મુખ્ય પ્રાંતો જેમ કે બુર્સા, મનીસા અને ઇઝમીરમાં પણ લોકોને ધ્રુજારીનો અનુભવ થયો હતો. મુખ્ય આંચકા પછી તરત જ અનેક આફ્ટરશોક્સ આવતા, સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે ગભરાટ અને ભયનું વાતાવરણ ફેલાયું હતું.
A powerful magnitude 6.1 earthquake struck Western Turkey, with the epicentre in #Balıkesir causing buildings to collapse.
The tremors were widely felt, even in #Istanbul. This is the second significant earthquake to hit the region in recent months.#Turkey #earthquake pic.twitter.com/XZbX4H9FNp— Belarus Inside (@BelarusInside) October 28, 2025
નુકસાનનું મૂલ્યાંકન ચાલુ (Turkey Earthquake)
ગૃહમંત્રી અલી યેરલિકાયાએ માહિતી આપી કે સિંદિરગીમાં જે 3 ઇમારતો અને એક દુકાન ધરાશાયી થઈ છે તે અગાઉના ભૂકંપને કારણે નુકસાન પામેલી અને ખાલી હતી. જિલ્લા પ્રશાસક ડોગુકન કોયુન્કુએ જણાવ્યું છે કે જાનમાલના નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલ નથી, પરંતુ પરિસ્થિતિનું મૂલ્યાંકન ચાલુ છે. ભૂકંપના ભયને કારણે સિંદિરગીમાં ઘણા રહેવાસીઓ રાતભર ઘરની બહાર જ રહ્યા હતા. આ ડર તદ્દન સ્વાભાવિક છે, કારણ કે તુર્કી ભૂકંપના જોખમી ક્ષેત્ર પર આવેલું છે.
ઓગસ્ટ અને 2023ના વિનાશની યાદ
આ જ સિંદિરગી વિસ્તારમાં ઓગસ્ટ મહિનામાં પણ 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. ત્યારથી, બાલિકેસિરની આસપાસના વિસ્તારમાં નાના આંચકાઓ આવતા રહ્યા છે. આ નાના ભૂકંપ પણ લોકોને 2023ના વિનાશક ભૂકંપની યાદ અપાવે છે, જેણે તુર્કી અને ઉત્તર સીરિયામાં ભારે તબાહી મચાવી હતી. તુર્કી મુખ્ય ફોલ્ટ લાઇન પર સ્થિત હોવાથી તે વારંવાર ભૂકંપનો ભોગ બને છે. ભૂકંપ પછી આવતા આફ્ટરશોક્સ અને નાના આંચકાઓથી લોકોમાં સતત ભયનું વાતાવરણ રહે છે.
આ પણ વાંચો : Earthquake 2025 : એકવાર ફરી આ દેશની ધરા ધ્રુજી! નોંધાયો 7.6 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર


