ના બેટાનું, ના બાપનું... ગુજરાત હવે આપનું : ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટ અને મધ્ય ઝોન અધ્યક્ષ ડૉ. જ્વેલ વસરા દ્વારા ગઇકાલે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ તકે પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાનના ભાગરૂપે એક નવો અને આક્રમક નારો લોન્ચ કરવામાં આવ્યો છે: “ના બેટાનું, ના બાપનું... ગુજરાત હવે આપનું.”
સત્તાના અહંકાર સામે જનતાનો અવાજ
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી સત્તા ભોગવી રહેલા શાસકોમાં હવે ભારે અહંકાર આવી ગયો છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના નેતાઓ એવું માની રહ્યા છે કે જાણે ગુજરાત તેમની ખાનગી મિલકત હોય. પરંતુ લોકશાહીમાં અંતિમ સત્તા હંમેશા જનતાની હોય છે અને જનતાથી મોટો કોઈ શાસક હોતો નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, હાલ રાજ્યમાં વંશવાદ અને 'બાપ-બેટા'ની જોડીઓ દ્વારા સામાન્ય માણસનું શોષણ કરવામાં આવી રહ્યું છે. ભ્રષ્ટાચાર, મનરેગા કૌભાંડ, અને સરકારી કોન્ટ્રાક્ટમાં કટકી જેવી પ્રવૃત્તિઓથી જનતા પરેશાન છે.
ગરીબોના ઘર પર ચાલતા બુલડોઝર સામે વિરોધ
ગોપાલ ઇટાલિયાએ રાજ્યમાં થઈ રહેલા ડિમોલેશનના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, જ્યારે પણ ભાજપના નેતાઓને કોઈ જમીન ગમી જાય છે, ત્યારે રાતોરાત ત્યાં બુલડોઝર ફેરવી દેવામાં આવે છે. અમદાવાદના વટવા, રાણીપ, મોટેરા, સાણંદ, એસ.જી. હાઈવે તેમજ રાજકોટના જંગલેશ્વર અને સોમનાથ મંદિરની આસપાસ થયેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, 50-50 વર્ષથી રહેતા ગરીબ લોકોના ઘર ઉજજડ કરવામાં આવી રહ્યા છે. સરકારી તંત્રનો દુરુપયોગ કરી જમીનો ખાલી કરાવવાની આ નીતિ હવે જનતા સહન નહીં કરે.
શું છે નવો નારો અને અભિયાન?
પાર્ટીનો નવો નારો “ગુજરાત હવે આપનું” એ સંદેશ આપે છે કે આ રાજ્ય કોઈ રાજકીય વારસદારોનું નથી, પરંતુ અહીંના કરોડો મહેનતુ ખેડૂતો, શ્રમિકો, યુવાનો અને મહિલાઓનું છે. આ નારા સાથે આમ આદમી પાર્ટી હવે ઘર-ઘર સુધી પહોંચવા માટે વ્યાપક જનસંપર્ક અભિયાન શરૂ કરશે.
જનતાની અદાલતમાં ન્યાયની અપેક્ષા
ધારાસભ્યએ અંતમાં જણાવ્યું કે, અદાલતોમાં કેસ વર્ષો સુધી ચાલે છે, પરંતુ જનતાની અદાલતમાં ચુકાદો ઝડપથી આવે છે. જ્યારે લોકોનો આત્મા જાગશે ત્યારે અન્યાય કરનારાઓએ મોઢું છુપાવવું પડશે. તેમણે તમામ પીડિતોને ખાતરી આપી હતી કે, આમ આદમી પાર્ટી કાયદાકીય લડાઈથી લઈને રસ્તા પરના આંદોલન સુધી તમામ સ્તરે તેમની સાથે ઉભી રહેશે.


