Jamnagar: કોંગ્રેસના ગઢમાં કેસરીયો લહેરાયો! પૂર્વ કોર્પોરેટર નૂર મહંમદ પલેજા ભાજપમાં જોડાયા
- Jamnagar મનપાના વોર્ડ નં. 1માં કોંગ્રેસને મોટો ઝટકો
- પૂર્વ કોર્પોરેટર નૂર મહંમદ પલેજા ભાજપમાં જોડાયા
- કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતાં આપ્યું હતું રાજીનામું
- રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ ખેસ પહેરાવી કર્યો આવકાર
- કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નં.1માં ભાજપ વધુ મજબૂત
Jamnagar: જામનગર મહાનગરપાલિકા (Municipal Corporation) ના રાજકારણમાં આજે એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની હિલચાલ વચ્ચે કોંગ્રેસ (Congress) ને તેના મજબૂત ગઢ ગણાતા વિસ્તારમાં મોટો ઝટકો લાગ્યો છે. વોર્ડ નં. 1 ના પૂર્વ કોર્પોરેટર નૂર મહંમદ પલેજા (Noor Muhammad Paleja) એ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે.
Jamnagar કોંગ્રેસમાં મોટું ગાબડું
મળતી માહિતી મુજબ, નૂર મહંમદ પલેજા કોંગ્રેસ પક્ષ તરફથી આગામી સમય માટે ટિકિટની અપેક્ષા રાખતા હતા, પરંતુ પક્ષ દ્વારા ટિકિટ ન મળતા તેઓ લાંબા સમયથી નારાજ હતા. આ અસંતોષને કારણે તેમણે થોડા દિવસો પહેલા જ કોંગ્રેસના તમામ હોદ્દાઓ અને સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. પલેજાના રાજીનામાથી જામનગર કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે.
રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ કર્યો આવકાર
જામનગરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ગુજરાતના રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ નૂર મહંમદ પલેજાને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં વિધિવત રીતે આવકાર્યા હતા. ભાજપમાં જોડાયા બાદ પલેજાએ પક્ષની વિચારધારા સાથે આગળ વધવાની નેમ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ભાજપના અન્ય સ્થાનિક નેતાઓ અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
વોર્ડ નં. 1 માં સમીકરણો બદલાશે
જામનગર મનપાનો વોર્ડ નં. 1 વર્ષોથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. જોકે, પલેજા જેવા કદાવર નેતાના પક્ષ પલટાથી હવે આ વિસ્તારમાં ભાજપ વધુ મજબૂત બન્યું છે. ખાસ કરીને મુસ્લિમ વાઘેર સમાજમાં કોંગ્રેસ પ્રત્યે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર આવનારી ચૂંટણીના પરિણામો પર પડી શકે છે.
કોંગ્રેસમાં વધતો અસંતોષ
એક તરફ ભાજપ પોતાની સંગઠન શક્તિ વધારી રહ્યું છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં જૂથબંધી અને ટિકિટ ફાળવણીને લઈને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નૂર મહંમદ પલેજાના ભાજપ પ્રવેશથી જામનગર શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આગામી દિવસોમાં અન્ય કાર્યકરો પણ પક્ષ પલટો કરે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.
આ પણ વાંચો: Gujarat Heat wave: ગુજરાતમાં સૂર્યદેવ વરસાવશે અગનગોળા, 29 એપ્રિલ સુધી મોટી આગાહી


