Jamnagar: 'ઢોર ડબ્બામાં માટે પૂરતી સગવડ નથી!', સભામાં વિપક્ષી નગરસેવકોએ અનેક મુદ્દે ઉઠાવ્યા સવાલો
- Jamnagar મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી
- મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષ સ્થાને સભા યોજાઈ
- સામાન્ય સભામાં વિવિધ વિકાસ એજન્ડાઓ પર ચર્ચા
- સભામાં વિપક્ષી નગરસેવકોએ અનેક મુદ્દે ઉઠાવ્યા સવાલો
- ઢોર ડબ્બામાં પશુઓ માટે પૂરતી સગવડ ન હોવાની રજુઆત
- સભામાં કેટલાક વિકાસ કાર્યોને અધ્યક્ષ સ્થાનેથી બહાલી
Jamnagar:જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે મેયર વિનોદ ખીમસૂર્યા (Mayor Vinod Khimsurya) ના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ સભામાં શહેરના વિવિધ વિકાસલક્ષી એજન્ડાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જોકે, સભાની શરૂઆતથી જ વિપક્ષી નગરસેવકોએ જનતાના પ્રશ્નો અને ગેરરીતિઓના મુદ્દે શાસક પક્ષને ઘેરતા સભામાં ભારે તળાપીટ જોવા મળી હતી.
વિકાસ કાર્યોને મળી મંજૂરી
મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષ પદે યોજાયેલી આ બેઠકમાં શહેરના હિતમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. મનપાના વિવિધ વિભાગો દ્વારા રજૂ કરવામાં આવેલા વિકાસલક્ષી કામોના એજન્ડાઓને અધ્યક્ષ સ્થાનેથી બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, અન્ય પદાધિકારીઓ અને કોર્પોરેટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પશુઓની સુવિધા અને હાથણી ગામનો પ્રશ્ન
સામાન્ય સભામાં વિપક્ષી સભ્યોએ લોકપ્રશ્નો ઉઠાવતા આક્રમક વલણ અપનાવ્યું હતું. ખાસ કરીને શહેરના ઢોર ડબ્બામાં પશુઓની દયનીય સ્થિતિ અંગે રજૂઆત કરવામાં આવી હતી. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે ઢોર ડબ્બામાં પશુઓ માટે પૂરતી સગવડોનો અભાવ છે, જેના કારણે મૂંગા પશુઓ હાલાકી ભોગવી રહ્યા છે. આ ઉપરાંત, નગરસીમ વિસ્તારમાં આવેલા હાથણી ગામ (Hathni Village) નો મુદ્દો પણ ગાજ્યો હતો. વિપક્ષી સભ્યોએ ફરિયાદ કરી હતી કે આ ગામમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી અને ગટરનો અભાવ છે. તંત્ર દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં હાથણી ગામના પ્રશ્નો ઉકેલાતા ન હોવાથી ભારે રોષ વ્યક્ત કરાયો હતો.
Jamnagar: શિક્ષણ સમિતિમાં ભરતી મુદ્દે ગંભીર આક્ષેપ
સભામાં સૌથી મોટો મુદ્દો વિપક્ષી ઉપનેતા રાહુલ બોરીચા (Rahul Boricha) એ ઉઠાવ્યો હતો. તેમણે મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળાઓમાં વર્ષો પહેલા થયેલી પટાવાળાઓની નિમણૂક અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. "વર્ષો પૂર્વે સરકારના નિયમો વિરુદ્ધ જઈને પટાવાળાઓની ભરતી કરવામાં આવી હતી, જેના કારણે જામનગર મહાનગરપાલિકાને આજે કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે." વધુમાં રખડતાં પશુઓના ખસીકરણને લઈ પણ સવાલ ઉઠાવ્યા હતા.
શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણાહુતિ
શરૂઆતમાં થયેલી ગરમાગરમ ચર્ચાઓ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ બાદ, મેયર દ્વારા યોગ્ય તપાસ અને કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ બાકીના વિકાસલક્ષી કામો પર ચર્ચા કરી સભાને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Jamnagar: હોમગાર્ડ જવાનનો જીવ લેનાર કારચલાક સામે નોંધાયો ગુનો


