Jamnagar: સચાણામાં મોડી રાત્રે ધીંગાણું, જૂથ અથડામણમાં એકનું મોત, 8થી વધુ ઈજાગ્રસ્ત
- જામનગરના (Jamnagar) સચાણામાં ગત રાત્રીના બે જૂથ વચ્ચે અથડામણ
- વર્ષનો પ્રારંભ હત્યાથી, એક આધેડે સારવારમાં દમ તોડ્યો
- પૈસાની લેતીદેતી કારણભૂત, એકનું મોત, 8થી વધુ ઈજાગ્રસ્ત
- અથડામણમાં સામસામે આઠથી વધુ લોકો ઘાયલ થયા હતા
- પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી તપાસ શરૂ કરી
Jamnagar: નવા વર્ષના પ્રારંભે જ જામનગર (Jamnagar) જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જામનગરના સચાણા ગામમાં ગત મોડી રાત્રે સામાન્ય પૈસાની લેવડદેવડ બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ જૂથ અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક આધેડે સારવાર દરમિયાન દમ તોડતા સમગ્ર મામલો હત્યામાં પલટાયો છે. આ ઘટનાને પગલે પંથકમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે.
જામનગરમાં નવા વર્ષના પ્રારંભે લોહિયાળ જંગ
મળતી માહિતી મુજબ, સચાણા ગામમાં બે પક્ષો વચ્ચે છેલ્લા કેટલાંક સમયથી પૈસાની લેતીદેતી મામલે મનદુઃખ ચાલી રહ્યું હતું. ગત રાત્રીએ આ વિવાદ ઉગ્ર બનતા બંને પક્ષો સામસામે આવી ગયા હતા. લાકડીઓ અને અન્ય હથિયારો વડે થયેલી આ અથડામણમાં બંને જૂથના અંદાજે 8થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન આધેડનું મોત
આ હિંસક અથડામણમાં અસમાલ સંધાર નામના આધેડને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હોસ્પિટલના બિછાને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ આખરે તેમણે દમ તોડ્યો હતો. આધેડના મોત સમાચાર વાયુવેગે પ્રસરતા પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો. આ બનાવ હવે હત્યાના ગુનામાં પરિવર્તિત થતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
ઘટનાની જાણ થતા જ જામનગર પોલીસનો કાફલો સચાણા ગામમાં ઉતારી દેવામાં આવ્યો છે. ગામમાં શાંતિ જળવાઈ રહે અને અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
14 આરોપીઓ પૈકી સાત આરોપીઓની ધરપકડ
પોલીસે આ મામલે 14 શખ્સો સામે હત્યા અને રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો ત્યારે આ કાર્યવાહીમાં 14 આરોપીઓ પૈકી સાત આરોપીઓની પોલીસે કરી ધરપકડ લીધી છે. અને અન્ય આરોપીઓની શોધખોળ સહિતની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. તેમજ ફરાર આરોપીઓની ધરપકડ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વર્ષનો પ્રારંભ જ રક્તરંજિત
નોંધનીય છે કે, વર્ષનો પ્રારંભ જ રક્તરંજિત થતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ હાલ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી સાચા કારણો અને જવાબદારો સામે કડક પગલાં ભરી શકાય.
આ પણ વાંચો: Junagadh: મેલેરિયા વિભાગના અધિકારીએ કરોડોની મિલકત કેવી રીતે વસાવી? ACBની તપાસમાં મોટો ખુલાસો


