UAEએ મિસાઈલ હુમલાનો કર્યો દાવો
UAEના સંરક્ષણ મંત્રાલય (Defence Ministry) અનુસાર, મંગળવારે તેની એર ડિફેન્સ સિસ્ટમ (Air Defence System)એ ઈરાન તરફથી છોડવામાં આવેલી 2 બેલિસ્ટિક મિસાઈલોને શોધી કાઢી હતી. આ બંને મિસાઈલો UAE તરફ આગળ વધી રહી હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ UAEના નાગરિકોના મોબાઈલ ફોન પર થોડા સમય માટે મિસાઈલ ખતરાની ચેતવણી (Missile Threat Alert) પણ મોકલવામાં આવી હતી. UAEની તપાસમાં સામે આવ્યું કે બંને મિસાઈલો સમુદ્રી જહાજોને (Ships) નિશાન બનાવવા માટે છોડવામાં આવી હતી.
તેમાંથી એક મિસાઈલ UAEના પ્રાદેશિક જળસીમા (Territorial Waters)ની બહાર સમુદ્રમાં પડી હતી, જ્યારે બીજી મિસાઈલ UAEની પ્રાદેશિક જળસીમામાં પડી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. બીજી તરફ ઈરાને મિસાઈલ છોડવાના આરોપને નકારી કાઢ્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ UAEના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને પ્રાદેશિક દેશોને આવા આરોપોથી દૂર રહેવાની અપીલ કરી.
UAEએ ઈરાન સાથે આર્થિક સંબંધો કેમ રોક્યા?
મિસાઈલ વિવાદ બાદ UAEના વિદેશ મંત્રાલયે ઈરાન સામે મોટો આર્થિક નિર્ણય લીધો છે. મંત્રાલયના સંચાર નિર્દેશક અફરા અલ હમેલીએ જણાવ્યું કે પ્રદેશમાં વધી રહેલો તણાવ (Tension) શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો બની રહ્યો છે. તેથી ઈરાન સાથેના તમામ વેપાર, વાણિજ્યિક લેવડદેવડ (Commercial Exchange) અને નાણાકીય વ્યવહારો પર રોક લગાવવામાં આવી છે. આ પ્રતિબંધ (Ban) કેટલા સમય સુધી અમલમાં રહેશે તેની કોઈ ચોક્કસ સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી.
સુધરતા સંબંધોને મોટો ઝટકો
UAE અને ઈરાનના સંબંધો છેલ્લા કેટલાક સમયથી ધીમે ધીમે સુધરી રહ્યા હતા. બંને દેશો વચ્ચે કેટલીક વેપારી પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ હતી અને ઈરાનની કેટલીક ફ્લાઈટ્સ (Flights) પણ UAE પરત આવવા લાગી હતી. દુબઈમાં વેપાર-ધંધો પણ સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યો હતો. યુદ્ધ શરૂ થયું ત્યારે UAEની બહાર ફસાયેલા આશરે 20 હજાર ઈરાની નાગરિકોને પણ પરત ફરવાની મંજૂરી આપવામાં આવી હતી. હવે નવા મિસાઈલ વિવાદથી બંને દેશોના સંબંધોમાં ફરી તણાવ વધવાની શક્યતા છે.
હોમુર્ઝ સ્ટ્રેટ પર પણ અસરની આશંકા
આ સમગ્ર ઘટનાની અસર હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) પર પણ થઈ શકે છે. વિશ્વના મહત્વપૂર્ણ તેલ (Oil) અને LNG પરિવહન માર્ગોમાં તેનો સમાવેશ થાય છે. યુદ્ધ પહેલાં વિશ્વના આશરે પાંચમા ભાગનું તેલ અને LNG આ માર્ગેથી પસાર થતું હતું. પરંતુ યુદ્ધ અને હોર્મુઝમાં વધી રહેલા તણાવને કારણે અહીંથી પસાર થતા જહાજોની અવરજવર નોંધપાત્ર રીતે ઘટી છે. થોડા દિવસો પહેલાં UAEએ ઈરાન પર તેની સરકારી તેલ કંપની ADNOC સાથે જોડાયેલા જહાજો પર હુમલો કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. જોકે, આ ઘટનાઓમાં પણ કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હોવાની માહિતી મળી નહોતી.
આ પણ વાંચો : Donald Trump Popularity : અમેરિકન લોકો સાથેની અવળચંડાઈ ટ્રમ્પને ભારે પડી! લોકપ્રિયતામાં મોટો ઘટાડો, જાણો શું છે કારણ