Jamnagar : અસામાજિક તત્વો પર 'દાદા'નું બુલડોઝર ફરી વળ્યું, કરોડોના ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા
- જામનગરના બેડીમાં માથાભારે તત્વો પર કાર્યવાહી
- માથાભારે તત્વોની ગેરકાયદે મિલકત તોડી પાડવામાં આવી
- કુખ્યાત સાયચા ગેંગ પર પોલીસે બોલાવી તવાઇ
અસામાજિક તત્વો પર 'દાદા'નું બુલડોઝર ફરી વળ્યું છે. જેમાં જામનગરમાં લુખ્ખા તત્વો પર મોટી કાર્યવાહી થઇ છે. તેમાં જામનગરના બેડીમાં માથાભારે તત્વો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. માથાભારે તત્વોની ગેરકાયદે મિલકત તોડી પાડવાની કાર્યવાહીમાં કુખ્યાત સાયચા ગેંગ પર પોલીસે તવાઇ બોલાવી છે. જેમાં સરકારી જમીન પર ઉભું કરાયેલું દબાણ દૂર કરાયું છે. ત્રણ બંગલા અને અન્ય પાકા મકાનો તોડી પાડવાની કામગીરી કરાઇ છે.
ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન જામનગરના જિલ્લા કલેકટર કેતન ઠક્કર ઉપસ્થિત
11 પાકા બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમાં કુલ 10થી 12 કરોડની જમીન પર દબાણ દૂર કરવાની કામગીરી કરાઇ રહી છે. જેમાં પ્રાંત અધિકારી, SP પ્રેમખુસ ડેલુ સહિતનો કાફલો હાજર છે. વિશાળ પોલીસ કાફલા સાથે ડિમોલિશન હાથ ધરાયુ છે. સાયચા ગેંગ સામે હત્યા, દુષ્કર્મ, મારામારી સહિતના અનેક ગુનાઓ છે. જામનગર જિલ્લાના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તાબડતોબ ડિમોલેશન કરીને આ વિસ્તારના માથાભારે તત્વોના દબાણને ઉખેડી ફેંકવામાં આવ્યા હતા. આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન જામનગરના જિલ્લા કલેકટર કેતન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.
ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા રહેણાંકના બાંધકામોને તોડી પડાયા
બેડીમાં સાયચા બંધુઓ દ્વારા ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા રહેણાંકના બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહીમાં જે મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, તેમાં મુખ્યત્વે નુરમામદ હાજી સાઈચાનું સર્વે નંબર 62 વાળું 279 ચોરસ મીટરનું રહેણાંક મકાન, જેની અંદાજિત કિંમત 21,37,600 રૂપિયા છે. આ ઉપરાંત નુરમામદ હાજી સાઈચાનું અન્ય એક મકાન સર્વે નંબર 40/1-29-50 વાળું 167 ચોરસ મીટરનું રહેણાંક મકાન, જેની કિંમત 12,800 રૂપિયા દર્શાવવામાં આવી છે. તેમજ ઈસ્માઈલ ઈબ્રાહીમ મોવરનું સર્વે નંબર 40/પૈકી વાળું 65 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત 8,32,000 રૂપિયા છે. હાજી હુશેન સાઈચાનું સર્વે નંબર 40/ડી વાળું 65 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત પણ 8,32,000 રૂપિયા છે.
ડિમોલિશનથી વિસ્તારના ગુનાખોરી સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો
આ તમામ બાંધકામો ગેરકાયદેસર હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન તારીખ 1 એપ્રિલ અને 2 એપ્રિલ 2025 ના રોજ નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ આજે વહેલી સવારથી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા બેડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે લેવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે. આ ડિમોલિશનથી વિસ્તારના ગુનાખોરી સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
આ પણ વાંચો: Gujarat : સનાતન સંઘના ચેરમેનને મળી ISIS દ્વારા મોતની ધમકી