Jamnagar: ધ્રોલના નાના ગરેડીયામાં ચેકડેમના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપથી ખળભળાટ
- Jamnagar ના ધ્રોલ પંથકમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ ઉઠ્યા
- નાના ગરેડીયા ચેકડેમ કામમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદ
- હલકી ગુણવત્તાનું કામ થતું હોવાનો સરપંચનો આક્ષેપ
Jamnagar: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા (Garediya) ગ્રામ પંચાયત વિસ્તારમાં ચાલી રહેલા માઇનર ઇરિગેશન (નાની સિંચાઈ) અંતર્ગતના ચેકડેમ અને પાળના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો સાથે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ગામના સરપંચ શીતલબેન મકવાણા અને ઉપસરપંચ હરશુખભાઈ શિયાર, ભવાનભાઈ મકવાણા સંરપચ પત્તી સહિતના ગ્રામજનોએ કોન્ટ્રાક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારીઓ સામે મોરચો માંડ્યો છે. સમગ્ર મામલે ગ્રામ પંચાયત દ્વારા ગાંધીનગર ક્વોલિટી કંટ્રોલ વિભાગના મુખ્ય ઈજનેરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરીને સ્થળ તપાસની માંગ કરવામાં આવી છે.
Jamnagar: 'માત્ર કાગળ પર મજબૂત કામ'
સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા ગાંધીનગર કરવામાં આવેલી લેખિત ફરિયાદ અનુસાર ગામમાં ચાલી રહેલું ચેકડેમ અને પાળ બનાવવાનું કામ અત્યંત હલકી અને નબળી ગુણવત્તાનું થઈ રહ્યું છે. આ કામગીરીમાં માત્ર દેખાવ પૂરતી ખૂબ જ ઓછો સિમેન્ટ વાપરવામાં આવી રહી છે, તેમજ લોખંડનું સ્ટ્રક્ચર પણ નિયમ મુજબ વાપરવામાં આવ્યું નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા સરકારી નાણાંનો ખુલ્લેઆમ દુરુપયોગ કરીને માત્ર કાગળ પર જ મજબૂત કામ દર્શાવવામાં આવી રહ્યું છે, જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર તદ્દન લોલમલોલ ચાલી રહ્યું છે. તળાવમાં પાણી રોકવા માટે જે પાળ બનાવવામાં આવી રહી છે તે એટલી નબળી છે કે આગામી ચોમાસાના પ્રથમ વરસાદમાં જ તે ધોવાઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે.
“તમારે એસ્ટીમેટ શું કરવું છે?”
આક્ષેપ છે કે ગ્રામજનોએ અનેક વખત ચેકડેમને ઊંડું કરવા અને ગામની ભૌગોલિક પરિસ્થિતિ તેમજ જરૂરિયાત મુજબ મજબૂત કામ કરવાની માગ કરી હતી, પરંતુ જવાબદાર અધિકારીઓએ સ્થાનિકોની રજૂઆતોને સદંતર અવગણી દીધી છે. આ નબળા કામને કારણે ભવિષ્યમાં ગામલોકોને મોટું આર્થિક અને ભૌતિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ, આ વિવાદ વચ્ચે ગામના સરપંચ અને સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર (પંચાયત ઇરિગેશન શાખા, જામનગર) વચ્ચે થયેલી વાતચીતની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતાં મામલો વધુ ગરમાયો છે. જેમાં સરપંચ દ્વારા કામની ગુણવત્તા અને એસ્ટીમેટ અંગે સવાલ પૂછાતા જવાબદાર અધિકારીએ “તમારે એસ્ટીમેટ શું કરવું છે?” તેવો ઉડાઉ અને બેદરકાર જવાબ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.
ગ્રામજનોમાં તકલાદી કામથી રોષ
અધિકારીના આવા નકારાત્મક વલણને પગલે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને અધિકારીઓની કોન્ટ્રાક્ટર સાથે સીધી મિલીભગત હોવાની શંકા વધુ મજબૂત બની છે. તાલુકા કક્ષાએથી કોઈ ન્યાય ન મળતા આખરે નાના ગરેડીયા ગ્રામ પંચાયત દ્વારા મુખ્ય ઈજનેરશ્રી, ગુણવત્તા નિયંત્રણ (જળસંપત્તિ વિભાગ), ગાંધીનગરને લેખિત પત્ર પાઠવીને આ સમગ્ર કામની ક્વોલિટીની જમીની તપાસ (ફિઝિકલ વેરિફિકેશન) કરવાની ઉગ્ર માંગ કરી છે. પત્રની નકલ પંચાયત ઇરિગેશનના રાજકોટ સ્થિત અધિક્ષક ઈજનેરને પણ રવાના કરવામાં આવી છે. ગામલોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ મામલે સત્વરે નિષ્પક્ષ ઉચ્ચસ્તરીય તપાસ કરીને, જવાબદારો સામે કડક કાર્યવાહી સાથે ચેકડેમનું કામ ફરીથી ગુણવત્તાપૂર્વક શરૂ કરવામાં નહીં આવે તો ચોમાસામાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને તે માટે સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. ગ્રામજનો બાબતે તાત્કાલિક તપાસ કરવા ની માગ કરી છે.
આ પણ વાંચોઃJamnagar માં 6 લાખનું ચોરાયેલું સોનું મૂળ માલિકને કેવી રીતે પાછું મળ્યું? વાંચો


