Jamnagar માં વાયરલ રોગચાળો વકર્યો, સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ
- જામનગર (Jamnagar) શહેર અને જિલ્લામાં પણ રોગચાળો વકર્યો
- સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે
- શિયાળાના કારણે રોગચાળો વધ્યો હોવાનો તબીબોનો અભિપ્રાય
- તાવ, શરદી, ઉધરસ સહિતની બીમારીઓમાં ઉછાળો આવ્યો
- દર્દીઓની સંખ્યામાં એકંદરે દરરોજ 500થી વધુ વધારો
- સામાન્ય રીતે બે થી ત્રણ હજાર દર્દીઓ રોજ આવે છે
- ગરમ પાણી અને યોગ્ય આહાર લેવાની તબીબોની સલાહ
Jamnagar: જામનગર શહેર તેમજ જિલ્લામાં શિયાળાની ઋતુના આગમન સાથે વાયરલ રોગચાળો ઝડપથી વકરી રહ્યો છે. ઋતુસંક્રમણ અને ઠંડકના કારણે તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીઓના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. જી.જી. હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ)માં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, જેના કારણે હોસ્પિટલ પ્રશાસનને વધારાની વ્યવસ્થા કરવી પડી રહી છે.
Jamnagar માં વાયરલ રોગચાળો વકર્યો
તબીબોના મતે, શિયાળાના કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટવાથી વાયરલ ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં તાવ, શરદી અને ઉધરસના દર્દીઓમાં ઉછાળો આવ્યો છે. જી.જી. હોસ્પિટલની ઓપીડીમાં સામાન્ય રીતે રોજ 2 થી 3 હજાર દર્દીઓ આવતા હોય છે, પરંતુ હાલ દરરોજ 500 થી વધુ દર્દીઓનો વધારો નોંધાયો છે. આ સાથે દાખલ થતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે, જેના કારણે હોસ્પિટલના વોર્ડ અને ઓપીડી દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.
તબીબોએ શું સલાહ આપી?
આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, મોટા ભાગના કેસ વાયરલ ફીવરના છે, જેમાં બાળકો અને વૃદ્ધો વધુ પ્રભાવિત થઈ રહ્યા છે. તબીબોનો અભિપ્રાય છે કે ઠંડા પવન અને તાપમાનમાં વધઘટના કારણે આ રોગચાળો વધ્યો છે. વાયરલ બીમારીથી બચવા માટે તેઓએ લોકોને ગરમ કપડાં પહેરવા, ગરમ પાણી પીવું અને યોગ્ય પૌષ્ટિક આહાર લેવાની સલાહ આપી છે. વધુમાં, હાથ ધોવા, માસ્ક પહેરવું અને ભીડવાળી જગ્યાએ ન જવાનું પણ સૂચવ્યું છે.આરોગ્ય તંત્ર દ્વારા દર્દીઓને તાત્કાલિક સારવાર આપવા માટે વધારાના તબીબો અને સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. જોકે, લોકોને અપીલ કરવામાં આવી છે કે નાની તકલીફમાં પણ તાબડતોબ તબીબી સલાહ લેવી જોઈએ, જેથી રોગચાળો વધુ ન ફેલાય.
આ પણ વાંચો: Surat માં ડ્રગ્સ બનાવતી ગેરકાયદે ફેક્ટરીનો પર્દાફાશ, કોણ છે માસ્ટરમાઈન્ડ?


